• તું રાહ જો.

    “ભુખ્યાંજનોનો જઠરાગ્ની જાગીયો ?”

    “એતો સુતો ક્યાય હશે અભાગીયો !”

    “ક્યારે પ્રભુજી અવતાર ધારશે ??
    ક્યારે ભુખ્યા પેટની આગ ઠારશે ?
    ક્યારે થશે આતમ શાંત બાપડો ?

    ઉધ્ધાર થાશે શું કદીય આપડો ??!”

    “તું રાહ જો, અગ્ની જરુર ‘લાગશે’ !!

    – જુ. ૮/૧૧/’૦૯

  • નસીબનો ડંખ્યો…

    કર્મનો સીદ્ધાંત ક્યારેક મોટી છટકબારી જેવો જણાય છે.

    ગરીબોની દશા જોઈને કશું ન કરી શકનારાઓ, કે પછી ગરીબોની ગરીબી કાયમ રાખીને પોતાની છલકતી તીજોરીઓને ન્યાયી ગણાવનારાઓ,

    આ કર્મના સીદ્ધાંતને નામે અસમાનતાને પોષે છે. ‘યદા યદાહિ ધર્મસ્ય’વાળું રુપકડું વાજું વગાડવાનું હવે સૌને ફાવી ગયું છે, ગમી ગયું છે. કોઈ ગરીબોની મદદે આવવાનું નથી.

    કારણ ???

    એઓનાં પુર્વ–કર્મોનુ ફળ !!! ( જય હો )

  • સહપાઠીઓ

    • 23,914
  • હાજર

  • નેટજગત

  • free counters
  • Archives

ભુખ્યાંજનોનો જઠરાગ્ની મારશે(ભુખ્યાંને જ) !!

સહયોગીઓ !

તા. ૭મીના છાપાની રાજકોટપુર્તીમાંના સમાચાર અક્ષરશઃ નીચે આપ્યા છે. છ છ જણાના કુટુંબનો વડો જુવાનીયો સમગ્ર કુટુંની ભુખ સહી ન શક્યો ને વેદનાનો ને શરમનો માર્યો લટકી ગયો !!

સ્વતંત્ર દેશનો એક કુટુંબ વત્સલ જવાન આવી રીતે મોતને વહાલું કરે ત્યારે શું કહીશું સ્વાતંત્ર્યને, લોકશાહીને, અબજોના અબજોમાં આળોટતા ને સંપત્તીનો રાતદી’ દેખાડો કરી કરીને ગરીબોની આંતરડી કકળાવતા રહેતા નટનટીઓ–રમતવીરો–નેતાઓને –

ને છાપું વાંચીને પસ્તી માટે એ સમાચારોને સાચવીને મુકી દેનારા મારા જેવાઓને….

ને

એકનો એક મોભી ગુમાવીને પછાડીયું ખાતાં પાછળ ટટળતાં રહી ગયેલાં ગામડાના એ કુટુંબના સૌ સભ્યો  !!!

આ સમાચારની વેદના કરતાંય મોટી વેદના તો એ છે કે આઝાદ દેશની આ દશાનો કોઈ ઉપાય પણ નથી ! શરમના માર્યા મોં સંતાડીને ડુસકું ભરી લેવા સીવાય કે આને બ્લોગ પર મુકીને બેસી રહેવા સીવાય મને કાંઈ સુઝતું નથી.

ભગવાન ભુખ્યાં જગાડે છે પણ કોઈને ભુંખ્યાં ઉઠાડતો નથી એ વાત કેવી મશ્કરી છે, ગરીબોની ને આવાં વાક્યોથી સંતોષ માનીને હાથ ખંખેરી નાખનારાં શ્રધ્ધાખોરોની ?!

––––––––––––––––––––––––––––––––––––––––––––

વાંચો –

અશક્ત માતા-પિતા અને ત્રણ નાના ભાંડેરાઓને ભૂખ્યા જોઇ નહીં શકતા યુવાને પગલું ભર્યું

ગુજરાતમાં કરોડો રૂપિયાના એમઓયુ અને ઉધોગ ધંધાની વાત માત્ર ચોપડા પર જ છે. વાસ્તવિકતા કંઇક જુદી છે. સામાન્ય માનવીને રોજે રોજનું કમાઇને ખાવામાં પણ તકલીફ છે. આવા જ એક કિસ્સામાં રાજકોટના ઘંટેશ્વરમાં બબ્બે દિવસથી ઘરમાં અનાજનો દાણો નહોઇ ભૂખે ટળવળતા નાના ભાંડેરાઓ અને માતા-પિતાની હાલતથી દ્રવી ઉઠેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઘંટેશ્વર ૨૫ વારિયા કવાર્ટસમાં રહેતા દેવીપૂજક સુરેશ રામજીભાઇ દસાડિયા (ઉ.વ.૨૪)એ પોતાના ઘરે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ફોજદાર જી.જે. ઝાલા અને રાઇટર તસ્લીમ રીઝવી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર ભાઇ એક બહેનમાં બીજા નંબરનો સુરેશ છૂટક મજૂરી કરતો હતો એક વર્ષ પૂર્વે મોટા ભાઇનું બીમારીથી મૃત્યુ થતાં પરિવારની જવાબદારી સુરેશના ખભ્ભે આવી હતી. મજૂરી કરી દેવીપૂજક યુવાન ૧૦,૧૨ અને ૧૪ વર્ષની વયના ત્રણ ભાઇ, એક બહેન અને બીમાર માતા-પિતા સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

છેલ્લા પાંચેક દિવસથી સુરેશને કોઇ કામ ધંધો મળ્યો નહતો. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે ત્યારે રોજેરોજનું કમાઇને ખાતો સુરેશના ઘરમાં બે દિવસથી અનાજનો દાણો પણ નહતો. નાના ભાઇ બહેન અને બીમાર માતા-પિતાની ભૂખ જોઇ દ્રવી ઉઠેલા સુરેશે જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો. અને રાત્રે ઘરના બધા સભ્યો સૂઈ ગયા ત્યારે યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો.

ઘરના આધારસ્તંભસમા યુવાનના પુત્રના આપઘાતથી શોકના દરિયામાં ડૂબી ગયેલા પિતા રામજીભાઇ અને માતા રાધાબેને કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

અંતિમવિધિ માટે ફોજદારે આર્થિક સહાય કરી
મૃતકના પરિવાર પાસે તો ફૂટી કોડી પણ ન હતી. એ સંજોગોમાં દયાળુ ફોજદાર જી.જે. ઝાલા અને રાઇટર તસ્લીમ રીઝવીની આંખો પરિવારની ગરીબી જોઇ ભીંજાઇ ગઇ હતી અને બન્નેએ અંતિમવિધિ માટે આર્થિક સહાય કરી હતી.

કલમાગ્નીના તણખા !

દલીત–જનવાદી રચનાઓની પ્રસાદી

(નયામાર્ગ તા. ૧, ૧૧, ૦૯ના અંકમાંથી સાભાર)

*************************************************

ધાર હોય છે


તેના રચેલ શબ્દને આકાર હોય છે

આ વેદના ભલેને નીરાકાર હોય છે.

તેને   નકારનાર  નકારે   ઉજાસને

સમતા સમાનતા વીના અંધાર હોય છે.

મુક્કી નથી ઉગામતા તો માર હોય છે

સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે

હારી નથી જવાના ચરણ થાકવા છતાં

પ્રત્યેક શ્વાસમાં નવો રણકાર હોય છે

ને એટલે તો કોઈ નીરાધારમાં નથી

સૌને ક્ષીતીજ પારનો આધાર હોય છે

– એ.કે.ડોડીયા.

*****

તાળું

ન સાંકળ ચડાવી અને માર્યું તાળું,

ક્ષીતીજથી ક્ષીતીજ એમ વીસ્તાર્યું તાળું !

અવીશ્વાસ પરણ્યો નરી લાલસાને,

પુરા દીવસે એક અવતાર્યું તાળું  !

વગર આંકડાની રકમ એક ધારો !

તમે એમ બોલ્યા ને મેં ધાર્યું તાળું !

ઝરુખેથી બોલ્યા – પધારો, પધારો !

હતું બારણે કીંતુ અણધાર્યું તાળું !

મને મેં જ ચહેરાનો પર્યાય પુછ્યો !

વીચારોને અંતે મેં ઉચ્ચાર્યું – તાળું !

