• હાસ્યે હળવા – અહર્નિશ

    આ સંગ્રહનું નામ ‘સુશીલા’ રાખીને એમણે માતૃભક્તિ પ્રગટ કરી છે. રૂબરૂ મળ્યા પછી પત્રવ્યવહાર અને ફોનાલાપથી અમે ઘણા નજીક આવ્યા. આ દરમિયાન પ્રૌઢશિક્ષણના ભાગ રૂપે હું કમ્પ્યુટર શીખ્યો હતો. એટલે હાસ્યના પુસ્તકનું નામ ‘સુશીલા’ ન ચાલે એ સમજાવવા મેં ઈ–મેઈલ દ્વારા મરણિયા પ્રયત્નો કર્યા. આને કારણે મને ઈમેઈલની ઘણી પ્રેક્ટીસ મળી, પણ સંગ્રહનું નામ બદલવા હ.ભાઈ તૈયાર ન થયા તે ન જ થયા. હવે પછીના સંગ્રહનું નામ ‘હંસા’ રાખીને તેઓ પત્નીપ્રેમ પ્રગટ કરે છે કે કેમ તે જોવાનું રહે છે.

    હરનિશ પાસે પોતાની આગવી શૈલી છે. હાસ્યરચના માટે આવશ્યક પોતીકાં ઓજારો છે. ‘ગયાં વર્ષો તેમાં’ હરનિશે એમની શક્તિના પ્રમાણમાં ઘણું ઓછું લખ્યું એમ કહેવાય. પરંતુ ‘રહ્યાં વર્ષો તેમાં’ એ સાટું વાળી દેશે એવી આશા આપણે જરૂર રાખી શકીએ.

    – શ્રી રતિલાલ બોરીસાગર.
    ––––––––––––––––––

    “મારા પહેલા હાસ્ય–સંગ્રહને મારા બાપુજીનું નામ (સુધન) આપ્યું હતું. આ બીજા પુસ્તકને સ્વાભાવિક રીતે બાનું નામ...મારી બાને મારી વાર્તાઓ ગમતી. માતાનું ૠણ ઉતારવા આપણાથી એમના નામની હૉસ્પિટલ તો બનવાની નથી. તો આ રીતે અંજલિ આપવાની આ તક..મારી બા જગતની બધી માતાઓ જેવી સ્ટાન્ડર્ડ બા હતી. પોતાના છોકરાંવનું હંમેશાં રક્ષણ કરવા માગતી..ને અમારા રક્ષણની જવાબદારી પોતાના હાથમાં રાખતી..હું અમેરિકા આવ્યો ત્યારે ના છૂટકે એ કામ સેકન્ડ બેસ્ટ ભગવાનને સોંપ્યું, ‘હે રણછોડરાય ! પરદેશમાં મારાં છોકરાંવનું રક્ષણ કરજે.’

    – હ.જાની.
    –––––––––––

    “માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરંતુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી.”

    – હરનિશ જાની.
    –––––––––––

  • સહપાઠીઓ

    • 29,785
  • હાજર

  • નેટજગત

  • free counters
  • Archives

  • Pages

‘સુશીલા’ અને ‘નવેસર’ અંગે –

બેફિકર અને બેફામ લાગતા આ હાસ્યકાર અંતરથી  કેવા ૠજુહૃદય છે તે ખ્યાલ આવે. અને એવા જ એમના આ કટાક્ષલેખો છે – ઉપરથી હળવા અને અંદરથી ગંભીર.

– મધુ રાય

ગુજરાતમાં રહેતા હોત તો પ્રથમ પંક્તિના હાસ્યકાર તરીકે વિવેચકોની જીભને ટેરવે બિરાજતા હોત. કુશળ વક્તા છે. બોલતાં થાકતા નથી.

– રઘુવીર ચૌધરી

દરિયાપાર વસતાં આપણા ઉત્તમ લેખકો મધુ રાય, પન્ના નાયક, જયંતિ પટેલ સાથે હરખભેર ગદ્યક્ષેત્રે નામ લેવું પડે એવા હ.જાની છે.

– ચિનુ મોદી

એમની વિનોદ–વ્યંગરંગી આગવી ભાષાશૈલી આ કૃતિઓનું જમા પાસું છે. કહી શકાય કે આ ‘હરનિશ બ્રાંડ’ હાસ્યરચનાઓ છે.

– ધીરુ પરીખ

ડૉ. મહેશ રાવલના ગઝલસંગ્રહ ‘નવેસર’માંથી સંભળાયેલા ધબકાર !!

‘નવેસર’

ડૉ. મહેશ રાવલનું સ્ટેથોસ્કોપ

========================

રસ્તામાંથી રસ્તો ફૂટે,

પગલાંમાંથી અશ્વો ફૂટે.

અવળાં–સવળાં, વાંકાં–ચૂંકાં

ટપકાંમાંથી નકશો ફૂટે.

ઓછા મળે છે

પ્રસંગો હવે સાવ ઓછા મળે છે

અને એટલે ઘાવ ઓછા મળે છે !

તરી જઈએ સાતેય દરિયા અમે પણ

કિનારેથી પ્રસ્તાવ ઓછા મળે છે !

મને પણ ખબર છે

રુઝાવા જ દેતું નથી કોઈ ઝખ્મો

નહીંતર દવાની મને પણ ખબર છે.

ઉઘાડી જ રાખી ફરું છું હથેળી

સમયની રવાની મને પણ ખબર છે !

ઝળહળ થયાં

ફૂટ્યા ટચાકા હેતના, દસ આંગળે

ઊભરાઈને, ઓવારણાં ખળખળ થયાં.

થઈ ગયો

અકબંધ ઘરના દ્વાર જેવો થઈ ગયો,

એક શખ્સ, બારોબાર જેવો થઈ ગયો !

પર્યાય થઈ ગઈ જિંદગી,પ્રશ્નાર્થની

ઉત્તર વિષે, નાદાર જેવો થઈ ગયો.

સપનાં વમળની જેમ ઘૂમરાતાં રહ્યાં,

ખુદ ફીણના અંબાર જેવો થઈ ગયો.

બદલાવી શકે

હોય કેવળ સત્યનો આધાર તો

એક જણ ઇતિહાસ બદલાવી શકે !

યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો

શબ્દ પણ ઇતિહાસ બદલાવી શકે !

અણસાર જોયા

આંધળા અસવાર જોયા

લંગડા તોખાર જોયા.

ભીતરે તણખા ભરેલા

રાખના અંબાર જોયા.

શેષની ખણખોદ કરતા

શૂન્યના દરબાર જોયા.

આંખનો શું વાંક એમાં

સ્વપ્ન પારાવાર જોયાં.

બેઠો છું.

તૈયારી કરવા બેઠો છું,

ઢોળીને ભરવા બેઠો છું.

પ્રગટાવી દીવો અદકેરો

ભીતર ઊતરવા બેઠો છું.

પગલાં, પગરવ, અટકળ લઈને

રસ્તો ચીતરવા બેઠો છું.

જાણું છું પરપોટો છું પણ

સૂરજ સંઘરવા બેઠો છું.

અધકચરી સમજણનું શ્રીફળ

ઈશ્વરને ધરવા બેઠો છું.

નીકળે

વાતમાંથી વાત નીકળે

છેવટે ઉત્પાત નીકળે.

કેસૂડાં જેવી કથાનું

હાર્દ પારિજાત નીકળે !

પેટ ચીરો શબ્દનું તો

કેટલા જઝબાત નીકળે !

આમ લાગે શાંત રસ્તો,

આમ યાતાયાત નીકળે !

ભીડ જેવી ભીડમાંથી

આખરે એકાંત નીકળે !

વેણ ઉપડે શક્યતાને

મિશ્ર પ્રત્યાઘાત નીકળે !

જો નીચોવો એક ટીપું

અબ્ધિ સાતે સાત નીકળે !

શું લખે ?

શું લખે જો માછલી કાગળ લખે ?

આપણે જોયાં નથી એ સ્થળ લખે !

લાલ–પીળા રંગના લીટા કરી

હાંસિયામાં પારદર્શક છળ લખે !

શું લખે વિસ્તારપૂર્વક ઘર વિષે ?

કાચની પેટી અને સાંકળ લખે !

એક ફકરો અધબળેલા  શબ વિષે

કચકચાવી દાંત, ગંગાજળ લખે !

આઠમા દરિયા તરીકે બેધડક

આપણી ઓકાત ડહોળું જળ લખે !

