“વસંતને કહેજો કે –”નું રસદર્શન
– જુગલકીશોર.
વસંતને કહેજો કે એકલી ના’વે :
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે ?…વસંતને૦
ગુંબજ ગજાવતા ઘેરી ઘટાના
ટહૌકા બેએક લઈ આવે
કે કોઈના અજજડ અબોલા મુકાવે !…વસંતને૦

બળતા પલાશના દાઝેલા અંગના
અંગારા એકબે લાવે
કે કોઈનું કજળેલું કાળજું ધખાવે !…વસંતને૦
ચંદનના વગડેથી વરણાગી વાયુની
લહરી એકાદ લઈ આવે
કે સ્થિર કોઈ પાંપણનું પાન ફરકાવે !
– જયંત પાઠક (‘બુદ્ધિ પ્રકાશ’ માર્ચ/૬૫માંથી)
––––––––––––––––––––––––––––––––––––––––––
વસંત જેવી ઋતુ, અરે ઋતુઓનો રાજા જ કહો ને. એ જ્યારે વીલસવા તૈયાર હોય ત્યારે એને એકલું રહેવાનું ફાવે ભલા ?! કાવ્યસર્જકને આ વાતની ખબર છે જ. એટલે જ કદાચ સર્જક વસંતને સીધુ જ સંબોધીને કહેતા નથી ! એ તો પાછા કોઈ અન્ય દ્વારા કહેવડાવે છે કે, ‘વસંતને કહેજો કે….’
શા માટે વસંત એકલી ન આવે ? તેનાં કેટલાંક કારણો કવી આપણી સમક્ષ મુકે છે. એમણે જે જે વસ્તુને સાથે લાવવા કહ્યું છે તે બધી વસ્તુ તો તેઓ ન કહેવડાવે તો પણ વસંતની સાથે આવવાની હતી જ. કવીને જેમ તેની ખબર છે તેમ આપણને–ભાવકને પણ ખબર છે જ. ને છતાં સર્જક કહેવડાવે છે કે વસંતને કહેજો કે એકલી ના’વે !
આ કાવ્યની જે મજા છે તે સાથે આવનારી ચીજો પાસે કવીએ રાખેલી અપેક્ષાઓ છે. દરેક ચીજ જે વસંતની સાથે લાવવાની છે તે ચીજમાં કોઈ ને કોઈ વિશેષતા જોવા મળે છે. ને એ વિશેષતાઓને દર્શાવવાનું જ જે પ્રયોજન તે આ કાવ્ય !!
વળી વસંતની સાથે આવનારાં આ તત્ત્વો માનવીય નથી. એ બધાં પ્રકૃતિનાં તત્ત્વો છે. એની પાસે કંઈક ને કંઈક એવો જાદુ છે જે માનવીના મનનાં–જીવનનાં સુક્ષ્મ સંચલનોને તીવ્રતાથી અસર કરનારાં છે. કાવ્યમાં કવીએ આ તત્ત્વો પાસેથી કામ લેવામાં જબરી કરામત કરી છે. કુલ ચાર પરીસ્થીતીઓને બતાવી છે ને દરેક સ્થીતીની મુંઝવણને દુર કરવામાં આ તત્ત્વોનો સહારો માગ્યો છે.
આખા કાવ્યમાં એકલતાની, વીરહની, સંબંધોમાં પડેલી કોઈ તીરાડની ને ગુમસુમ થઈ ગયેલી કોઈ યુવાનીની વેદનાઓને દર્શાવાઈ છે. આ વેદનાઓની તીવ્ર અનુભૂતિને સીધી રીતે ન મુકતાં કવી પહેલાં તો વસંતનાં સાથીદારોને આગળ કરે છે. એમને સંભારીને પછી પેલી મુંઝવણોને, વેદનાભરી સ્થીતીને દર્શાવવે છે ને પછી વેદનાનો અંત કલ્પે છે.