તમે જોડણીદોષને ‘ખ્વાબ’, જીવ્યા !

તમે તો ઉધાર્યું, ન ઉધ્ધાર્યું તાળું !

મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’

*****

हमारा

गला हमारा, गाना उनका

पेट  हमारा, खाना उनका

सडक हमारी, कारें उनकी

संसद में  सरकारें उनकी

अक्षय जैन

****************************

ચાલો અંધકાર મીટાવી દઈએ આપણે

ખરી   દીવાળી  મનાવીએ   આપણે !

***

ઈસુને ખીલા જડેલા છે,

છતાં લોકોને મળેલા છે.

અરે ! ખીલા તો શું આ લોકો

દુનીયા આખીને નડેલા છે !

***

આજ નહીં તો કાલ એકતાના તારે બંધાવું પડશે,

સંગઠીત  થઈ  અતુટ  સાંકળે  ગુંથાવું   પડશે.

– માનસીંહ ચાવડા. (‘હવે તો જાગો !’માંથી)

જોડણી – કેટલાક શોર્ટ–કટ્સ.

– જુગલકીશોર.

(જોડણીના નીયમોની ભાષા પણ અઘરી હોય ત્યારે તે બધા ઘણી વાર તો સમજાતા જ નથી હોતા ! દા.ત. જુઓ નીચેનો પહેલો જ શોર્ટકર્ટ. તે મુળ નીયમ આમ છેઃ “અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ કરવું.” અહીં અલ્પ અને મહાપ્રાણ બન્ને શબ્દો સમજવા જ પડે. દ્વીત્વ કરવું એને બદલે એ અક્ષર બેવડાવવો એમ ન લખી શકાય ?! પણ ના, વીદ્વાનો માટે જ કરવામાં આવેલા આ નીયમોની ભાષા પણ અઘરી બનાવીને આપણે ગુજરાતીનું ગૌરવ કરવામાં માનવાવાળા !)

૧) પાસે પાસેના બે અક્ષરોથી જોડાક્ષર બને ત્યારે પાછલો અક્ષર બેવડાવવો. દા.ત. ક અને ખ; દ અને ધ. (મારા એક લેખમાં મેં આ અલ્પ અને મહાપ્રાણને બહુ સહેલી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો હતો. અલ્પપ્રાણ એટલે જેને બોલતાં મોંમાંથી હવા ઓછી નીકળે અને મહાપ્રાણ એટલે જે અક્ષર બોલતાં હવા વધુ જોરથી ફેંકાય તે ! જેમ કે ક કરતાં ખમાં; ગ કરતાં ઘમાં; ચ કરતાં છમાં અને જ કરતાં ઝમાં હવા વધુ ફેંકાય છે. આ અંગેના મારા લેખનું શીર્ષક જ એવું હતું કે કોઈ ન જુએ એમ આ બધું શીખવાનું છે !! ક બોલતી વેળા જો તમે હવા વધુ જોરથી ફેંકશો તો તમે ક નહીં પણ ખ જ બોલી શકશો, ને ખ બોલતી વેળા હવા ફેંકવામાં કરકસર કરશો તો ખ ને બદલે ક જ ઉચ્ચારાશે !!) આ શોર્ટકટનાં ઉદાહરણો –

ચોક્ખું શબ્દમાં ક (અલ્પપ્રાણ) અને ખ (મહાપ્રાણ) બન્ને જોડાય ત્યારે ગુજરાતી શબ્દોમાં પાછલા અક્ષરને જ બેવડાવવો. ચોખ્ખું એમ જ લખાય. એવી જ રીતે પત્થર નહીં પણ પથ્થર જ લખવાનું; સુદ્ધાં નહીં પણ સુધ્ધાં. (તત્સમ શબ્દોમાં આ નીયમ લાગુ પડતો નથી)

મારાં કેટલાંક આ વીષય પરનાં લખાણો માટે આ લીંક્સ જુઓ –

http://jjkishor.wordpress.com/2007/12/15/vyakaran-3/

http://jjkishor.wordpress.com/2007/12/18/vyakaran-2/

http://jjkishor.wordpress.com/2007/12/19/vyakaran/

http://jjkishor.wordpress.com/2008/01/05/vyakaran-6/

૨) કયા કયા શબ્દો છુટા કે ભેગા લખવા ?

*  જ એક શબ્દ ગણીને તેને હંમેશાં જુદો જ લખાય. જેમ કે તેને જ મોકલશો.

*  એવી જ રીતે કે ને જુદો લખવો. જેમ કે; કેમ કે; કારણ કે, જાણે કે વગેરે.

* તોપણ અને જોકે હંમેશાં સાથે જ લખાય છે.

* ય હંમેશાં ભેગો જ રાખવો. જેમ કે “હુંય સાથે રહીશ.” તોય તમે માનવાના  નહીં”

*  પ્રત્યયો હંમેશાં ભેગા જ લખવા. જેમ કે, ના, ની, નું, ને, નો, થી. “તેના, તેને, તેનો, મારાથી, વગેરે.

*  ઉપર, પાસે, નજીક, થકી, વડે, કાજે, માટે વગેરેને શબ્દથી અલગ જ લખાય છે. જેમ કે છાપરા ઉપર; ઘર નજીક; હથોડી થકી.

* દ્વારા અલગ રાખવાનું હોય છે, પણ પુર્વકને ભેગું રખાય છે. જેમ કે, “તમારા દ્વારા.” પણ “સમજણપુર્વક”

* સમાસના બન્ને શબ્દો સાથે જોડાયેલા રહે છે. જેમ કે, ચારપાંચ, ઘરબાર, કમરબંધ વગેરે. છતાં બન્ને અક્ષરો મળીને ઘણી વાર શબ્દ લાંબો બને ત્યારે તેની વચ્ચે રેખા મુકાય છે. જેમ કે, ચડતી–પડતી.

ખીસ્સાકોશ વસાવી, નુસખાઓને વાગોળીશું ?!

– જુગલકીશોર.

 

નુસખો આઠમો

ચાર કે તેથી વધુ અક્ષરોના શબ્દોમાં પહેલો અક્ષર ઇ કે ઉ હ્રસ્વ હોય છે.

નિરધાર, હિલચાલ, વિખવાદ, ઉતરાણ, ઇમારત, મિલાવટ, શિખામણ, ચુકવણું,

રિસામણી, રિબામણી, સુકવણી, બિહામણું,

ઉતરડ, ઉધરસ, કુદરત, ઉતરામણ, ઉકળાટ, ઘુરકાટ, ઉકરડો, ઉજવણી, ઉગમણું, ફુલણિયું, હુલામણું, ઉપજાવી, સુધરાવી, ઠુકરાવી, ઉપકરણ, ઉજળિયાત, ઉદાહરણ વગેરે.

આ બધામાં પ્રથમ અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ જોવા મળે છે.

નુસખો નવમો

ગળ આપણે જોયું હતું કે ત્રણ અક્ષરના શબ્દોમા પ્રથમ અક્ષર જો હ્રસ્વ ઇ–ઉ હોય તો વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય છે ને પ્રથમ અક્ષર જો દીર્ઘ ઈ–ઊ હોય તો વચ્ચેનો અક્ષર હ્રસ્વ/લઘુ હોય છે.

એવી જ રીતે ત્રણ કે ચાર અક્ષરના શબ્દોમાં જો પ્રથમ અક્ષર ઈ કે ઉથી શરુ થતો ન હોય તો તેવા શબ્દોનો વચલો અક્ષર દીર્ઘ હોય છે. (ચાર અક્ષરોમાં બીજો અથવા ત્રીજો.)

વજીર, કથીર, ગંભીર, જાલીમ, જાગીર, સમીર, વકીલ, વડીલ, અનોખું, અદીઠું, પડીકું, તંતીલું, નજીવું, ઘાટીલું, ઝેરીલું, અધૂરું, નશીલું, બડૂકો, બડીકો, હઠીલો, ઢબૂડી, લબૂક, કેસૂડો, ખજૂરો;

વહીવટ, હકીકત, નસીયત, તકલીફ, કબૂતર, ટચૂકડું, ટબૂકલું, અવધૂત, તરબૂચ, મજબૂત વગેરે.