ખોતર મને

લે, આ ઊભો સાક્ષાત હું, ખોતર મને !

અફવા નથી, છું વાત હું, ખોતર મને !

છે શક્યતા જ્યાં લાગણીના ભેજની

ત્યાં ત્યાં પ્રગટ મિરાત હું, ખોતર મને !

ળી જાય છે અહીં

લમ હસ્તગત છે બધાને દુવાનો

છતાં બદદુવાઓ ફળી જાય છે અહીં.

ગમે એટલી ગુપ્તતા જાળવી લ્યો

છતાં ભીંત પણ સાંભળી જાય છે અહીં !

ટેવ પાડી લ્યો

રો સાબિત અસત્યોની તમે આપેલ વ્યાખ્યાઓ

અને કાં સત્યને સ્વીકારવાની ટેવ પાડી લ્યો !

પ્રસંગે પ્રસંગે

ખુદાએ જ મૃગજળ અને જળની વચ્ચે

તરસ સાંકળી છે પ્રસંગે પ્રસંગે.

વધી જાય છે પાપનો ભાર, ત્યારે

ધરા સળવળી છે પ્રસંગે પ્રસંગે.

ક્ષણની કથા

અલગ વાત છે કે ન ભૂલી શકો

પણ સ્મરણ માત્ર છે વિસ્મરણની કથા !

જિંદગી જિંદગી શું કરો છો બધા ?

જિંદગી એટલે છે મરણની કથા !

તફાવત કંઈ નથી

જેને મુકદ્દર નામ દઈ માથે ચડાવો છો તમે

એ ચીજ એવી ચીજ છે જેની મરામત કંઈ નથી.

સચવાય છે હોવાપણું બે શ્વાસ વચ્ચે દર અસલ

એથી વધારે શ્વાસની બીજી કરામત કંઈ નથી !

ક્યાં લખી શકાય છે ?

સંક્ષિપ્તમાં તનાવ ક્યાં લખી શકાય છે ?

આ મૌનનો સ્વભાવ ક્યાં લખી શકાય છે ?

કેવો રહસ્યમય ઉછેર થાય આંખનો ?

એકેય હાવભાવ ક્યાં લખી શકાય છે ?

રસ્તા વિષે લખી શકાય બે–હિસાબ પણ

નિશ્ચિતપણે પડાવ ક્યાં લખી શકાય છે ?

************************

હે રામ…

હે રામ !

સહુને સદ્ બુદ્ધી આપજે –

ને

શરુઆત

મારાથી કરજે.

– જુ.


********************************************************

ઊર્મિસાગરની એક અવીસ્મરણીય છાલક !!

મોરપીંછ ને વાંસળી – કાવ્યત્ત્વ ને વેદના –માં ગુંથાયેલી ગઝલ !

– જુગલકીશોર


આપવું ને પછી છીનવી લેવું; આપવુંય ખુબ ને પાછું ઝુંટવી લેવું એનાથીય વધુ – આ બે વીરોધાભાસને આખી ગઝલ દરમીયાન ઉપસાવીને ઉર્મીબહેને કાવ્યના માધ્યમથી – મીરાંનો જ કહોને – તીવ્ર ભાવ ઉપસાવ્યો છે. ‘વીપ્રલંભશૃંગાર’નું આ અદ્ભુત પ્રાગટ્ય છે.

આરંભે જ એમણે હાઈકુ જેવા સુક્ષ્મ માધ્યમથી મુખડું બાંધ્યું છે, ને પછી એક પછી એક ચાબખા કૃષ્ણને માર્યા છે – ભાવકનેય સોળ ઉઠી આવે તેવા.

આ ગઝલમાં જે એક પ્રાસંગીક ક્રમ જોવા મળે છે એય આસ્વાદ્ય છે –

આરંભે વનવગડામાં, પછી સંસારના અન્ય કાર્યોમાં ને આગળ જતાં છે…ક યુદ્ધભુમીમાં લઈ જઈને પછી યાદવાસ્થળી સંભારીને કૃષ્ણની ગેરહાજરી પણ ‘ને આ તારી યાદે..’ કહીને બતાવી દીધી છે ! પણ સૌથી વધુ તો પોતાના તખલ્લુસનું ઓઠું લઈને, ને વળી ભરતી–ઓટનું કલ્પન મુકીને છે…….ક પોતાના બ્લોગ “ઊર્મીનો સાગર” સુધી વાચકોને ખેંચી ગયાં છે !! ‘ઊર્મીનો સાગર’ બ્લોગ જો યાદ આવી જાય તો પછી ખુદ કવયીત્રી જ આ રચનાનું પાત્ર બની જતું લાગે તો કશી નવાઈ ?

કલાકારો ચીત્રમાં પૃષ્ઠભુમી અને વીષયને એકબીજાથી વીરોધાભાસી રંગોમાં પ્રદર્શીત કરે તેમ આ ગઝલમાં એક પછી એક વીરોધાભાસો ઊર્મિએ ઉપસાવી જાણ્યા છે. વાંસળીમાં ફુંકનારો જ વાંસળી દ્વારા વીંધી નાખે એ વાત વેદનાને કેટલી ઘુંટનારી બની રહે છે ! ને એ જ વીંધવાની વાત વળી શંખના ફુંકવા સાથે જોડીને આખા મહાભારતને હૈયામાં ઘમસાણ મચાવતું કરી દીધું છે ! (વાંસળી તો આપણી કૃષ્ણભક્તીનું અનુપમ કાવ્ય જ છે. એનાં છીદ્રો મધુર સ્વરોને રેલાવે, વલોવડાવે ને રોવડાવે પણ. છીદ્ર પોતે જ તો વીંધાયાનું પ્રતીક છે, જે પોતાની લીલા અન્યનેય વીંધીને સાર્થ કરે છે !)

એ જ રીતે આ ગઝલમાં આપવાની ને પછી ઝુંટવી લેવાની ક્રુર રમતોને એકથી વધુ વખત કાવ્યમય બાનીમાં તીવ્ર આરત બનાવીને મજાનું કાવ્યકર્મ કર્યું છે –

સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,

પણ પ્રભુતાથી પછી લૂંટી મને.

એક તો- તારું મને ઝુરાવવું…

ને આ તારી યાદે પણ પીંખી મને.

‘ઊર્મિ’ની ભરતી સતત દીધા પછી,

એકધારી ઓટ દઈ દીધી મને.

આ લેવડદેવડની રમત મને જો ગોકુળમાં વલોવાતાં વલોણાની યાદ અપાવી જાય તો શી નવાઈ ?! મીરાં હોય કે ગોપી – વલોણામાં વલોવાતી વેદના જાણે એમનું જ મનોજગત હોય તેમ આપણાં કાવ્યોમાં ઉપસતું રહ્યું છે.(આધુનીક સમયમાં વૉશીંગ મશીનોમાં થતી કપડાંની દશાને ‘વન – ટુ – વન’ એમ હથેળી ભમાવીને બતાવવામાં આવે છે ત્યારે એમાં કપડાંની દશાની મશ્કરી જાહેરાતની લાલચુ રીતભાત દ્વારા થતી લાગે !)

એક બાજુ સર્વસ્વ હાથમાં સોંપ્યા બાદ લુંટી લેવાની દગાબાજીની વાત પણ રાધા પોતાના સૌજન્યથી મઢી દે છે – ઉપાલંભ પણ કેટલો વહાલો કરી મુક્યો છે, પ્રભુતાથી લુંટવાનું કહીને !! આ આખી રચના, હું માનું છુ, બ્લોગજગત પરનું એક સંભારણું બની રહેવા લાયક છે.

ક્યાં રહ્યા’તા રાવ કરવા હોશ પણ !

મોરપીંછું મારી વશ કીધી મને.

આ પંક્તીઓમાં કાવ્યત્ત્વ છલક્યું છે. મોરપીંછનો માર કેવો હશે ?! મોરનો ગેહકારો, લાં…બો કેશકલાપ, રમણીય ને કમનીય ગ્રીવા, કોઈ રાજવીના ભાગ્યે પણ ન હોય તેવી ફરફરતી ને કાવ્યે મઢી હોય તેવી કલગી; આ બધું મોરને વીશ્વખ્યાત બનાવનારું છે. મોર એ વનનું વધારે ને વસ્તીમાં અસહજ એવું પક્ષી છે. વનવ્યાપારમાં જો પ્રણયવ્યાપાર ભળે તો મોરનું પીંછુંય વાગી જાય એવી નાજુક મનસ્થીતી હોય છે. ને આ તો કૃષ્ણના આલીંગનમાં વસેલી (ફસાયેલી કહેવાય ?!) રાધા ! (આ શેર વાંચીને કોઈનેય જો મુગલેઆઝમનું પેલું દૃષ્ય યાદ આવી જશે, જેમાં સલીમ એની અનારકલીને પીંછાથી પંપાળે છે, ને બડે ગુલામઅલી ખાં સાહેબને કંઠે રાગ સોહીણી ગવાતો હોય છે, તો મને બહુ આનંદ થશે !)