સૌ પ્રથમ એકલતા બતાવી છે. એકલતાની વેદનાને એમણે સાવ ગામઠી ભાષાના શબ્દપ્રયોગથી પ્રયોજી છે : ઓછું આવવું; લાગી આવવું; માઠું લાગવું વગેરે. વસંત જેવી ઋતુ બેસવાની હોય અને કોઈનું પ્રીય પાત્ર દુર હોય ત્યારે એકલા પડેલા પાત્રના હૈયાને ઓછું ન આવે ? અણોહરું ન લાગે ? આવે જ સમયે દુર જનારાનું માઠું ન લાગે ?
મનની આ અતી સુક્ષ્મ સંવેદના છે. વેદનાના તીવ્ર આઘાતો અહીં નથી. ને તેથી જ કવીએ આ સુક્ષ્મ વેદનાનો ઉપાય પણ બહુ જ કોમળ તત્ત્વ દ્વારા સુચવ્યો છે. દર્દ જો કોમળ છે તો ઉપચાર પણ કોમળ જ જોઈએ ! કહે છે –
“પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે મંજરીઓ લીમડાની લાવે…”લીમડાનાં ફુલો કેટલાં નાજુક હોય છે ! એને મંજરી કહ્યાં છે. તે પણ જથ્થાબંધ માગ્યાં નથી…એકબે જ બસ છે, હૈયાને ઓછું ન લાગવા દેવા માટે ! ચામડીના રોગોમાં લીમડાનાં પાનની ડાળખીને શરીર પર ફેરવીને એ રીતે ખંજવાળને સંતોષવાનો રીવાજ છે. આળી થઈ ગયેલી ચામડી પર લીમડાની આ ‘તીરખી’નો સ્પર્શ જ ચાલે, વધુ જોર અહીં આપવાનું ન હોય ! (મુગલે આઝમનું પેલું દૃષ્ય યાદ આવે છે, જ્યારે સલીમ એની અનારકલીના મોં પર કોમળ પીંછું ફેરવે છે તે ?)
ને લીમડાની આ ડાળખીનું વર્ણન કેવા શબ્દોથી કર્યું છે !! પ, મ અને લ જેવા સાવ કોમળ ઉચ્ચારના અક્ષરોનું સાતત્ય કાનનેય કેવું ગમી જાય છે !! આ અલંકાર અહીં કેવો જામે છે !
બીજી વેદના છે, “કોઈના અજજડ અબોલા”ની ને એને મુકાવવાની જરુર ! અજ્જડ અબોલડાને તોડવા માટે તીવ્ર અને ગુંબજનેય ગજવી મુકે એવો જોરદાર અવાજ એક માત્ર અસરકારક ઉપચાર બની શકે…અને કોયલના ટહુકાથી વીશેષ બીજું શું હોઈ શકે આ સમયે ?! કવીએ કોયલનું નામ પણ લીધા વગર કોયલનો પરીચય કરાવ્યો છે ! ઘેરી ઘટાનો ટહુકો કહીને કોયલની હંમેશાંની સંતાતા રહેવાની શરમાળ પ્રકૃતીનોય ઉલ્લેખ અહીં થઈ જાય છે.
દર્દ જબરું છે, ને દવા પણ જોરદાર જ જોઈએ તેથી ગ, ઘ અને ટ જેવા અક્ષરોને બેવડાવીને પછી કવીએ ‘ટહૌકા’ શબ્દથી ઉપચારની અસરકારકતા બતાવી છે કે શું ?! “ગુંબજ ગજાવતા, ઘેરી ઘટાના ટહૌકા બેએક”વાળી પદાવલી સાંભળો તો ખ્યાલ આવશે કે કોમળ સ્વરો અને તીવ્ર સ્વરો એ કાંઈ ફક્ત સંગીતનો જ વિષય નથી ! કાવ્યના અર્થને પ્રગટાવવામાં આ ધ્વનીઓનો પણ લાભ લેતાં આવડવું જોઈએ.
ત્રીજું દરદ જરા આકરું છે…આ દરદ લગભગ ક્રોનીક જેવું, આયુર્વેદ જેને કષ્ટસાધ્ય કહે છે તેવું છે !! વીયોગના અતીરેકથી કોઈનું કાળજું ઠરી ગયું છે ! કાળજાની ઉષ્મા પર રાખ વળી ગઈ છે. સર્જકે અહીં પણ ગામઠી શબ્દપ્રયોગ કર્યો છે. દેવતા જ્યારે ઠરવા લાગે ત્યારે તેના પર રાખ વળવા લાગે છે. આ કજળી જવાની સ્થીતી સારી નથી તેમ સાવ આશા છોડી દેવા જેવી પણ નથી…કષ્ટસાધ્ય જોકે ખરી !