કેટલીક ખાસ પરીસ્થીતીઓ હોય છે જેમાં આપણે આગળ જોયા તેવા નીયમોમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે –

બે શબ્દો મળીને કોઈ શબ્દ બનતો હોય ત્યારે તેના મુળ શબ્દના અક્ષરોની સંખ્યા વધી જાય છે. તેથી બે કે ત્રણ અક્ષરના શબ્દોને લાગુ પડતા નીયમોમાં બદલાવ આવતો જોવા મળે છે. દા.ત.

૧)  મુળ ક્રીયાપદને કે અન્ય કોઈ શબ્દની પાછળ પ્રત્યય લાગે ત્યારે પણ તે શબ્દના અક્ષરો મુળ શબ્દથી વધી જાય છે. જેમ કે, શીખવું પરથી શીખનાર કે શીખવનાર બનશે તથા મૂરખ પરથી મૂરખાઓ વગેરે. અહીં આગળ જોયેલો નીયમ “વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર લઘુ હોય છે” તે જળવાતો નથી.

૨)  વીશેષણ પરથી નામ બને ત્યારે મૂળ જોડણી બદલતી નથી. જેમ કે, મીઠું પરથી મીઠાશ, શીતળ પરથી શીતળતા, દૂબળું પરથી દૂબળાપણું વગેરે.

૩)  સમાસ બનતો હોય ત્યારે સમાસના શબ્દોથી બનેલા શબ્દના અક્ષરો વધે છે; આવે સમયે પણ મુળ નીયમ જળવાતો નથી. જેમ કે, ઊઠવું, બેસવું મળીને થતો શબ્દ ઊઠબેસ, ફૂલઝાડ, લીલીસૂકી વગેરે.

હવે છેલ્લે કેટલીક એવી પરીસ્થીતીઓ પણ જોઈએ જેમાં મુળ શબ્દની જોડણી બદલી જતી હોય.

૧)  નામ ઉપરથી વીશેષણ બને ત્યારે મુળ જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,

ખૂણો પરથી ખુણીયાળું, દૂધ પરથી દુધાળું, મૂછ પરથી મુછાળું, સૂતર પરથી સુતરાઉ, ખીચડી પરથી ખિચડિયુ વગેરે.

૨)  ક્રીયાપદ ઉપરથી નામ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,

ઊતરવું પરથી ઉતારો; ચીતરવું પરથી ચિતારો કે ચિતરામણ; ઊછળવું પરથી ઉછળાટ, શીખવું પરથી શિખામણ, શિખવણી.

૩)  ક્રીયાપદ પરથી વીશેષણ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,

પીરસવું પરથી પિરસણિયો; ઊલળવું પરથી ઉલાળો કે ઉલાળ; ભૂલવું પરથી ભુલકણું.

૪)  ક્રીયાપદનાં પ્રેરક કે કર્મણી રુપો બને ત્યારે જોડણી બદલે છે. જેમ કે,

મૂકવું પરથી મુકાવવું, મુકાવું; ઊઠવું પરથી ઉઠાડવું, ઉઠાવું; શીખ પરથી શિખવાડવું, શિખવવું. (શીખવું ક્રીયાપદ આજે આપણે લગભગ બધા જ અપવાદોમાં જોયું છે !! અને દરેક સ્થળે તે અલગ દેખાય છે.)

ઉપર જ આપણે જોયું કે કેટલીક પરીસ્થીતીઓમાં મુળ શબ્દની જોડણી બદલી જાય છે, પણ હવે એક મોટો તફાવત પણ અહીં જ જોઈ લેવો જરુરી છે.

“સાનુનાસીક સ્વરોવાળા શબ્દોમાં મુળ જોડણી જેમની તેમ જ રહે છે. દા.ત. ઊંઘ, ગૂંથ, ફૂંક, લૂંટ, ખૂંચ, ખૂંદ.

ઊંઘ પરથી ઊંઘાડવું, ઊંઘાવું, ઊંઘાળ, ઊંઘણશી.

લૂંટ પરથી લૂંટાવવું, લૂંટાવું, લૂંટાઉં વગેરે.

છેલ્લે, કેટલાક પુછાયેલા સવાલોના ખુલાસા રુપે એક વાતની સ્પષ્ટતા કરવાની કે,

આ બધા નીયમો મોટે ભાગે તદ્ ભવ શબ્દોને માટેના જ છે. તત્સમને આપણા ઘણા નીયમો લાગુ પડતા નથી કારણ કે જોડણીકોશનો પહેલો જ નીયમ તત્સમ શબ્દોને અલગ ગણીને તેને તે જ્યાંથી (જે ભાષામાંથી) ઉતરી આવ્યા હોય તે તે ભાષાના નીયમો જ લગાડવાનું કહે છે.

સહપાઠીઓ !

કેટલાક નુસખા આપણે સહેલી જોડણી કરવાના જોયા. આના જ ભાગ રુપે કેટલાક નીયમોને હજી પણ જોવા જેવા છે. આ નીયમો અંગે હું સતત અભ્યાસ કરીને શીખી/સમજી રહ્યો છું. થોડા સમય પછી એ નીયમોને પણ આપણે સ્પર્શ કરીશું.

પરંતુ આ નાનકડા પ્રયાસને અંતે રજા માગવા કરતાં મને તો એક વચન સૌ પાસેથી લેવાની પ્રબળ ઈચ્છા છે !! આજથી જ સૌ એક સંકલ્પ કરે કે અમે સૌ શુદ્ધ ગુજરાતી લખવાનો ભરસક પ્રયત્ન કરીશું અને,

ખાસ તો એક નાનો ખીસ્સાકોશ તો જરુર વસાવીને એનો સતત ઉપયોગ કરતાં રહીશું.

સૌને શુભેચ્છાઓ સાથે વંદના.

કલમી આગના કેટલાક તણખા !!

‘નયા માર્ગ’ દર પખવાડીયે કાવ્યોમાં સાંપ્રત એવા શીર્ષકથી કાવ્યો પ્રગટ કરે છે. આ કાવ્યો નર્યા તણખા જ હોય છે. આજે કેટલાક તીખારા અહીં પ્રસ્તુત કરું છું. – જુ.

––––––––––––––––––––––––––––––––––—————————–

બે લઘુ કાવ્યો

)

દીવાનો પર્યાય બનવાની

મથામણ કરનારા લોકો

દીવાનો પર્યાય બને

તે પહેલાં દીવો

એમનો પર્યાય

બની જાય છે !

૨)

ધા અડકી શકે છે

પણ બધા

સ્પર્શી નથી શકતા;

બધા લોકો

બધા લોકોને

આકર્ષી નથી શકતા !

– મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’

–––––––––

શ્લોકત્વ

પારધીના છુટેલા બાણથી

ખંડીત થયું ક્રૌંચ યુગલ

શોકમાંથી શ્લોકત્વ

અને પછી

રચાયું રામાયણ

આજે…

છુટતી ગોળીઓ અનેક

બોમ્બમારા પણ વારંવાર

એસીડ બલ્બ ફેંકવા ન કંઈ નવી વાત

અને

અચાનક થતા સ્ટેબીંગ

ખંડીત થતાં કંઈ કેટલાંય યુગલો

અને સમગ્ર પરીવારો પણ

પરંતુ

શોકમાંથી શ્લોકત્વ ક્યાં ?

અરે, શોક જ ક્યાં ?

અને હા,

છે વાલ્મીકીયે ક્યાં ?

કાલીન્દી પરીખ

–––––––––––

ક્યતા

મૃદુ આંગળીઓને કાપી શકો છો

પછી રક્ત બાળીને તાપી શકો છો

હું મૃત છું કે જીવંત, સરખું છે બંને

ગમે તે ખબર મારી છાપી શકો છો

મુબારક તમોને અષાઢી સરોવર

મને માત્ર જળપ્યાલી આપી શકો છો

હવે બુતપરસ્તીની દરકાર શાની

સ્મરણમુર્તી મનમાંહે સ્થાપી શકો છો

ખખડધજ ને બીસ્માર ભીંતોની ઉપર

ગઝલ નામનાં છાણાં થાપી શકો છો

હવે ‘રાહી’ ખુદ માટે કરશે દુઆઓ

તમે ક્યાં કોઈ મંત્ર જાપી શકો છો

એસ. એસ. રાહી

–––––––––––

સુરજમાં, જગ હવે !

પુર્વવત્  થૈ જાવ મારા પગ હવે

જોઈ જોઈ રાહ થાક્યા નગ હવે !