એક બે બીજી બાબતોય મને આકર્ષી ગઈ તે આમાંની શબ્દોની પસંદગી. જુઓ,  આ “‘ઊર્મિ’ની ભરતી સતત દીધા પછી, એકધારી ઓટ દઈ દીધી મને.”માં શેરના પુર્વપક્ષમાં સતત અને ઉત્તરપક્ષમાં એકધારી શબ્દો મુકીને ભરતીને અને ઓટને એમ બન્નેને ન્યાય આપ્યો છે. સાથે હતાં ત્યાં સુધી સતત ભરતી આપી પણ ગયા પછી તો એકધારી ઓટ “દઈ દીધી” જ, કારણ કે પછી તો મળવાપણું હતું જ ક્યાં ?! આ બન્ને શબ્દોની મજા ઊર્મિએ કરાવી છે.

એક બીજુંય લક્ષણ ભાવકને અજાણપણે ખેંચતું જણાશે – આખી ગઝલમાં ભાષા નહીં પણ બોલી હોય તેમ શબ્દો–વાક્યો વાતચીતનાં બન્યાં છે. કાવ્યમય શબ્દો મુકવા એ એક વાત છે, ને સામી વ્યક્તીને મોઢામોઢ સંભળાવાતી “સાંભળવી” એ બીજી વાત છે. આ ગઝલમાં બોલાતી વાતચીતની ભાત ઉપસી છે.

યાદ છે તને? / ક્યાં રહ્યા’તા હોશ પણ ! / એક તો- તારું મને ઝુરાવવું / પણ પછી લૂંટી મને. વગેરે શબ્દો–વાક્યો જુઓ. કોઈ કોઈને લહેકાથી, આંગળીઓ તાકી તાકીને બતાવતું હોય તેવું આંખેથી દેખાય છે ને કાનેથી સંભળાતું લાગે છે જાણે.

અને છેલ્લા શેરમાં તો દીધી શબ્દ કેવો સાર્થ–શ્લેષી બન્યો છે ? પહેલી પંક્તીમાં ‘દઈ દીધા પછી’માં દેવાની વાત છે તે તો બરાબર પણ બીજીમાં તો “દેવા” કરતાં વધારે “લઈ” લીધુ છે !! ‘દીધું’ શબ્દ ‘લઈ લીધું’ બની રહ્યો છે !!

શૃંગારરસના બે પ્રકારો છે. સંભોગશૃંગાર (મીલનશૃંગાર) અને વીપ્રલંભશૃંગાર (વીરહશૃંગાર). આ રચના વીપ્રલંભશૃંગારનું યાદગાર સર્જન છે. તો અહીં જ, આ ક્ષણે મને મીલનશૃંગારના લોકગીતની બે પંક્તીઓ પણ સમયોચીત યાદ આવી જાય છે, જેમાં રામસીતાના મીલનશૃંગારને કાવ્યમય રીતે લોકભાષામાં મુક્યો છે –

લવીંગ કેરી લાકડીયે રામે સીતાને માર્યાં જો,

ફુલ કેરે દડુલીયે,  સીતાએ વૅર  વાળ્યાં જો.

બહેન ઊર્મિની આ રચના સોનૅટ કે ઉર્મીકાવ્યની ઉંચી ઉડાન ભરતી જોવા મળે છે. શબ્દની પ્રામાણીક સાધના માણસને ક્યાં સુધી લઈ જાય છે તે બહેન ઊર્મિના સતત સમૃદ્ધ થતા જતા સાહીત્યસાગરમાં ને એની કક્ષાભરતીમાં દેખાય છે.



હેપ્પ્પ્પ્પી બર્થ ડે ટુ મી !!

(વ્યર્થ દે તું યું !)                                                           – જુગલકીશોર.

અમારી કેટલીક હરખુડી દીકરીયું–ભાણીયું–ભત્રીજીયું અમારામાં કોઈનોય જલમ દી’ આવે એટલે હૌથી પે’લાં વધામણી ખાવા આગલી રાતના બારા બજે ફોનની રીંગું ખખડાવવા માંડે. જીનો જલમદી’ હોય ઈને તો નીરાંત્યે ઉંઘવાય નૉ દ્યે ! રાત્યે બાર વાગ્યે તે કાંઈ હેપ્પીબરથ ડે કે’વાતું હશે ?!

પણ તોય મારાં વાલાંવ જગાડ્યા વના નૈં રે’. ને બાકી હોય ઈમ પાસું આખું ગીત ફોનમાં લલકારશે ! ઈ તો હારું છ કે ફોન કોઈ હાંભળનારું હોતું નથી, નહીંતર ઈ આખું ગીત હાભળીને પાડોશી એકાદી વેજીટેરીયન ચોપડાવી દ્યે તો નવૈ નૈં.

હાંઝ્ય પડ્યે પાસાં હૌ ભેળાં થૈને કેક કાપશે. મીણબત્તીને ફુંક મારીને હોલવશે. હળગાવીનેય પાશી ઝો હોલવવાની હતી તો હળગાવી ઝ શા હારુ ? ને દીવો ત્યે કાંઈ હોલવવા હારુ થોડો હોય ?! આ તો અપલખણાઈ હંધી રાત્યે નૉ વધે એટલી દીએ ને દીએ નૉ વધે એટલી રાત્યે – રાઝાની કુંવરીની ઝયેમ – વધતી જ જાય છ. અમારા વખતમાં તો હરખનો દીવો પેટાવતાં.

(મરણ ઓરું દેખાય ઈ ટાણેય દીવો કરવાનો રીવાજ હતો, ઈ તો હોલવૈ ઝાવાની નીશાની હારુ ને કાંક તો ઝાનારને ‘ઉપર’ મારગ દેખાડવાના રીવાજના માર્યા. વળી અગ્નીની સાક્ષીય કે’વાય – થોડી વારમાં તો એને ઝ હોંપી દેવાનાં ને !!)

આ હરખના નામે ખરસ કરવાના ધંધા. મીણબત્તીયું, ને ફુગા ને તોરણ ને ફોટા પાડવાના ને કેકના બટકાં પાડી પાડીને હંધાયને પોતાનાં એંઠાં બટકાં ખવડાવવાનાં ને લાં…બા રાગડા તાણીને ગાવાનું “હેપ્પી બરથ ડે…”

ઈના કરતાં આ જાત્યે જ ગલાલ સાંટવો હું ખોટો ?! હેપ્પી બરથડે ટુ મી !! કોઈ કે’, નૉ કે’ તોય આપણે જાત્યે જ ‘વીશ’ કરી લેવાનું. જાત્યે જ વધામણી દૈ દેવાની/ખાઈ લેવાની. વધામણી દેવામાં કે ખાવામાં ક્યાં ફદીયુંય ખરસવાનું ? હાવ મફતમાં કાંઈ મળતું હોય તો આ વધામણીવાળું !

જવોને, આમ કરતાં કરતાંય તૈણ વીહું ને સ વરહ વયાં ગયાં, ખબર્યેય પડી ? ને ઈમ આ સડસઠમું બેશીય ગ્યું. વરહને ઝાતાં કાંય વાર થોડી લાગહ ? આમ ઝ એક દી’ હંધું પુરુંય થૈ જાહે, જોજ્યોને ! એક દાડો આપણોય ફોટો ભીંત્યે લટકી જાહે. (જલમ દી’નાં હરખુડાંવ માળાં હમઝતાં ઝ નથ્ય, કે વધામણી શેની ? એલા, આ તો એક વરહ ઓસું થ્યું – મળેલા આયખામાંથી !!)

અમારી આ હંધી સોડીયુંનો વધામણાંનો આટલો હરખ ઝોઈને મનમાં ઘણી વાર થાય કે, માળું હાળું આય ખરું કે’વાય હો ! જલમ દી કોકનો ને કોક હરખાય. બેગાની શાદીમેં અબ્દુલ્લો ગાંડો ઈ આનું નામ. દીધ્યે રાખો તમતમારે, મારા ભૈ. ગાયે રાખો તમતમારે – હેપ્પી બરથ ડેટુયુ…

હું તો મને ઝ કે’વાનો કે હેપ્પી બરથ ડે ટુ મી !! અને હારો હાર્ય થેંક્યુય બોલી નાખવાનું –

“હું કીયો સો દલા તરવાડી ? રીંગણાં લઉં સડસઠ્ય–અડસઠ્ય ?”

