Posted on Thursday, November 19, 2009 by jjkishor
ચોથું ચરણ…
(કેટલુંક અંગત, કેટલુંક સહીયારું.) – જુગલકીશોર.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
તા. ૧૪મી નવેમ્બરના રોજ સૌ પ્રથમ પોસ્ટ મુકી હતી બ્લોગ પર, આજથી ત્રણ વર્ષ પહેલાં. પછી તો શીખવામાં પાછું ફરીને (નીરાશ થઈને) જોયું નથી. જ્યાંથી જે મળ્યું તે ગાંઠે બાંધતાં બાંધતાં ઘણું ઘણું ભેગું કરી શકાયું.
પાછલાં વરસો પર નજર કરું છું તો એક સામટા અનેક વીષયો પર કામ થયાનો સંતોષ લઈ શકાય તેવું જોવા મળે છે. એની વીગતમાં ઉતરવાનો અર્થ નથી; એ તો મારા બ્લોગ પરની કેટેગરી પર ચીતરાયેલું જ છે.
પણ આ દીવસો, માસો, વરસોમાં જે સંબંધો ઉભા થયા એણે મને ભારજલો કરી દીધો. મારા બ્લોગના તાંતણે તાંતણે કંઈ કેટલાંય સ્મરણો ગુંથાયાં. બ્લોગજગતને મેળે કંઈ કેટલોય મનેખ–મેળ ઉભો થયો. કેટકેટલા સંવાદો–વીવાદો–ભાવો–પ્રતીભાવોનું આદાન પ્રદાન થયું ! નેટ–વ્યવસ્થા ન હોત કે એને આંગણે આવવા–ઉભવાનું ન બન્યું હોત તો ?? આમાંનું કશું જ શાનું હોત ?!
નીવૃત્તી ૨૦૦૨માં આવી ત્યારે કલ્પનાયે નહોતી કે આ બ્લોગચોકમાં હું મારો સમય આટલા આનંદસંતોષ સાથે વીતાવી શકીશ. વીજ્ઞાને આપેલી આ અનુપમ ભેટનો મન ભરીને મજો માણવો શરુ કર્યો તેનેય વાણાં વાઈ ગયાં તણ તણ વરસનાં !! ને આજે આમ સાવ સહજતાથી, સરળતાથી ને એક અજબના આત્મવીશ્વાસ સાથે આ ટાઈપ કરતાં કરતાં સૌને યાદ કરવાનો લહાવો લેતો લેતો લખી રહ્યો છું ત્યારે વીજ્ઞાન અને ગુજરાતીભાષા–ભાષીઓ સૌનું ૠણ આંખે બાજેલી ઝાંયની આરપાર અનુભવી રહ્યો છું.
આ દરમીયાન ક્યારેક ક્યારેક થોડા સમય માટે કમ્પ્યુટર કે બ્લોગજગતથી આઘા રહેવાનું થયું ત્યારે એક અજંપોય અનુભવ્યો હતો. આ કોઈ વળગી ગયેલા વ્યસનની વાત નથી. આ દીવસોમાં એવું લાગતું, જાણે કશીક શ્વાસરુંધામણ !! અને પછી પાછા જ્યારે નેટતાંતણો જોડાઈ જતો કે તરત જ ધસારાબંધ સૌના સંદેશાઓને વાંચવા–જવાબવાનો ઉપક્રમ ચાલુ થતો. જાણે તરસ્યા ગળાને માંડ કોઈ પરબ મળી હોય !
પણ ગયા અઠવાડીયાનું મોટા પુત્રને ઘેર રહેવા જવાનું થયું છે, ને ત્યાં તાજાં જ હાથવગાં થયેલાં પુસ્તકોને પાને નજર માંડવાનું થયું ત્યારે એક અલૌકીક અનુભવ થયો. આ પુસ્તકો તો મારાં જાણીતાં, માનીતાં ને માર્ગદર્શક રહ્યાં હોઈ નવાઈનાં નથી. ને છતાં એણે આ ફેરે જે આકંઠ અનુભવ કરાવ્યો તેની વાત માંડી પોસાય નહીં એટલી લાંબી ને છતાં કીધા વન્યા રે’વાય નહીં એટલી મીઠડી, એટલી પોરસીલી ને એટલી પૌષ્ટીક છે કે ઉલ્લેખ ટાળ્યો ટળાય તેમ નથી.