શબ્દ–સીડી–સર્પની… જુગટે ચડી

બહુ થયું, ઝાઝો ન ખુદને ઠગ હવે !

લે, થયો ઉભો પડી ચુક્યો પવન,

આભ પણ ખુલ્લું થયું છે, ચગ હવે !

ચૈત્યને સંચાર વહેતી થઈ ફરી;

અધવચે અટકી ગયેલી રગ હવે.

લે, સમેટી સર્વ ગ્લાની સોડથી;

જગ રહ્યું જાગી સુરજમાં, જગ હવે.

– કીસન સોસા.

–––––––––––––––

વવર્ષકી મંગલ કામનાઓં કે સાથ


સુરજકી હડતાલ ઢીંઢોરા પીટવા દો


જુગનુ હુએ દલાલ ઢીંઢોરા પીટવા દો

ચઢ રહે ગાલ પે ગાલ ઢીંઢોરા પીટવા દો

જીન્ના સે પરવેજ તલક હુઈ ગુટુર ગુટુર

સુલઝે નહીં સવાલ ઢીંઢોરા પીટવા દો

સંસદ સે પંચાયત તક મંડુક મીલે

સબ નેતા ઘડીયાલ ઢીંઢોરા પીટવા દો

ભીખ માંગ સત્તા કી સીઢી ચડ કર કે

હો ગયે માલામાલ ઢીંઢોરા પીટવા દો

જન સેવા ઔર દેશ ભક્તી કરને વાલે

સબ કે સબ દગ્ગાલ ઢીંઢોરા પીટવા દો

યે કર દેંગે વો કર દેંગે કહને વાલી

મછલી ફંસ ગઈ જાલ ઢીંઢોરા પીટવા દો

– રમેશ હઠીલા

–––––––––––

(ગુજરાતી પાક્ષીક ‘નયા માર્ગ’

http://nayaamaarg.googlepages.com/homepage

૧૬ ઓક્ટોબર, ૦૯ –માંથી સાભાર)

નવું વરસ; જોડણી સરસ !

સહપાઠીઓ,

આપણે અડધે રસ્તે પહોંચી ગયા કહેવાઈએ. છતાં કોશના ૩૩ નીયમોથી તો બહુ દુર છીએ. આ બધા નીયમોને સુક્ષ્મ રીતે પાળવાનું લગભગ અશક્ય જેવું છે. આ લખાણોમાં આરંભમાં જ કહ્યું હતું તેમ, અપવાદો વગેરેની ચર્ચા કરવાની નથી. મારે માટે ભયસ્થાન એ છે કે અપવાદો અને કેટલીક વીસંગતીઓની જો ચર્ચા નથી કરતાં, તો નીયમોને ન્યાય મળતો નથી. ને ચર્ચા કરીશું તો ઉંઝાનો પ્રચાર લાગશે.

આપણે આ વચ્ચેનો રસ્તો ખરેખર સારો કાઢ્યો છે. સાર્થ જોડણીકોશ મુજબ કેટલીક મુખ્ય મુખ્ય ચાવીઓને નુસખા રુપે અહીં મુકીને સરળતા શોધી છે, ને સાથે સાથે કેટલાક અગત્યના શબ્દોને જાણી લીધા છે.

આ કાર્યમાં મેં જે પુસ્તકોનું વાચન કર્યું હતું તેની વીગતો આ મુજબ છે –

૧) ‘જોડણી – પ્રવેશ’ લેખકઃ શ્રી રતિલાલ સાં. નાયક પ્રકાશક અનડા; આવૃતી ત્રીજી;

૨) ‘જોડણી સાવ સહેલી’ લેખકઃ પ્રા. ત્રિકમભાઈ પટેલ; પ્રકા. ગૂજ. વિદ્યાપીઠ; ૧૯૯૯

૩) ‘પ્રારંભિક ગુજરાતી વ્યાકરણ’ શ્રી કનૈયાલાલ જોશી; પ્રકા. શબ્દલોક; ૨૦૦૫

૪) ‘કાવ્યમય વ્યાકરણ’ સ્વ. અનંત વા. જાની; પ્રકા. અનડા; ૧૯૯૦.

૫) ‘વિનિત જોડણીકોશ’ ગૂજરાત વિદ્યાપીઠ; બીજું પુનર્મુદ્રણ – ૧૯૮૯.

ખાસ ભલામણ – જેમને પણ ગુજરાતી ભાષા શુદ્ધ રીતે લખવાની હોંશ છે તેમણે કંઈ નહીં તોય નાનો ખીસ્સાકોશ તો ઘરમાં રાખવો જ રાખવો (લાલ કપડું વીંટીને પુજામાં મુકી રાખીને નીત્યદર્શન કરી પાવન થવા પુરતું નહીં જ નહીં !!)

– જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

નુસખો પાંચમો

આ નુસખો સાવ સાદો અને સહેલો જણાય છે. એમાં ઇ અનેઉ બન્ને સાવ સામસામે છેડે બેઠેલા જણાય છે !! જુઓ –

૧) શબ્દને અંતે આવતો ઈ મીંડાવાળો હોય કે મીંડા વગરનો (સાનુસ્વાર કે નીરનુસ્વાર) પણ તે ઈ દીર્ઘ ઈ હશે, જ્યારે

૨) શબ્દને અંતે આવતો ઉ મીંડાવાળો હોય કે વગરનો પણ તે હ્રસ્વ હશે !!

છે ને સાવ સીધી વાત ! જુઓ ઉદાહરણો –

૧) છેડે બધા દીર્ઘ ઈવાળા શબ્દો – સીડી, બીડી, ઉજાણી, સુંવાળી, ધ્રુજારી, ફુદ્દી, ભૂખી, વરિયાળી, સફારી, હોળી, રોગી, માણસાઈ, અકોણાઈ, પાંખડી, રાખડી, આંજણી, જોડણી, ચાંખડી, સરકણી, પરાઈ, ચડાઈ વગેરે

૨) છેડે બધા હ્રસ્વ ઉવાળા શબ્દો – કણુ, સાબુ, વાજુ, ચીકુ, જંતુ, ડાકુ, જાંબુ, દયાળુ, રતાળુ, ઉનાળુ, કમાઉ, કાપડુ, લીસું, ખીરું, ઝીણું, મીઠું, ઈંડું, હીણું, શીળું, નિરાળુ, ઊજળું, તૂટલું, ગરીબડું વગેરે

નુસખો છઠ્ઠો –

આ પણ સાવ સીધોસાદો નુસખો છે. યાદ રાખવાનું છે તે આટલું જ કે

૧) ત્રણ અક્ષરી શબ્દોમાં વચ્ચેનો અક્ષર જો હ્રસ્વ હોય તો પ્રથમ અક્ષર દીર્ઘ કરવાનો અને

૨) ત્રણ અક્ષરી શબ્દોમાં વચ્ચેનો અક્ષર જો દીર્ઘ હોય તો પ્રથમ અક્ષરને હ્રસ્વ કરવાનો !!

હવે જોઈએ ઉદાહરણો –

૧) વચ્ચેનો અક્ષર દર્ઘ હોઈ, પ્રથમ હ્રસ્વ – ઇનામ, નિશાન, દિમાગ, ચિરાગ, હિસાબ, ચિતાલી, નિશાની, દિવાળી, ભિખારી, સિલાઈ, બિચારું, શિખાઉ, ઇશારો, તિખારો, દિલાસો, મિનારો, દિવેલ, વિવેક, તિજોરી, ઉજાસ, જુગાર, દુકાન, સુકાન, મુકામ, ઉજાણી, ઉતારો, દુખાવો, મુછાળો, કુહાડો, તુવેર, ફુદીનો વગેરે

૨) વચ્ચેનો અક્ષર હ્રસ્વ હોઈ પ્રથમ દીર્ઘ – કીચડ, તીરથ, ધીરજ, લીપણ, નીલમ, નીરવ, પીપળ, બીકણ, ટીકડી, દીકરી, ઠીંકરી, ઢીમણું, ચીંથરું, પીપડું, ખીજડો, દીપડો, લીમડો, ઊચક, ગૂગળ, ધૂમસ, પૂનમ, મૂરખ, ઊજળું, દૂબળું, લૂગડું, ડૂસકું, જૂગટું વગેરે.

નુસખો સાતમો –

અહીં બે જાતની ચાવી મળશે.