“અરે, મારા વા’લા, લ્યોને તમતમારે કોથળો ભરીને – સો વરહ હાલે એટલાં; એય ને ઝલસા કરો; ને આમ ઝ ગાતા રૉ – વ્યર્થ દે તું યું !!’

*******************************

તમને તો એ –



માણસ

એ પોતાથી ડરતો રહે છે;

માણસ ક્ષણક્ષણ મરતો રહે છે.


અરધી પુરી કરે હાંફતાં,

વધી જીંદગી સરતો રહે છે.


ખાલીખમ લાગે છે તમને –

ક્યાંક કશું જો ભરતો રહે છે.


ચડતો રહે – ઉતરતો રહે છે;

ઠરીઠામ ક્યાં ઠરતો રહે છે ?


સવાર્–સાંજ આથડતો રહે છે,

આચર–કુચર ચરતો રહે છે.


આદર્શો તો ખડકે અધમણ –

અધોળ બસ આચરતો રહે છે.


બહારના કોલાહલ વચ્ચે

ભીતર ભીતર ગરતો રહે છે.


દર્પણના દેખાડા ફોગટ,

ચહેરાને ચાતરતો રહે છે !


વસંતડાળે નવું કૉળવા

પાન–ખરે બસ ખરતો રહે છે.


સાવ ભુલકણો ભલે લાગતો –

તમને તો એ સ્મરતો રહે છે.

************

– જુગલકીશોર.

તા. ૨૪–૦૧–’૧૦.

સરોવરનું જળ છું, વમળ હોય ક્યાંથી ?!

ગૌરાંગ ઠાકરની ગઝલો – ૩                                   – જુગલકીશોર.

‘મારા હિસ્સાનો સૂરજ’ એ દરેકને ભાગે આવી મળેલા સ્વપ્રકાશની વાત કહેનારો સંગ્રહ છે. દરેકને પોતાના ભાગે આ જન્મ પુરતો મળેલો ક્વોટા ઓછો નથી. કોઈ માણસ એમ નહીં કહી શકે કે મને પ્રકૃતી તરફથી, જન્મની સાથે મુળભુત બાબતો ઓછી મળી છે. સાડા પાંચ ફુટના શરીરમાં સૌથી મહત્તવનાં તત્ત્વો પુરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા છે જ. સમગ્રના સંદર્ભે એ ભલે વીરાટની અંજલી માત્ર છે. છતાં જે બ્રહ્માંડે છે તે જ એક પીંડને જરુરી તે બધું જ આવરી લેતું તેમાં અગાઉથી મુકીને જ મોકલવામાં આવે છે ! બાહ્ય સંપત્તીમાં ફેરફાર હોવાનો (કારણ કે બાહ્ય જગતનું (અ)વ્યવસ્થાતંત્ર એને માટે જવાબદાર હોય છે !)પણ આંતરીક સંપત્તીનો ક્વોટા સરખો જ હોવાનું શાસ્ત્રો કહે છે. (પછી કોઈ એને વાપરે – વાપરી શકે ન વાપરે – ન વાપરી શકે તે જુદી વાત છે !)

આટલું પ્રાસંગીક આ ત્રીજા હપતામાં કહીને હવે આગળ વધીએ –

ગયા હપતામાં છેલ્લે આપણે જોયું હતું કે ગઝલકાર કોઈના ટહુકા માત્રથી પોતાના હૃદયનાં દ્વાર ખુલી જવાની વાત કરે છે. કહે છે,

ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?

દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો ?

આ જ ગઝલમાં તેમણે બીજા એક શેરમાં લખ્યું છે,

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર પણ,

તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

આ વાત સર્જક જાણે પોતાને જ સંબોધીને આપણને કહે છે કે તારું પોતાનું અસલી રુપ છે તે તો બીજું જ છે. આપણે તો આપણા પડછાયામાં જ મસ્ત હોઈએ છીએ. આપણો પડછાયો જ આપણને વહાલો લાગે છે. ને એટલે એને જ શણગારવામાં વ્યસ્ત ને મસ્ત રહીએ છીએ. પડછાયો એ બાહ્ય સ્વરુપ છે. વળી તે કોઈ અન્ય પ્રકાશના સંદર્ભે જ હોય છે. પરપ્રકાશથી પડતો પડછાયો, અન્ય પર આધારીત જીવન એ બધું આ પડછાયાના પ્રતીક દ્વારા સમજાવીને કહે છે, કે કોઈ દીવસ તને તારું અસલ રહેઠાણ, તારું સ્વ–ધામ ઓળખાઈ જશે – મળી આવશે તો ??!

આ સવાલ બહુ વજનદાર સવાલ છે ! ઘેટાના ટોળામાં મોટો થયેલો સીંહ પોતાનું અસલ સ્વરુપ જાણતો નથી. સર્જક–સીંહ બહારથી આવીને ઘેટા વચ્ચે ફસાઈ ગયેલા સીંહને આ સવાલ પુછીને એક મોટી હલચલ ઉભી કરી દે છે. તારું તારામાં હોવું ને અન્ય બાબતોમાં ન હોવું; તને આપવામાં આવેલા મન–બુદ્ધી–ચીત્ત–અહંકાર વગેરે સાધનોનો ઉપયોગ–પ્રયોગ કરીને પોતાની વ્યક્તીતા સાબીત કરવી એ કેટલું અગત્યનું છે તે વાત સમજાવાઈ છે અહીં. આ નાયક તો આવું કંઈક અતી અગત્યનું ભાળી ગયો હોય તેમ કહે છે,

કૈંક ભાળી ગયો છું ભીતરમાં,

ત્યારથી ખુદમાં ક્યાં સમાયો છું ?

એટલે એ પડછાયાથી પ્રભાવીત થવાને બદલે મુળ તત્વની ખોજ ચાલુ રાખે છે –

ચીજ જે ઘરમાં હતી જડતી નથી,

મારી ઓળખની છબી મળતી નથી

એ જુએ છે કે અસલ ચીજને પામવામાં કેટલુંક નડતરરુપ હોય છે. તેથી એવું બધું અંદર ન પ્રવેશે તેનો ખ્યાલ પણ રાખી એવાં તત્ત્વોને બહાર જ રાખવા મથે છે –

જન્મથી આ ફકીરી આવી છે,

હું ઘણું દ્વારથી વળાવું છુ.

સંસારમાં રહેવાનું હોય ત્યારે સાંજે ઘેર આવીએ ત્યારે ઘરનાં તો પુછવાનાં જ કે ક્યાં જઈ આવ્યા, શું કરી આવ્યા, અમારે માટે શું લાવ્યા ?

સુદામાને એની પત્ની હંમેશાં આવું જ કદાચ પુછ્યાં કરતી. રહેવાતું નહીં, ત્યારે તીવ્ર વેદના સાથે કહી બેસતી (પ્રેમાનંદના શબ્દોમાં)–

“એ જ્ઞાન મને ગમતું નથી ૠષીરાયજી રે,

રુએ બાળ, લાવો અન્ન, લાગું પાય જી રે !!

એક વખત તો આ સર્જક પણ કહી બેસે છે કે, મારો તો પડછાયો પણ રહ્યો નથી ! સુરજે આપ્યો હતો ને સુરજ લઈ ગયો !! હું અકબંધ રહી જ શી રીતે શકું ?!

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,

ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

આપણી આચારસંહીતા તો કહે છે કે સંસાર સાથે આવી મળેલી ફરજોને નજરઅંદાઝ કરી શકાય નહીં. અને આમેય આપણી આ ગઝલોમાં સંતાયેલો નાયક જગતને છોડીને એકાંત શોધીને બેસી રહેનારો સાધક તો નથી જ, એટલે અવારનવાર તેણે સાંસારીક બાબતોનેય અપનાવીને ન્યાય આપવા પ્રયત્ન કર્યો જ છે. જોકે એની જીવનશૈલી તો તે છતાંય કંઈક નોખી અને અધ્યાત્મનો પરીચય કરાવનારી જ લાગે છે. સંસારના રસ્તેથી પણ એનું ગમન તો અનહદ તરફનું જ જણાય છે. કહે છે,

તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,

અહીં તેથી હું આવ્યો છું બધી  સરહદ વટાવીને.