આ દર્દની દવા માટે કવીએ જે ઉપાય બતાવ્યો છે તે આ કાવ્યનું મજાનું પાસું છે. કેસુડાનાં ફુલો જેમણે જોયાં છે તેમને ખબર છે કે કેસુડાની ડાળી સાવ કાળા રંગની હોય છે ને એનાં પર તીવ્ર કેસરી રંગનાં ફુલો (જેના મુળમાં પણ કાળો જ રંગ હોય છે), તે બળી ગયેલી પૃષ્ઠભુમી પર ધગધગી રહેલા અંગાર જેવા શબ્દોથી ચીંધાયેલાં કેસુડાનાં ફુલો માટે કેવી સચોટ યોજના બતાવી આપે છે ! કોઈના કજળી ગયેલા કાળજાને ફરી ધગધગતું કરવા માટે લુહારની ધમણનો અગ્ની જોઈએ !! કવીએ પલાશપુષ્પોની રંગલીલાનો અહીં ભરપુર ઉપયોગ કર્યો છે.
ને છેલ્લે કાવ્યમાંની નાયીકાના મનોભાવનું અત્યંત સુંદર નીરુપણ થયું છે. વીરહની અસરને તાદૃષ્ય કરીને સર્જકે અપલક પાંપણે પીયુની રાહ જોતી નાયીકાને લગભગ કોમામાં હોય તેવી સ્થીતીએ બતાવી છે ! પાંપણો સ્થીર થઈ જાય તે કઈ સ્થીતીએ નાયીકા પહોંચી ગઈ છે તે બતાવે છે.
ને એ જ પાંપણને પાંદડાના રુપકથી રજુ કરીને કવીએ કલાની બીજી તરકીબો પણ પ્રગટ કરી છે…કાવ્ય જેવી અત્યંત નાજુક કલાને પ્રગટ કરવામાં કેટલી કાળજી સર્જક લઈ શકે તેનું માપ આ પંક્તીઓમાં નીકળે છે. પાંપણના પાનને ફરકાવવાની અત્યંત નાજુક કામગીરી કરવાની છે. સહેજ પણ ધક્કો વાગે તેવા ઉપચારો અહીં જોખમી પુરવાર થઈ શકે છે. દરદ નાજુક સ્થીતીએ છે, દવા પણ એવી જ હોવી જોઈએ. કયો ઉપચાર સુચવાયો છે અહીં ? જુઓ –
“ચંદનના વગડેથી વરણાગી વાયુની લહરી એકાદ લઈ આવે” બીજું કંઈ જ ન કહેતાં ફક્ત એક જ શબ્દ તરફ આંગળી ચીંધું છું…..“વરણાગી વાયુ”માંનું વિશેષણ જુઓ. વરણાગી શબ્દની પસંદગી આ રોગના ઉપાય તરીકે કેટલી અકસીર દવા બની જાય છે !! (વગડો શબ્દ મને થોડો ખુંચ્યો છે. વનરાઈ જેવો શબ્દ ત્યાં હોત તો સારું હતું.)
ભાવકો ! કાવ્યમાં સર્જક જે લીલાઓ કરે છે તેનો આ તો એક નમુનો છે. કાવ્ય એટલે શબ્દોને આડેધડ ગોઠવી દેવા એમ નહીં. કોઈ સારો વીચાર કે વીચારની ચમત્કૃતીને કાવ્યમાં ઠઠાડી દેવાથી કાવ્ય બનતું નથી…અરે કાવ્યને તો “બનતું” પણ ન કહેવાય. એ તો આપોઆપ સર્જાઈ જાય છે. શબ્દો, પદાવલીઓ, અલંકારો તો આપોઆપ સર્જકને વશ વર્તીને ચાલ્યા આવે છે.
આજે આટલું. વસંત–ગ્રીષ્મનાં કાવ્યોમાં વધુ હવે પછી.
Like this:
Like Loading...