૧) કેટલાક શબ્દોની પાછળ ‘ઇયાળ’ કે યાળુ(અપશુનિયાળ – કજિયાળું),ઇયા (કઠિયારો), ઇયું (પગથિયું), ઇયો (ગોઠિયો), ‘ઇયાત’(રળિયાત), ઇલ કે ‘ઇયલ’ (દમયિલ – ગુણિયલ) જેવા પ્રત્યયો લાગેલા હોય તો તેવા શબ્દોમાં ઇ હ્રસ્વ હોય છે. (ઇય સીવાયના દા.ત. નાટકીય, રાજકીય, માનનીય વગેરેમાં દીર્ઘ ઈ આવશે)

ટુંકમાં બીજી રીતે કહીએ તો –

૨) પાછળ ય આવતો હોય તેવા શબ્દોમાં યની આગળના અક્ષરને હ્રસ્વ ઇ લાગે છે.

આ બધા શબ્દોનાં ભેળાં કરેલાં ઉદાહરણો આ મુજબ હોઈ શકે –

અવગતિયું, ખોળિયું, લપસણિયું, લૂછણિયું, હૂરિયો, ઓરસિયો, ખાંડણિયો, ખણખોદિયો, બખિયો, નોળિયો, ચીઢિયલ, કોઢિયલ, નોકરિયાત, લેણિયાત, ચડિયાતું, નધણિયાત/તું, રળિયાત, ઊજળિયાત, હરિયાળું, રાંકડિયું, લથડિયું વગેરે વગેરે.

હવે પછીના નુસખાઓ પ્રમાણમાં માથાકુટીયા લાગશે, પરંતુ હવે બેઠાં જ છીએ તો અધુરું શા માટે છોડવું ?

તો રહો તૈયાર, હોશીયાર ! માતા શારદાની સવારી આવે તો સ્વાગત માટે બને તેટલા વધુ સક્ષમ થઈ/રહીને, બને તેટલી વધુ સહજતાથી માતાને રીઝવીએ.

शुभम् भवतु ।।

*****************************************************************

પહેલું સુખ તે ખરી જોડણી !

સાચું ભાષાસુખ જે વર્યાં !!                                                 – જુગલકીશોર.

આજે થોડાક સાવ સરળ નુસખા કામે લગાડીશું. જુઓ –

નુસખો ૧/૧ )

એક અક્ષરનો શબ્દ પણ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આવા શબ્દો માટે સાવ સરળ નુસખો આ છે –

કોઈ પણ એકાક્ષરી શબ્દ પર જો અનુસ્વાર ન હોય તો ઈ કે ઊ મોટે ભાગે દીર્ઘ જ હોય !

દા. ત. વાળા એકાક્ષરી શબ્દો, ઘી, પી, બી, સ્ત્રી, છી, ફી, જી, દી’, શી.

વાળા એકાક્ષરી શબ્દો, છૂ, જૂ, થૂ, ઝૂ, દૂ, બૂ, ભૂ, રૂ, લૂ, સ્ક્રૂ.

નુસખો ૧/૨) પણ સાવ જ સહેલો છે, જુઓ –

અનુસ્વારવાળા એકાક્ષરી શબ્દો હ્રસ્વ ઉવાળા હોય છે. દા. ત. છું, તું, શું, હું.

હીં બે ચાર શબ્દો જ અપવાદના યાદ રાખવાના છે જે સાવ સહેલા છે, જેમ કે, ચૂં, ફૂં, ટૂં.

અને હા,

એકાક્ષરી ઉ+ અનુસ્વારવાળા તો આપણે ઉપર જોયા. હવે એકાક્ષરી એવો શબ્દ કોઈના ધ્યાનમાં છે જે ઇ+અનુસ્વાર ધરાવતો  હોય ?

નુસખો ૨)

આ પણ બહુ અઘરો તો નથી જ. આટલુંક યાદ રાખો –

બે અક્ષરી શબ્દોનો પ્રથમ અક્ષર ઈકાર કે ઊકાર હોય તો તે મોટે ભાગે દીર્ઘ હોય છે. દા.ત;

  • શ, ખીજ, ગીધ, ફીણ, ભીડ, વીજ, હીર વગેરે

  • કીડી, ખીલી, છીણી, દીદી, પીઠી, સીડી, બીડી વગેરે

  • ખીસું, છીબું, ધીમું, પીંછું, નીચું, સીધું, હીણું, કીટું, ખીરું વગેરે

  • ખીલો, ચીરો, ટીકો, દીવો, પીછો, મીણો, લીરો, હીરો વગેરે

  • ઈજા, લીરા, હીના, ચીના વગેરે

  • ઊન, ઊલ, ખૂન, ગૂણ, ચીપ, છૂટ, તૂત, ભૂખ, લૂમ વગેરે

  • ખૂબી, ચૂડી, છૂટી, જૂઈ, ઝૂડી, દૂધી, સૂડી વગેરે

  • ઊનું, ઊભું, જૂઠું, રૂપું, ભૂરું, લૂખું, સૂકું વગેરે

  • કૂકો, કૂજો, કૂવો, પૂળો, ભૂકો, મૂળો, હૂકો વગેરે

નુસખો ૩)

આ નુસખો સમજતાં પહેલાં બે પ્રકારનાં અનુસ્વાર અંગે* ટુંકમાં એક વાત જાણી લઈએ.

સાનુનાસીક સ્વરો અને સાનુનાસીક વ્યંજનો એ બે પ્રકારો યાદ રાખવા જોઈએ. શબ્દની ઉપર મીંડા રુપે લખાતો આ ઉચ્ચાર તે જ અનુસ્વાર. તે બે પ્રકારના હોય છે.

  • કોમળ અનુસ્વાર હોય તે સ્વરની કક્ષાનો ગણવો, જ્યારે

  • તીવ્ર અનુસ્વાર હોય તે વ્યંજનની જેમ ગણવો. એટલે કે જે અનુસ્વારને બદલે અર્ધો અક્ષર લખીને જોડાક્ષર બનાવી શકાય તે. દા.ત. ચંપલ/ચમ્પલ, ગુંદર/ગુન્દર.

વે નીયમ જોઈએ

૧) શબ્દનો પહેલો અક્ષર જો કોમળ અનુસ્વારવાળો હોય તો તે અક્ષરને દીર્ઘ ઈં કે દીર્ઘ ઊં લખાય.

૨)  શબ્દનો પહેલો અક્ષર જો તીવ્ર અનુસ્વારવાળો હોય તો તે અક્ષરને હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ લખાય. ( આગળ ઉપર આપણે જોઈશું કે જોડાક્ષરની પહેલાં આવનારો ઇ કે ઉ હંમેશાં હ્રસ્વ હોય છે. અને એ નીયમ અહીં પણ લાગુ પડ્યો છે. જેમ કે ગુન્દર/ગુંદર ગૂંદર/ગૂન્દર ન બને. તીવ્ર અનુસ્વાર કે પાછળ આવતો જોડાક્ષર આગળના અક્ષરને હ્રસ્વ બનાવે છે.)

દાખલાઓ જોઈએ –

દીર્ઘ ઈ–ઊવાળા શબ્દો (કોમળ અનુસ્વાર)

  • ઈંટ,ખીંટી, છીંક, પીંછી, વીંટી, વીંછી, લીંટ વગેરે

  • ઈંટાળો, ચીંથરું, છીંકણી, પીંજણ, લીંપણ, સીંચણ, હીંચકો વગેરે

  • ઊંઘ, ઊંટ, કૂંચી, ગૂંચ, ચૂંક, ચૂંચૂં, ટૂંકું, ફૂંક, લૂંટ વગેરે

  • ઊંચાઈ, ઊંધિયું, કૂંપળ, ચૂંટણી, ઝૂંપડી, રૂંવાડું, હૂંફાળું ઊંઘણશી, ધૂંધવાટ વગેરે

હ્રસ્વ ઇ–ઉવાળા શબ્દો (તીવ્ર અનુસ્વાર)

  • ઈંચ, ઉંબી, ગુંડો, ઝુંડ, ગુંબજ, તુંબી, પિંડી, ધિંગું, શિંગ, હિંગ, હિંદુ તથા

  • ભુંડ, બુંદ, મુંજ, કુંજ,

  • કુંડળ, ગુંજાશ, ચુંગાલ, જિંજર, જિંદગી, ઝુંબેશ, ઢિંગલી, તુંબડી, મુંબઈ, હિંમત વગેરે

હવે એક નુસખો સાવ ટુંકમાં જોઈ લઈએ પછી આ અંકને પુરો કરીએ.