મનની સાંકડી ગલીઓ–સંકુચીતતાઓને ક્ષીણ કરીને, પીંજરમાં પુરાયેલી આપણી સ્વૈચ્છીકતાને, મુક્ત પંખી શી આપણી નીખાલસતા–સહજતા વગેરેને પંખીના ટહુકાઓ હંમેશાં મળતા રહે ને એમ આપણી મુક્તી ઝંખતી મનુષ્યતા બંધીયાર બન્યા વગર સદાય જીવંત રહે તેવું ઝંખે છે –

સાંકડા રસ્તા ગલી તો ચાલશે,

ઘરમાં ભીંતો મનની તોડાવો હવે.

પિંજરું પહેરી ઉભેલા ઝાડને,

ક્યાંકથી ટહુકાઓ સંભળાવો હવે.

વળી જેના દ્વારે ટકોરા મારીને જવું છે તેની સાથેનો સંબંધ પણ કોઈ પણ જાતના વીક્ષેપ વગરનો હોય તેવું માને છે ને મનાવે પણ છે. સામાની સગવડો, સ્વાતંત્ર્ય વગેરેનો પુરો ખ્યાલ પણ રાખીને એ આગળ વધવા કરે છે.

તમે પણ હૃદયનાં કમાડો ઉઘાડો,

નથી કોઈ મારે તમારે તિરાડો.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેથી,

તને સંબંધનાં પિંજરથી હું આઝાદ રાખું છું.

કેટલાક છુટ્ટા શેર પણ સાથે સાથે માણી લેવા જેવા છે. બાકીના આ શેરો પણ છે તો મકાન–રહેઠાણ–ઘર સંબંધે જ તેથી એનો ઉલ્લેખ કરવો અસ્થાને નથી. મકાન વીષયક ગઝલમાં સર્જકે કરેલી મોટાં મકાનોની ભડક અને તેના દ્વારા થતી સુક્ષ્મ હીંસાની વાત આપણે અગાઉના હપતામાં કરી ગયા. એ જ ગઝલના એક શેરમાં કવી કહે છે કે બહારનું મકાન હોય તો, બહારનું જગત હોય તો તો પહોંચી વળાય છે; બાહ્ય જગતને જીતવું એટલું અઘરું નથી પણ આ ભીતરી મકાન તો ઠેકવા જતાં બહુ લાંબુ પડે છે !!

એક બે ફલાંગે બ્હાર હું જઈ તો શકું છું પણ,

ભીતરની ભીંત ઠેકતાં લાંબું મકાન છે.

વળી મકાનમાં રહેનારું છે તે પણ સ્વ–ભાવે તો ઉડવા જ ઝંખતુ – કબુતરશુ – પંખી જ છે. એ ધારે તોય જંપીને બેસી શકે તેમ નથી, કારણ કે એને સદાય ને સતત ઉંચે તરફ, મોક્ષ તરફ ખેંચતી હવા જન્માંતરો સુધી એનો કેડો મુકતી નથી ! આ જન્મે એણે માળો તો બાંધ્યો પણ “ઉત્તરના વાયરા”તો એની પાંખોને ઉડવાના જાસા મોકલતા જ રહેવાના !

હજી માંડ માળો રચી પાંખ બેઠી,

પવનનો મળે ત્યાં કબૂતરને જાસો.

આ શેરમાં પાંખને જીવનનું પ્રતીક બતાવીને અને સદાય ફફડતા રહેતા જીવને કબુતરનું પ્રતીક બતાવીને સર્જકે શબ્દો પાસેથી સરસ કામ લીધું છે.

તો વળી સંસારથી, જીવનની જાહોજલાલીભરી માયાથી દુર કરનારી કાતીલ હવાનો ઉલ્લેખ કરીને કવીએ બપ્પોર રુપી ફફડતી યુવાનીનેય કાવ્યમય બાનીમાં વણી લીધી છે –

હવા લાગતી કોઈ કાતિલ શિકારી,

અહીં તેથી માળામાં સંતાય બપ્પોર.

જીવનને ક્ષણભંગુર કરી મુકનારી કેટલીક નબળાઈઓનેય પણ જોઈ લેવા જેવી છે. કવી બે પંક્તીઓમાં વૃક્ષની આવી વીવશતાનો સરસ મજાના શબ્દો દ્વારા પરીચય આપે છે. પાનખર એક જાતનું નાનકડા સ્વરુપનું લાગતું મરણ છે. એ દર વખતે યમરાજ રુપે આવે છે, ને જ્યાં જ્યાં ઝાડની નબળાઈ દેખાય ત્યાંથી વૃક્ષની શોભા રુપ જીવન છીનવી લે છે. પાનખર ડાળે ડાળે જઈને વૃક્ષની વીવશતાને(એની સૌથી નબળી કડી રુપ પાનની દાંડી)ને, ખેરવી નાખે છે. કેવી સરસ કલ્પના મઢેલી આ પંક્તીઓ છે !!

ડાળડાળે પાનખર ફરતી હતી,

જ્યાં વિવશતા વૃક્ષની રહેતી હતી.

આવી ક્ષણભંગુરતાને આગળ કરીને, બતાવીને એક શેરમાં કવી જીંદગીને જ એક પડાવ ગણાવી બેસે છે. આ શેરમાં કોઈ ઘરનો ઉલ્લેખ નથી પણ પડાવનો નીર્દેશ કરીને જીવનને એકદમ નાનું, ઝડપી અને ક્ષણજીવી બતાવ્યું છે. જીવનનું આય એક રહસ્ય બહુ ઓછા શબ્દોમાં કવીએ વર્ણવ્યું છે –

તારું રોકાણ ક્યાં છે કાયમનું ?

જિંદગી તું પડાવ લાગે છે.

આવી આ પડાવરુપ જીંદગી, એક કામચલાઉ રહેઠાણ – ઘર –ની વાત કરીએ અને ઈશ્વરનો એમાં ઉલ્લેખ જ ન હોય તે કેમ ચાલે ?! સર્જકે ઈશ્વરનેય આ મકાનોના શેરોમાં બેસાડ્યો છે ! આ ત્રણ શેરો એ નીમીત્તે માણવા જેવા છે –

તારી ભીતરમાં કોઈને ઘર મળે,

તો તને પણ શોધતો ઈશ્વર મળે.

માણસની ભીતરમાં, આંતર જગતમાં કોઈને પ્રવેશ મળે તો તેના જેવું પુણ્યકાર્ય બીજું શું હોય ?! આજે જ્યાં જુઓ ત્યાં સંકુચીતતા, અસમાનતા જોવા મળે છે ત્યારે વીશાળ હૃદય રાખીને પોતાના સુખમાં ભાગીદાર બનાવનારા પુણ્યાત્માઓનું ઘર તો ખુદ ઈશ્વર પણ પુછતો આવે છે એમ કહીને સામાજીક જાગૃતી અને સમાનતાના મુદ્દાને ઈશ્વરના સાન્નીધ્યે લઈ જનારો બતાવ્યો છે.

જ્યાં તેં બદલ્યું તારું ધામ,

આખેઆખું ખાલી ગામ.

આ શેરમાં કવીએ પુણ્યાત્માઓની, ઈશ્વરરુપ માનવીઓની જ નહીં, જીવની પણ વીદાઈ થતાં આખેઆખું મકાન ખાલી થઈ જતુ બતાવીને દૈવીપણાને, માનવીયતાને સંસારની એક નક્કર વાસ્તવીકતાની સાથે જોડી આપ્યું છે. તો બીજી બાજુ ઈશ્વર જેવા ઈશ્વરનેય જીવનની કઠોર વાસ્તવીકતાથી મોં ફેરવી લેતો કલ્પીને, એના મૌનનેય ઉપાલંભ આપ્યો છે.

ઈશ્વર તું તો ત્યાં પણ ચૂપ,

હોય ભલેને અક્ષરધામ.

અંતે મને ગમી ગયેલા બહુ જ મજાના વધુ બે શેરની વાત કરીને આ પુરું કરીએ. આગળ ઉપર બેચાર બહુ જ મજાના શેરોની જીક્ર કરી હતી. છેલ્લે બે શેરો –

હું દ્વારથી પ્રતીક્ષા ઉઠાવી નહીં શકું,

ભીંતોમાં બીજી બારી મુકાવી નહીં શકું.

સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું,

સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી ?