નુસખો ૪)

આ નીયમ સાવ સીધી વાત બતાવે છે કે ત્રણ કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં જો જોડાક્ષર આવતો હોય તો તેની પહેલાંનો અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ હોય છે !

નીયમનાં ઉદાહરણો મુકવાની જરુર ખરી ?! (હશે તોય તે તો હવે આવતે અંકે !)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

* અનુસ્વાર અંગેનાં મારાં પાંચ લખાણો આ  લીંક્સ પરથી મળી શકશે. આશા છે, ઉપયોગી થશે.

http://jjkishor.wordpress.com/2007/04/20/vyakaran-3-2/

http://jjkishor.wordpress.com/2007/04/21/vyakaran-2-2/

http://jjkishor.wordpress.com/2007/04/25/vyakaran-7/

http://jjkishor.wordpress.com/2007/12/24/vyakaran-4/

http://jjkishor.wordpress.com/2007/12/29/vyakaran-5/

સૌને સહેલી જોડણી મુબારક !!

માતૃભાષાના સૌ સહપાઠીઓ !                                              – જુગલકીશોર.


નવું વરસ કમસેકમ ભાષાશુદ્ધી પુરતુંય આપણા સહુને માટે તેજસ્વી નીવડે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે આજે કેટલીક સહેલી ચાવીઓનો ઝુડો આપ સૌ સમક્ષ ખણખણાવું છું. આશા રાખું છું કે એને શોભાનો, ચાંદીનો – કેડે લટકાવી રાખવા પુરતો – ગણવામાં નહીં આવે.

સાર્થ જોડણીકોશ મુજબ  જોડણીના જે ૩૩ નીયમો છે તેનો સંપુર્ણ પાઠ આ અગાઉ મેં મુક્યો હતો. એની લીંક આમ છે –

http://jjkishor.wordpress.com/2007/08/06/jodni-ange-2/

http://jjkishor.wordpress.com/2007/08/08/jodani-ange-3/

http://jjkishor.wordpress.com/2007/08/11/jodani-ange-2/

http://jjkishor.wordpress.com/2007/08/13/jodani-ange/

http://jjkishor.wordpress.com/2007/08/19/jodni-ange/

http://jjkishor.wordpress.com/2007/08/24/jodniange/

આ નીયમો પ્રથમ નજરે બહુ જ અઘરા જણાય છે. વીદ્વાનો પણ એવું માને છે, ને કહેય છે. પણ આપણે થોડું સામા પુરે તરીને જોડણીને નાથવા યથાશક્તી/મતી પ્રયત્ન કરવો છે. આ સંકલ્પ મુજબ આજે આ બીજા હપતામાં કેટલાક નીયમોને સમજવા ને એ મુજબ ઉપયોગમાં લેવા સારુ કંઈક અંશે ઉપયોગી થવા માંગું છું.

સૌથી પહેલી વાત એ કરવાની કે અહીં બતાવેલા સાદા નીયમોને આંખની બરાબર સામે રાખીને રોજીંદા ઉપયોગમાં લેવામાં આવે. ‘દીવાલ પરનું લખાણ’ એ એક શબ્દપ્રયોગ છે. આ સાદા નીયમોને દિવાલ પર, નજર સામે રાખીને દરરોજ ઉપયોગમાં લેવા આગ્રહ – અને આશા પણ – છે.

આ નીયમોને હું હાલ તરત તો કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય ક્રમ મુજબ આપવાને બદલે યાદ આવતા જશે તેમ તેમ આપતો જઈશ. પછી નીરાંતે હું કે આપણામાંનું કોઈ એને વ્યવસ્થીત રુપ આપી શકશે.

સૌથી પહેલાં તો તત્સમ શબ્દોમાંના પુર્વગોને લગતી જોડણી લઈએ. આ નીયમ બહુ સહેલો છે. એટલું જ યાદ રાખવાનું કે શબ્દોની પુર્વે આવતા આ બધા પુર્વગો યાદ રહી જાય તેવા જ છે. જેમ કે –

ઉપ, અતિ, અધિ, અભિ, નિઃ, પરિ, પ્રતિ, વિ, અનુ, સુ, કુ, પુનઃ, બહિ, પુર. આ બધા (શબ્દોની પુર્વે આવતા) પુર્વગોની પછી તરત આવતા શબ્દોની જોડણી આંખો મીંચીને હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ થી કરવી. આનાં ઉદાહરણો ઉપર બતાવેલા પુર્વગોના ક્રમમાં છે.

અતિશય – અતિજ્ઞાન – અતિક્રમણ

અધિકાર – અધિસૂચન –

અભિરુચિ – અભિનંદન – અભિનવ

નિયમ – નિવેદન – નિતાંત

નિઃ નિરંકુશ – નિર્જન – નિર્દોષ

પરિવર્તન – પરિબળ – પરિચિત

પ્રતિબિંબ – પ્રતિશોધ – પ્રતિકાર

વિશ્વાસ – વિશ્લેષણ – વિરોધ – વિજ્ઞાન

અનુસૂચિત – અનુવાદ – અનુરણન

ઉપાચાર્ય – ઉપશમ – ઉપનયન –

સુવિચાર – સુબોધ – સુગંધ

કુમતિ – કુદૃષ્ટિ – કુરીતિ

પુનઃ પુનર્વિચાર – પુનઃશ્ચરણ – પુનર્ગમન

બહિઃ બહિર્ગોળ – બહિષ્કૃત – બહિષ્કાર

પુરજોશ – પુરબહાર

બીજો એવો જ એક નિયમ તત્સમ શબ્દોનો છે જેમાં શબ્દને છેડે જોડાઈને નીચેના પ્રત્યયો લાગે છે. જેમ કે –

ઈય, ઈત, ઈન, ઈક્ષ, ઈક, ઈકા., ઈન્દ્ર કે ઈશ – આ બધામાંથી ક – ત – લ વાળા ઈક–ઈત–ઈલમાંના શબ્દોમાં દીર્ઘ ઈની કતલ કરી નાખવાની !! અર્થાત્ ઈક, ઈત અને ઈલવાળા શબ્દોમાં હ્રસ્વ ઇ આવશે જ્યારે બાકીના બીજા બધામાં દીર્ઘ ઈ આવશે. દા.ત. જુઓ –

ક–ત–લવાળા ફક્ત હ્રસ્વ ઇમાં જ લખવાનાં –

ઇક (શારીરિક, માનસિક, નાગરિક,  તામસિક)

ઇકા (અનામિકા, ગણિકા, લેખિકા)

ઇત (અંકિત, લક્ષિત, રક્ષિત,)

ઇલ (અનિલ, ફેનિલ, સલિલ, જટિલ)

હવે જોઈએ કતલ સીવાયના અન્ય પ્રત્યયોવાળા શબ્દો જેમાં છેડે દીર્ઘ ઈ આવશે.

ઈય (રાજકીય, ભારતીય, ક્ષેત્રીય, ભવદીય)

ઈન (કુલીન, સ્નેહાધીન, આજ્ઞાધીન)

ઈક્ષ (નિરીક્ષક, સમીક્ષક, અધીક્ષક)

ઈન્દ્ર કે ઈશ (અવનીન્દ્ર, યોગીન્દ્ર તથા જગદીશ, સત્તાધીશ)

તત્સમ શબ્દોના નારીજાતિમાં છેડે આવતી ઇ હંમેશાં હ્રસ્વ ઇ જ આવશે. જેમ કે –

(રીતિ, અનુમતિ, કીર્તિ, દીપ્તિ, સંસ્કૃતિ વગેરે)

અપવાદ – જયંતી, બહુમતી, શ્રીમતી, સતી, યુવતી, સલામતી વગેરે.

ઉપરાંત ‘વાળી’ એવો અર્થ દર્શાવતા શબ્દો મતી કે વતી માં છેડે દીર્ઘ ઈ આવશે –

પુત્રવતી, ભગવતી, બલવતી, કલાવતી,

છેડે ‘નિ’ આવતો હોય તેવામાં,

ગ્લાનિ, હાનિ વગેરેમાં હ્રસ્વ ઇ જ આવશે.