ઘર–મકાનમાં દ્વારની જેમ જ બારીઓ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બારીઓ પ્રકાશનું, નવા વીચારોનું પ્રતીક છે. પરંતુ એક જ નીશ્ચયે વળગીને બેસનારાંઓ, નૈતીકતાને વળગી રહેનારાંઓ, અરે મોક્ષ માટેના માર્ગોમાંના કોઈ પણ એક માર્ગને વળગી રહેનારા મુમુક્ષુઓ સૌમાં એક તત્ત્વ સામાન્ય હોય છે – આડુંઅવળું બીજે ક્યાંય પણ લક્ષ આપ્યા વીના તેઓ અર્જુનને દેખાતી પક્ષીની આંખ માત્ર તરફ જોઈ રહેનારાં હોય છે. એને આડાઅવળા ડાંફોળીયાં મારવાનું ન પોસાય.

આવા લોકોને માટે બારીઓ એ લક્ષને ચુકાવનારું તત્વ ગણાય. કહે છે, હું તો કોઈના આવવાની, શાશ્વત તત્ત્વને આવકારવાની પ્રતીક્ષામાં છું. મારા ઘરની ભીંતોમાં બારી–બાંકોરાં પાડીને હું મારા ચીત્તને વીક્ષીપ્ત કરી શકું જ નહીં !!

તો બીજા શેરમાં તો કવી પોતાના સાલસ અને સીધા–સાદા જીવનની ઓળખ આપવા માટે કેવો મજાનો શેર કહે છે !! હું કોઈ સાગર નથી કે ઉછળ્યા કરું; હું કોઈ નદી કે ઝરણું નથી કે ઠેકડા માર્યા કરું; હું કોઈ વમળો ધરાવતો ઉંડો જોખમી ધરો પણ નથી કે આમળીયા ખાઈ ખાઈને, જીવનની સરળતાને ગુંચવી નાંખનારો પણ નથી. મારે તો મર્યાદાઓ છે; જીવનની સ્વેચ્છાએ સ્વીકારી લીધેલી આચારસંહીતાઓ છે. મને આડુંઅવળું થવું ન પોસાય. શાંત સરોવર જેવું નીશ્ચલ જીવન એ જ મારું ખરું જીવન છે. મારે વમળો તો હોય જ શી રીતે ??!

****************

આ ત્રણ હપતામાં આપણે સૌએ સાથે મળીને શ્રી ગૌરાંગ ઠાકરની ગઝલોનો આસ્વાદ લીધો. અગાઉ કહ્યા પ્રમાણે આખાસંગ્રહમાંથી ફક્ત ઘર–દ્વાર–બારી–ભીંતોને દર્શાવતા શેરોને જ આમાં સાંકળ્યા છે. એ સીવાય પણ અનેક રીતે આ સંગ્રહ માણવા જેવો છે.

સર્જકનો, આવા મજાના સંગ્રહ બદલ અને મારા વાચકોનો મને આમાં સાથ આપવા બદલ ખુબ આભાર. ગુજરાતી શબ્દ ગુજરાતીઓ અને એની માતૃભાષા એમ બન્ને માટે વપરાતો શબ્દ છે. હું ગુજરાતી છું ને મારી માતૃભાષા પણ ગુજરાતી છે એના ગૌરવ સહીત અહીં અટકું.

બારી ઉઘાડ, દોસ્ત !!

ગૌરાંગ ઠાકરની ગઝલોમાં ઘર–બા’ર–ભીતર (૨)              – જુગલકીશોર


“મારા હિસ્સાનો સૂરજ” નામક આ ગઝલસંગ્રહમાં કુલ ૫૧ ગઝલો છે. એમાં ફક્ત ઘર વીષયક પાંચ ગઝલો છે ! અને જરા ઝીણવટથી જોઈશું તો ઘર, દ્વાર, બારીઓ અને ભીંતો વગેરે સહીત ઘરની વીભાવનાઓ અંગેના કુલ ૪૧ જેટલા શેર આ સંગ્રહમાં છે !! આમ તો આ ગઝલસંગ્રહમાં અનેક વીષયો પરના મજાના શેરો છે. પરંતુ આપણે તો અહીં ફક્ત ઘર વીષયક શેરો પુરતું જ ઉંડા ઉતરવાનું રાખીશું. બાકીના વીષયો વાચકો ઉપર છોડીને સંતોષ માનીશું…

પોતાના ઘર વીશે આ ગઝલકાર વારંવાર, વીગતે અને ઝીણવટથી વાતો કહે છે ત્યારે એમનું આ ‘ઘર’, ઘરનાં દ્વારો, બારીઓ વીશે જાણવા મન રહે તે સ્વાભાવીક છે. આ ઘર, સર્જકના મનમાં પડેલી ઘર વીશેની જુદી જુદી વીભાવનાઓ પણ પ્રગટ કરે છે.

વાતોના છે વિસામા ને મીઠા છે આવકાર,

પૂછે છે પગરવો મને કોનું મકાન છે ?

કોઈ આગંતુકોનાં પગલાંનો ધ્વની એમને દુરથી સંભળાય છે. તે પગલાંનો રવ જાણે કે પુછે છે, કે વાતોના જ્યાં વીસામા છે, ને મીઠા આવકારભર્યા ટહુકાઓ સદાય સંભળાતા રહે છે તે મકાન કોનું છે ?? ઘણી વાર તો આગંતુક આવનારો વીસામો હજી કેટલો દુર છે તે જાણવા પુછ્યા કરે છે, રસ્તાને !!

“પગરવો પૂછ્યા કરે છે ઘર વીશે”…..

પણ –

“માર્ગ બોલે કંઈ નહીં અંતર વીશે” !!

તો કોઈને વળી નાયક પોતાનું સરનામું સીધું જ લખાવી દે છે –

મારા મકાનનું તને સરનામું આપું, લખ,

ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

આપણે આગળ જોઈશું કે સર્જકને મન માનવીનું હૃદય–મન એ જ સૌથી માટું ઘર, સૌથી મોટો વીસામો છે, તેથી એણે ખુલ્લાં ફટાક રાખેલાં બારણા એ ભારતીય સંસ્કારોનું પ્રતીક બની રહે છે. સૌરાષ્ટ્રમાં સદાય ગવાતું રહેલું ગીત “તારાં આંગણિયાં પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હો જી !” આપણો આ સર્જક તો એનાથીય આગળ વધીને કોઈના પુછવાનીય રાહ જોતો નથી ! બારણાં તો ઠીક છે, ખુલ્લાં છોડ્યાં છે, પરંતુ વધારે પડતી ભીંતોનેય તે સ્વીકારતો નથી !

કોઈ મારા ઘર વિષે જાણે નહીં,

એટલી ભીંતો ચણીને શું કરું ?

આ શેરમાં માનવીની સામાજીકતા કેટલી ઉંચી જઈ શકે તેનો પરીચય થાય છે. “મારા હિસ્સાનો સૂરજ”ના કેટલાક ઉત્તમ શેરોમાંનો આ શેર છે.

ભીંતો એ બારણાથી તદ્દન વીપરીત ગુણો ધરાવતી બાબત છે. ઘરને સુરક્ષા માટેનું કવચ ન ગણવામાં આવે તો ભીંતો તો સામાજીકતાની વીરોધી બની રહે છે. કહે છે,

ખુદના ઘરની જે ભીંત તોડી શકે,

એ જ જોડી શકે સમાજ અહીં.

ઘર વીષયક ઉત્તમ શેરો આપનાર ગઝલકારે આ સંગ્રહમાં કેટલીક સાવ સાદી અને સીધી જબાનમાં ઘરની, મનની ને સામાજીકતાની બારી ઉઘાડી રાખવાની કહી છે. આપણા ભાવનગર રાજ્યના લોકપ્રીય દીવાન પટ્ટણી સાહેબ “ઉઘાડી રાખજો બારી”વાળું ગીત પ્રસંગોપાત સંભળાવતા. આ સર્જકે પણ એક આખી ગઝલ “બારી ઉઘાડ દોસ્ત.”ના રદ્દીફથી મુકી છે –

અજવાશ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત,

અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત.

આપી જશે હવા તને ખુદની વિશાળતા,

ફૂલોની મ્હેક આપશે, બારી ઉઘાડ દોસ્ત.

તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,

બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.

વરસાદ, મેઘધનુષ ને વાદળ,હવા, સૂરજ,

બોલાવતાં તને કશે, બારી ઊઘાડ દોસ્ત.

કેડીથી ધોરી માર્ગની તું થઈ જશે સડક,

માણસનો રાહબર થશે, બારી ઊઘાડ દોસ્ત.

સાવ સાદી બાનીમાં મુકાયેલી આ ગઝલમાં ઉંચી કાવ્યઉડાન પણ “તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને” વાળા શેરમાં માણવા મળે છે ! કેટલુંક સલાહ જેવું પણ ક્યાંક કાનમાં સંભળાવાયું છે. અહીં સર્જક શીક્ષક બનીને કહે છે,

મારી ડાળે વસંત બેઠી છે,

ઘરમાં બેસી તમે ગુમાવો છો.

ધરતીનો છેડો છે ઘર,

શું તું જંપે છે અંદર ?

કેટલાક શેરોમાં ગઝલકાર કોઈને સીધું સંબોધન કરીને કેટલીક ઉત્તમ પંક્તીઓ આપે છે. પોતાના પ્રીય પાત્રને ઉપાલંભ આપતા હોય તેમ કહે છે તો એવું જાણે પ્રીયતમને સંભળાવે છે, પણ હકીકતે પોતે જ પ્રીયતમને કેવા સાચવી બેસે છે તેની બહુ મજાની પંક્તીઓ આમ છે –

સપના સુધી તો આવશો એ ધારણા હતી,

પણ આપ તો ખરાં છો કે પાંપણમાં રહી ગયાં.

પાંપણની ભીતર પ્રવાહીત બનીને ઝળુંબી રહેતું કોઈ સ્વજન એ કલ્પના જ મજાની છે. આવા સ્વજન સાથેનો સંબંધ એટલો તો પારદર્શી હોય છે કે એમની આરપાર જગતને જોવાનોય લહાવો મળી રહે !  પાંપણનું ઘર, અને ઘરમા રહેનારું આવું પારદર્શી મહેમાન !! પછી તો નાયકની દશા જ શી થાય તેય જુઓ –

ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?

દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો ?

અરે, ભલા માણુસ ! દ્વાર ખોલાઈ જશેની બીક શા માટે ?! તેં તો ક્યારનું ખોલી રાખ્યું જ હતું, ને “ખુલ્લાં ફટાક’ દ્વારો રાખીને આવકારતો તો તું બેઠો જ હતો !! ટહુકો અહીં જાણે રીમોટકંટ્રોલનું કામ કરી જાય છે ! જેની પાસે ટહુકા જેવા રીમોટકંટ્રોલનું વરદાન–સાધન હોય તેનું તો આગંતુકના આવવાના ઈશારા માત્રથી બારણું ખુલી જાય – ને એય તે ઘરનું જ નહીં, હૈયાનુંય બારણું પણ – તેથી જ કહ્યું ને કે, તારા આવવાના ટહુકાને બાન કરવાની તાકાત જ નથી; તારે દ્વાર ખોલવાની તસ્દી પણ લેવી નહીં પડે. મારા હૈયામાં જ તું પ્રવેશાઈ જશે !!

–––––––––––––––––––––––––––––––––––––––––––––

ગઝલકારને અભીપ્રેત ઘર–બાર–ભીંતો અને પોતાની ભીતરમાં જ ખુલી રહેલા એક નવા આધ્યાત્મીક કક્ષાના દ્વારની વાતો હવે પછીના હપતામાં…

ગૌરાંગ ઠાકરની ગઝલો – ૧

ગૌરાંગ ઠાકરની ગઝલોમાં ઘર–બા’ર–ભીતર (૧)

જુગલકીશોર

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,

એ પછીથી બારણું થઈ જાય છે.

આ ગગનચુંબી ઘરો સર્જાય છે,

આભ તો પંખીનું ઓછું થાય છે.

મકાન વીશેની અનેક વીભાવનાઓ હોઈ શકે છે, પણ આ વીભાવના વાચકને ઘર અંગે સાવ નવી જ દીશા બતાવી જાય છે. પ્લાસ્ટીકનાં બારણાં તો હમણાં આવ્યાં. પતરાનાં બારણાં હતાં તેને કે પછી ઘાસફુસથી બનાવાતા ઝાંપાને દ્વાર–બારનું સ્થાન મળ્યું નથી. ગમે તેવાં નકશીદાર અને સજાવટભર્યાં કીમતી બારણાં કેમ ન હોય, એ બારણાંઓ બધાં જ વૃક્ષછેદનનું પાપ કર્યા બાદ જ બને છે. અને આ પાપ સામાન્ય નથી. વૃક્ષોને આખાંને આખાં કાપ્યાં પછી જ બારણાં માટેનાં પાટીયાં પડી શકે. એને મુળ સમેત જ કાપ્યાં જાણોને.

આ છેદન, પર્યાવરણનો આ વીનાશ સર્જકને ચોટ પહોંચાડે છે. બારણું એ વીકાસનું પ્રતીક છે. માણસ બહાર જાય છે ત્યારે જ પેટ ભરવા માટેનું ઘરમાં લાવી શકે છે. પેટ માટે, વીકાસ માટે માણસ ધરતી ખુંદી વળે છે. આ બહાર નીકળવાની વાત છે. દ્વાર (લોક બોલીમાં જેને બા’ર – બહાર ?– કહે છે)એ બારણું હવા–પ્રકાશ–નવા વીચારો–જ્ઞાન–ને આવવાનું ય પ્રતીક છે. ઘરમાં રહેનારનું બહાર જવું અને બહારની પ્રાકૃતીક કે ભૌતીક સંપત્તીનું અંદર આવવું એ બારણા દ્વારા જ શક્ય છે. બન્ને તરફની આ આવનજાવન જીવનનો અનીવાર્ય અંશ છે.

પરંતુ બીજા શેરમાં એક બીજી જ વાસ્તવીકતા તરફ આપણું ધ્યાન ખેંચાય છે. ઉમાશંકરે લખ્યું છે,

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવીઃ

પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !

આ જગત સહુનું સહીયારું છે. પંખીઓ પોતાનું ઘર બનાવવા માટે માનવીનું કશું છીનવતાં નથી. પણ ગઝલકારને ગગનચુંબી મકાનોમાં રોકાઈ/વપરાઈ ચુકેલા /ઓક્યુપાઈડ આકાશમાં સુક્ષ્મ હીંસા દેખાય તો શી નવાઈ ? અને આભ તો સાચે જ પંખીઓનું ગણાય. વળી ગગનચુંબી મકાનો એ વૃક્ષો માટેની તકોનુંય છેદન જ ને ! ઈમારતોનાં જંગલોમાં આસપાસમાં પક્ષીઓ માટે કોઈ સ્થાન ક્યાં ? (કદાચ હોય તોયે પાંજરામાં હોઈ શકે, જેમાં કેદ કરીને મકાનની શોભા વધારાય છે !)

આવું આ મકાન જો માપસરનું, જરુર પુરતું, ન્યાયી માર્ગે બનાવાયેલું મકાન હોય તો પછી તે વાજબી છે. એ આશરો છે. સૌને સાથે રાખીને સચવાતી સગવડ છે. અને એક જીવન પુરતું તો તે સર્વસ્વ છે. એ જીવનની ત્રણેય અવસ્થાઓ(બાળવય–યુવાની–વૃદ્ધાવસ્થા)માં, ત્રણે પ્રકારનાં દુઃખો(આધી–વ્યાધી–ઉપાધી)માં અને ત્રણે ૠતુમાં, માનવીને સાચવે છે. આવા આ મકાન વીશે ગઝલકારના મનમાં એક આદર્શ છે. મકાન અંગેની તેમની એક વીભાવના છે. આ વીભાવના તેમણે જુદી જુદી રીતે આખા ગઝલસંગ્રહમાં સ્પષ્ટ કરી છે. ક્યાંક તેઓ કહે છે,

આખા પ્રવાસમાં હતી એની તલાશ દોસ્ત,

હૈયાને હાશ થાય જરા એવું ઘર મળે.

આવી હાશ પણ એમને એકલાને ગમતી નથી. સદાય ત્યાં મહેમાનો–આગંતુકોનો આવરોજાવરો હોય તે પણ એટલું જ અગત્યનું છે –

એ જ તોરણને રાખે લીલાંછમ,

દ્વાર જે આવકારમાં જોયાં.

અહીં મેળ મનમાં મળે તે ખુશી છે,

પછી ઘરમાં કાયમ વસે તે ખુશી છે.