છેડે ‘ટિ’ વાળા શબ્દો જેમ કે,

તુષ્ટિ, દૃષ્ટિ, પુષ્ટિ વૃષ્ટિ વગેરેમાં હ્રસ્વ ઇ આવશે.

‘ણૂંક’ કે ‘ગીરી’ આવતા હોય તેવા શબ્દો જેમ કે,

નિમણૂંક, વર્તણૂક તથા નીલગીરી, ગાંધીગીરી, દાદાગીરી વગેરેમાં દીર્ઘ ઈ અને દીર્ઘ ઊ આવશે.

બસ, સહયોગીઓ, અત્યારે તો આટલું જ ! બાકીનું કદાચ દીવાળી દરમીયાન થશે તો થશે.

ઓઢણી/જોડણી શાને રે ઉડી/છુટી જાય ?!

– જુગલકીશોર.

ઓઢણી અને જોડણી બન્નેમાં એક બહુ મહત્ત્વનું સામ્ય છે. બન્નેની ગેરહાજરી (અહીં એકનું ઉડી જવું અને બીજીનું છુટી જવું અભીપ્રેત છે)ક્ષોભનો વીષય બની રહે છે. ઓઢણી ઉડી ન જઈને નારીની આબરુ સાચવે છે, ને જોડણી અંગે તો બીજા કોઈનું શા માટે, ગાંધીજીનું જ વાક્ય લઈએ – “અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે. તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ.“

આવી લાજ રાખનારી કે લાજ ગુમાવનારી વાતનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું જ છે. ઓઢણીની વાતે એક વાત ખાસ યાદ આવે છે. કેમેરા સામે ઈન્ટર્વ્યુ આપતી કોઈ એક્ટ્રેસને જેમણે ધ્યાનથી જોઈ હશે તેમને ખબર હશે કે કોઈ કારણ વીના બસ એમ જ, તેણીશ્રી વારંવાર પોતાનાં લટીયાં કહેતાં માથાના વાળને ઘડીયે ને પોરે ચહેરા પરથી આઘા હટાવતી જોવા મળશે. ‘યુ સી,’ અને ‘એન્ડઅઅઅઅ..‘ એમ વચ્ચે વચ્ચે બોલ્યાં કરતાં આ નારીરત્નો ઈન્ટર્વ્યુના વીષય કરતાં અંગ્રેજી ઝાડવામાં ને લટીયાં સરખાં કરવામાં વધુ ધ્યાન આપતાં જોવા મળશે. કારણ ?

આવી રીતે વારંવાર વાળ સમાનમા કર્યાં જ કરવા પડે એના કરતાં તેણીશ્રીઓ ઘરેથી બરાબર બાંધીને કેમ નહીં આવતીયું હોય ? સવાલનો સાવ સહેલો જવાબ એ છે કે એમને વાળનાં ઝુલ્ફાં બાંધી રાખવા કરતાં વારેઘડીએ સરખા કરતાં રહેવામાં વધુ રસ હોય તેવું જણાશે ! (એમને ચર્ચાના વીષયનું પુરતું જ્ઞાન ન હોવાને લીધે તેણીઓ એવું કરતાં હશે એવી વાત કહીને વીષયાંતર કરવું નથી) બાકી –

મહત્ત્વનો મુદ્દો એ છે કે ઓઢણીનું પણ ઘણી વાર આવું જ હોય છે !! એના વારંવાર ઉડી જવાનાં કારણો શાં શાં હોઈ શકે છે ? પવન બહુ હોય તે ? રેશમી ઓઢણી હોય તે ? કે પછી સામે બેઠેલા સાહ્યબાને સૌંદર્યની ઝાંખી કરાવવાનું…(અહીં ફરી ઓલીશ્રીઓને યાદ કરી લઈ શકાશે)…!

મારા સહપાઠીઓ !

મારે આજે આ બધું તમારી સમક્ષ મુકીને કોઈ શૃંગાર રસને છેડવાનો (બદ)ઈરાદો નથી. પણ મારે જે વાત કરવાની છે – ઓઢણી ને જોડણી અંગે – તે માટેની આ પ્રસ્તાવના છે. ને હમણાં તો કહ્યું હતું ને કે ઓઢણી ને જોડણીમાં કેટલુંક સામ્ય છે ! તો હવે પછી આપણે આ વાત – નારીશૃંગારની નહીં પણ ભાષાના શૃંગારની – વાત કરવા તત્પર થઈએ.

જોડણીનું પણ કંઈક આવું જ છે. આપણી જોડણી વીષયક આ લેખોમાં આપણે સાર્થજોડણીને સમજીને સહેલી બનાવવાના પ્રયત્નો કરવાના છીએ. આ માટે સાર્થ જોડણીકોશને સામે રાખીને જ આગળ વધીશું. (હા, ભૈ હા, આ આખી વાતમાં ક્યાંય કરતાં ક્યાંય ઉંઝાનાં જીરુ–વરીયાળી વચ્ચે લાવવાનાં નથી !)

શાને આપણે જોડણી સાચી કરતાં નથી; શા માટે ?? ઓઢણીવાળા પવનને કારણે ?!!

ના, ના, ને ના !! આપણે ક્યારેય એને માટે ગંભીરતાથી કાહટી કરી જ નથી. અઘરી છે; આપણે ભાષાના માણુસ નથી; છપાવીશું ત્યારે પ્રુફરીડરભાઈ બધું સંભાળી લેશે; વગેરે વગેરે વગેરે. (ઓઢણીની જેમ આયાં કોઈ સાયબો નવરો નથી. ને હોય તોય ખોટી જોડણી કરીને આબરુ ઘટાડવાના ધંધા કોણ કરે ?

હકીકત એ છે કે આપણે જાણી જોઈને જ (પેલીશ્રીઓની માફક નહીં) ધ્યાન આપતાં નથી. પેલાં બાનુશ્રી ચર્ચાના વીષયને બદલે વાળમાં ધ્યાન આપે છે તેનાથી તદ્દન ઉલટું આપણે વાતના (અહીં લખાણના) વીષય ઉપર જ ધ્યાન આપીએ છીએ અને ભાષાના સૌંદર્યોને (ઝુલ્ફાં)વારંવાર સમાનમા કરતાં રહેવાની કાળજી લેતાં નથી !!! પવનમાં ઓઢણી ભલે ઉડી ઉડી જાય; આળસમાં જોડણીને છુટી જવા દેવાય નહીં – ગાંધીબાપુનું લખેલું હમણાંકું નૉ બતાવ્યું ?!

એટલે, ટુંકમાં કહીએ તો કંઈક અઘરું, કંઈક આળસ, કંઈક દાનત, કંઈક ઉતાવળ ને એમ આ બધા વાંધાવચકાતા વાયરામાં ઓઢણી ઉડતી ઉડતી રહે છે ! સાયબો પોતે જ હમજતો નથી, કે આ ખોટું થઈ રયું છ. માસ્તર નીહાળ્યમાં શીખવતો નથી; કૉલેજમાં પ્રોફેસરોય જોડણી જાણતા નથી ( હા, આ વાત તદ્દન સાચી છે !); સાહીત્ય સંસ્થાઓનાં મુખપત્રોય પાને પાને ભુલોવાળાં હોય છે; અરે, જોડણીકોશોય ભુલો સહીત પ્રગટતા રહે છે !!

એમાં આપણો બચાડાજીવનો શું વાંક ??

મને અહીં બેત્રણ ફીલમની લીટીયું હાંભરી આવે છે. પણ ઈની પેલાં સવાશેરને માથે એક શેર સાંભળો –

જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને;

જો અશ્કોંને ભડકાઈ હૈ, ઉસ  આગકો ઠંડા  કૌન કરે ?!

ફીલમમાં આવે છે,

ચીનગારી, કોઈ ભડકે, તો સાવન ઉસે બુઝાયે;

સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે ??

એ જ રીતે,

માઝી જો નાવ ડુબોયે, ઉસે કૌન બચાયે ???

આજની આપણી સ્થીતી કંઈક આવી થઈ ચુકી છે. આપણને જોડણીની ભુલો બતાવવી તો ઘેર ગઈ, પણ આને ભુલ કહેવાય એવું કહેનારાંય નથી રહ્યાં !! છાપાં, દુરદર્શન, સરકારી પરીપત્રો, અધીકારીઓનાં નામોનાં પાટીયાં, જાહેર સાઈનબોર્ડો – જ્યાં જુઓ ત્યાં બસ અરાજકતા જ અરાજકતા છે. જોડણીની કોઈનેય પડી નથી, નથી ને નથી.