આવું મકાન પછી મકાન ન રહેતાં ઘર બની જાય છે. અને ઘર એ તો સાવ જુદી જ વસ્તુ બની રહે છે ! એ ઘર ન બને ત્યાં સુધી ગમે તેટલું મોટું કેમ ન હોય, કાચું મકાન જ હોય છે,

પથ્થર ને ઈંટનું ભલે પાકું મકાન છે,

એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે…..

વળી એ ભલે ગમે તેટલું નાનું કેમ ન હોય, એ પ્રાકૃતીકતાથી સભર હોય તો તો વળી વાત જ જુદી બની રહે છે,

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,

અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

ઉંચાં મકાનો સામે સર્જકને કાંઈક વાંધો પડી ગયો લાગે છે ! ઉંચું મકાન એ જાણે કે ‘મોટા માણસ’ બની ગયેલાઓનું પ્રતીનીધીત્વ કરે છે. કહે છે,

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,

પ્હેલાં હતું જ્યાં ઘર ત્યાં તો ઊંચું મકાન છે.

ઘર અંગેની આવી વીભાવના જેમની છે તેમને માટે દ્વાર પરની સાંકળ અંગે જુદું જ કહેવાનું બને છે. સાંકળને તેમણે બે રીતે જોઈ છે. કહે છે,

પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી,

હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

મહેમાનભુખ્યો માણસ કે કોઈ પ્રીયના આગમનનો તરસ્યો પ્રેમી સતત ને સદાય કોઈના આવવાની પ્રતીક્ષામાં ઝુરતો હોય છે. સહેજ બારણું ખખડે અને એ દોડે ખોલવા માટે. પણ દર વખતે સાંકળનું ખખડવું એ કાંઈ કોઈના આવી ગયાનું હોતું નથી ! તોફાની છોકરાની માફક હવા પણ બારણાને કોઈક વાર હેરાન કરી મુકે છે – સાંકળને નાહકની ખખડાવીને છેડતી કરી બેસે છે !!

આ સાંકળ પણ ગજબની ચીજ છે ! એ બંધનનું પ્રતીક છે. તો સુરક્ષાનુંય તે જ પ્રતીક છે !! સાંકળ વગરનું બારણું કદાચ બારણું કહેવાવાને લાયક રહેતું નથી ! બંધન પણ પોતાની જગ્યાએ મહત્ત્વ ધરાવે છે. દોરી પર નાચતો નટ કેટલા સાંકડા રસ્તાના બંધને રહેલો હોય છે, ને છતાં એટલી સાંકડી જગ્યા પર પણ કેવી કેવી લીલા કરી બતાવે છે ?! (આપણને તો ૨૦૦ ફુટ પહોળા રસ્તા ઉપર પણ ચાલતાં આવડતું નથી !) ને આપણો કવી ?! છંદનાં બંધનોમાં રહીનેય કેવી કેવી શબ્દલીલાઓ કરી શકે છે !! આ બંધનરુપ સાંકળ પણ બારણાની પુર્ણતા માટે જરુરી બની જાય ત્યારે સર્જકને બારણાની એ વીવશતા માટે થઈ આવે છે –

પૂર્ણતા પુરવાર કરવા શું કરે ?

દ્વાર ને હોવું મળે સાંકળ વગર.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ઘર અંગે વધુ હવે પછીના આગળના કેટલાક હપતામાં જોઈશું.

થ્રી ગુજ–રાઈટર્સ !

મને પ્રસાદી રુપે પ્રાપ્ત

મજાનાં પુસ્તકો અંગે

લખવાના કાર્યક્રમના ભાગ રુપે આજે

આ ત્રણને

એનાં મુખપૃષ્ઠો તથા સંક્ષીપ્ત માહીતી સહીત

અહીં પ્રદર્શીત કરી રહ્યો છું.


મારા હિસ્સાનો સૂરજ

ગઝલ સંગ્રહ

શ્રી ગૌરાંગ ઠાકર

મુલ્ય રુ. ૫૦/–

***

નવેસર

ગઝલ સંગ્રહ

ડૉ. મહેશ રાવલ

મુલ્ય રુ. ૧૦૦/–

***

સુશીલા

હાસ્ય રચનાઓ

શ્રી હરનીશ જાની

મુલ્ય રુ. ૧૦૦/–

***


વહેલી તકે આ અને હવે પછી આવનારાં પુસ્તકોને

એના ક્રમે જાણી માણી શકાશે.

એક પ્રયોગ રુપે

આ સચીત્ર ચીજ

જાણવા–માણવા ને નાણવા (માર્ગદર્શન)માટે

સૌને

ભાવપુર્ણ નીમંત્રણ છે.

– જુગલકીશોર

“સદ્ ભાવના સાધના”નો તાજો અંક વાંચો

સહયોગીઓ,

આજે એક નવા જ સામયીકનો પરીચય આપવા માગું છું. ‘સમાજમાં સુરુચી અને શાંતી વધારવા નીર્ભય, નીષ્પક્ષ, નીર્વેર દૃષ્ટીના હીતચીંતકોના સંગઠન “સદ્ ભાવના સંઘ’નું મુખપત્ર એવું મુંબઈથી પ્રકાશીત થતું ગુજરાતી માસીક “સદ્ ભાવના સાધના” અંગે થોડું જાણીશું.

આ સાથે નીચે નવા વરસના પ્રથમ અંકની અનુક્રમણીકા આપી છે જે સામયીકનો કંઈક ખ્યાલ આપશે. ઉપરાંત સાથે આપેલી લીંક પરથી સામયીક આખું વાંચી પણ શકાશે. જે સંસ્થા આ બધી પ્રવૃત્તી કરે છે તે તથા તેના આદ્યસ્થાપકશ્રીનો પરીચય પણ સાથે મુકેલી લીંક પરથી મળી શકશે.

કપરા સમયમાં આજે જ્યારે મુલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે આવાં સામયીકો સારું વાચન પુરું પાડવા ઉપરાંત નૈતીકતાને અને સ્વસ્થ સમાજરચનાને પોષક બની રહ્યાનો આનંદ–સંતોષ મળી રહે છે.

આશા રાખીએ કે આવાં સામયીકો વધુ ને વધુ વંચાય ને પ્રસારાય.

––––––––––––––––––––––––––––––––––––––––

સદ્ ભાવના સાધના       જાન્યુઆરી  ૨૦૧૦

(છેલ્લા અંક માટે જુઓ અહીં –

http://sites.google.com/site/vachanyatra/home/-sadbhavna-sadhna

તથા સંસ્થા પરીચય માટે વાંચો હોમ પેજ પરનો અગ્રલેખ)

અનુક્રમ

ક્રમ    લેખ                                   લેખક

૧       ગાંધીજીની ઝુંપડી                 ઈવાન ઈલીચ

૨       રાજ્યોનાં વીભાજન               સંપાદકીય

૩       મીઠાનો કાળઈ કાયદો           સુપાર્શ્વ મહેતા

૪      ગાંધીના ગયા બાદ               સુદર્શન આયંગાર

૫      સ્વતંત્રતાસેનાની મહીલા     હીરાબહેન શેઠ

૬       સર્વોદયમાં મુંબઈવાસીઓ   વર્ષા વીદ્યાવીલાસ

૭      ઉડીસામાં હરીજન પદયાત્રા  રાષ્ટ્રીય યુવા સંગઠન

૮       અન્નમાંથી દારુ ન ખપે           ઠાકુરદાસ બંગ

૯       બાબરીકાંડ અને લીબ્રહાન     ડૉ. એન્જીનીઅર

૧૦     યુવા સાયકલ યાત્રા              ડૉ. સુગન બરંઠ

૧૧      આ મહીનાનો સવાલ                    –

૧૨      વાચકોના પ્રતીભાવ                     –

**********

સંપાદકઃ શ્રી કીશન ગોરડીયા / કાર્યકારી સંપાદકઃ સ્મીતા શાહ /(ફોન – ૯૯૨૦૩ ૪૯૧૭૭)

સરનામું – દોસ્તી ટ્રસ્ટ, આર્ય સોપ પ્રીમાઈસીસ, ૧૬ હંસરાજ લેન, ભાયખલા બ્રીજ (પુર્વ) મુંબઈ–૪૦૦૦૦૭ /ફોનઃ ૨૩૭૨૫૫૫૬/૬૫૭૨૩૭૪૩ /(યોગદાનઃ રુ. ૧૦/–)

ઈ–મેઈલઃ dostitrust@yahoo.co.in / sadbhavana_sangh@yahoo.com /smita_rys@hotmail.com

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––