પણ એક વાત કહ્યા વગર આજનો આ પહેલો હપતો પુરો નહીં કરું. છેલ્લાં ત્રણ વરસથી આ નેટજગત સાથે ધડીકાં લઉં છું. (ધડીકાં લેવાનો સારો અર્થ એ છે કે એમાં રસ લઉં છું.)અહીં મેં જોયું છે કે કેટલાક સમયથી જોડણી અંગે ચોક્કસ જાગૃતી આવી છે. ઝઘડો કરતાં કરતાંય એકંદરે સૌ કોઈનું ધ્યાન ભાષાશુદ્ધી તરફ વધુ ને વધુ ખેંચાઈ રહ્યું છે. ક્યારેક કોઈનાં કપડાં ખેંચવાની મજા લઈએ છીએ ભલે, પણ ઓઢણીને ઉડતી બચાવવામાં સૌને રસ પડતો થયો છે !!

આ એક જ વાતે મને – ઝઘડાના ડર વીના – ફરી ફરીને ભાષાસુધારની વાતો કરવાનું મન થાય છે. નેટ પર છું ત્યાં સુધી આ વાત છોડવી નથી. ઓઢણીને ઉડવા કે જોડણીને છુટવા દેવી નથી. ( થેંક્સ, યશવંતભાઈ !)


હિમાંશુભાઈની ‘સાયબરમતી’માં સ્નાન.

– જુગલકીશોર.

બે છાપાં રોજ વાંચવાનાં હોય છે. ટાઈમ્સ અને દિવ્ય ભાસ્કર. દરેકનાં, એટલે કે બન્નેનાં પાનાંઓ ઉપર જાતજાતનું ને ભાતભાતનું વાંચવાનું હોય છે. છતાં ઘેર દરરોજ આવતાં છાપાંમાં અમુક કૉલમ્સ તો એવી જ હોય છે, જેનું વ્યસન થઈ ગયું હોય છે.

ટાઈમ્સમાં, એક સમય એવો હતો, જ્યારે સૌથી પહેલાં લક્ષ્મણજીનું કાર્ટુન જોઈ લેવું અનીવાર્ય હતું. આજે હવે તેના પર નજર જ જતી નથી. એ કૉમન મેન હવે આકર્ષણ રહ્યો નથી. એવું જ ટાઈમ્સની કૉમીક્સ ચીત્રવાર્તાઓ અને તોફાની ડેનીસનું થયું છે. ચીત્રવાર્તાઓ સમયના અભાવે અને ડેનીસનાં લખાણો હદવદરનાં ઝીણા ટાઈપોમાં મુકવાની ટાઈમ્સની દાદાગીરીને કારણે વાંચવાનું પડતું મુકવું પડ્યું છે.

આ બધી યાદીઓ બહુ લાંબી થાય તેમ છે, ને કોક દા’ડો ઈમને હંધાયનેય હંભારી લેવા જેવાં છે. ચાનસ મળહે તો જરુર ને જરુર કાંક આળેખવું ઝ સૅ ઈ હવના હારુ…પણ ઝાવા દ્યો ઈ વાત…

આજ તો માંડવી છે વાત હિમાંશુ કીકાણીની કૉલમ ‘સાયબર સફર’ની. બહુ લાંબી વાત કરવી નથી, કારણ કે એમનાં લખાણોમાંના વીષયોમાં આપણી ચાંચ બહુ ડુબતી નથી. ક્યારેક એવું જાણવાનું મળી જાય છે જે મારા ભેજામાં ઉતરી જાય છે, ને ત્યારે એનો લાભ બરાબરનો લઈ નાખું છું.

પણ આજના બુધવારીયામાં ‘આવે છે જબ્બર ગૂગલ વેવ’ શીર્ષકથી લેખ લખ્યો છે તેમાં (શીર્ષકની બાજુમાં અંગ્રેજી અક્ષર ડબલ્યુ પોતે જ વેવ જેવો બતાવાયો છે, જે ગુગલની જ ચતુરાઈ હશે.)હીમાંશુભાઈએ એક મજાનો શબ્દ જે પીરસી દીધો છે એનો જ ટૅસડો પડી ગયો, ને આગળાં ચાટતો કરી દીધો મને !! ગુગલ વેવની વાત કરતાં કરતાં એમણે સમયના વહેવાની વાત કરી છે. છેલ્લાં વરસોમાં જે જે વીકાસ કમ્પ્યુટરક્ષેત્રે થયો તેમાં સમયના પ્રવાહમાં ઘણું વહી ગયું વગેરે…

પણ આને માટે તેમણે લખ્યું કે ત્યાર પછી તો સાયબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં….!!

ગુગલવેવની વાતમાં તો પ્રવાહ હતો જ. વેવ એ જ એક પ્રવાહ છે. સામાન્ય રીતે અમદાવાદીઓ સમયના પ્રવાહને માટે સાબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં એમ કહે. પરંતુ હિમાંશુભાઈએ સાબરમતીને બદલે ઈન્ટરનેટના વીષયમાં આ નદીના નામમાં એક ‘ય’ ઉમેરીને ભાષાને અજવાળી મુકી – “સાયબરમતી” !

સાયબરકાંઠે રમનારાંઓ, નહાનારાંઓ, ધુબાકા દેનારાઓ, છબછબીયાં કરનારાંઓ, ગોતાખોરી કરીને મહામુલાં મોતી સૌકોઈ માટે ઉપલબ્ધ કરાવી દેનારાં મરજીવાઓ, કોઈ કાગળની તો કોઈ સાચુકલી હોડીઓ તરાવનારાંઓ, કોઈ કોઈ પોતાનાં તો કોઈ કોઈ કોક બીજાનાં કપડાંને ઉજમાળનારાંઓ ને બીજાં કેટલાંય –

આ સાયબરમતીના વૈશ્વીક પ્રવાહોમાં પોતાનો પણ એક પ્રવાહ ભેળવવા મથે છે. આવતીકાલે આ મહાનદ અગાધ સાગર બની રહેવાની છે, ત્યારે સાયબરમતીને નવું નામ આપવાનું થશે એ ખરું પરંતુ ગુજરાતીને લાગેવળગે છે ત્યાં સુધી સૌ ગુજરાતીઓના વતનના પ્રમુખ શહેર અમદાવાદની સાબરમતીને સાયબરમતી સાથે જોડીને હિમાંશુભાઈએ બહુ મજાની ને વજનદાર વાત કહી દીધી છે.

આપણા કેટલાક સાહીત્યકારો પાસેથી આપણને કેટલાક નવા નવા શબ્દો મળતા રહે છે. ઉર્વીશભાઈએ તો આ ક્ષેત્રે જાણીતા લેખક પ્રકાશભાઈના નવા નવા શબ્દોની યાદી પણ બનાવી છે !! (ગુજરાત વીદ્યાપીઠને આ શબ્દો સંઘરવાનું પચાસેક વરસ સુધી તો નહીં જ સુઝે, કારણ કે તેઓ તો પોતાના શબ્દકોશમાં જ રહી જતી ભુલો સુધારવામાં કદાચ ધ્યાન આપશે…)પરંતુ આજનો આ નવો શબ્દ મને આટલું આ લખવા પ્રેરી ગયો.

ક્યારેક કોઈ શબ્દ આપણને બહુ ઉંડે સુધી ચુભી જતો હોય છે, ને જીવનભરની કડવી યાદ બની જતો હોય છે. કોઈ શબ્દ આપણને મમળાવ્યા જ કરવાનું મન થાય, ને એવી મીઠી અસર મુકી જાય કે બસ, શબ્દ લખનારને એમની સાયબરસફર દરમીયાન મળી આવેલા આવા શબ્દરત્નો માટે ધન્યવાદ આપતાં જ રહીએ.

હિમાંશુભાઈના આ એક જ શબ્દ ‘સાયબરમતી’ માટે થઈને, એ નીમીત્તે આ આટલું લખવા મળ્યું એ પણ સાયબરમતીમાંના છેલ્લાં ત્રણેક વરસથી મળતા સ્નાનપુણ્યનું જ પરીણામ ગણવું રહ્યું !

અસ્તુ.