આ પુસ્તકો એટલે મારા ગુરુવર્ય મનુભાઈ (દર્શક)નું સદભીઃ સંગઃ; મારી વાચનયાત્રા તથા વાગીશ્વરીનાં કર્ણફૂલો.
સદભી…વાંચતાં વાંચતાં શીક્ષણજગતના એક સુવર્ણયુગનું આચમન કર્યું. જે કોઈનેય, શીક્ષણમાં લગરીકેય જીવંત રસ હોય તેમને માટે આ પુસ્તક અવર્ણનીય છે. પ્રકાશનની અક્ષમ્ય ભુલોથી ભરેલું આ પુસ્તક મારા જેવા શીક્ષણના જીવ માટે તો પારસમણી જેવું કહું તો કોઈને અતીશયોક્તી લાગે, પણ એમાં ભલભલાને બદલી નાંખે એવી વાતો છે. કહું કે નઈતાલીમનો નાનાભાઈએ ભાવનગરમાં કરેલો પ્રયોગ ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા થઈને લોકભારતી સુધી જે વીસ્તર્યો અને સ્વરાજ બાદ દેશભરમાં નઈતાલીમને ખેંચી ગયો તેનો આલેખ દર્શકની ભવ્યાતીભવ્ય ને સુક્ષ્માતી સુક્ષ્મ શબ્દલીલામાં વહ્યો છે. સમાજકારણ અને રાજકારણને નાનાભાઈ અને તેમના સાથીઓએ જે ચીવટથી, જે નીતીથી ને જે સુક્ષ્મતાથી સ્પર્શ્યું હતું તેને જાણતાં મસ્તક નમી જાય છે. નાનાભાઈ આ યુગના ૠષીકેળવણીકાર હતા તે પાને પાને અનુભવાય છે.
બીજું પુસ્તક ગુજ.સાહીત્ય અકાદમીએ બહાર પાડ્યું છે ને એમાં દર્શકની વાચનયાત્રા અને એમનાં વીવેચનોને એક સાથે પ્રગટ કર્યાં છે. દર્શકનું વાચન કેટલું હોઈ શકે તે તો છેલ્લે આપેલી શબ્દસુચી જ કહી દે છે. પુરું હાઈસ્કુલ સુધીય ન ભણેલા મનુભાઈને વાચને ક્યાં સુધી પહોંચાડી દીધા !! નાનાભાઈ અને એ બધાં પુસ્તકો મળીને ગુજરાતને એક મહા વીચક્ષણ પુરુષ મેળવી આપે છે. મનુભાઈ સાહીત્યના ? સર્વોદયના ? રાજકારણના ? ઈતીહાસના ? એવો સવાલ સામે આવે તો જવાબ ન સુઝે. પણ મારા જેવાને તો મનુભાઈ એટલે અમારા ગૃહપતી એટલો જ જવાબેય પુરતો ને પોરસાવતો કરી મુકે.
આજે એક અઠવાડીયાથી એમની શબ્દલીલામાં રમમાણ છું, ત્યારે મારા સૌ સહપાઠીઓને એમના અંગેની વાત કરીને લલચાવવા માંગું છું, રખે ને કોઈ આ પુસ્તકો વસાવીને વાચન–સપ્તાહ ઉજવે !!
સહયોગીઓ !
આજકાલ કંઈક અંશે કમ્પ્યુટરથી આઘો ને છતાંય આપ સૌની સાવ સાથે રહ્યો રહ્યો આ વાચને વળગ્યો છું ત્યારે આટલી નોંધ પણ ન મુકું તો નગુણો ગણાઉં.
ને એટલે જ, બ્લોગજગતમાંના આ ચતુષ્પદે, ચોથા ચરણે પગ માંડતાં આપ સૌને યાદ કરીને આ એક અહેવાલ પણ મુકી રહ્યો છું. સૌને ભાવભરી યાદો સાથે,
– જુગલકીશોર.
Filed under: સમાચારો | 7 Comments »
Posted on Saturday, November 14, 2009 by jjkishor
સહયોગીઓ !
આજે એક સાવ અંગત એવી વાત મુકવી છે. લખનારા વીશે ને એમનાં લખ્યા વીશે લખવું એ કાંઈ અંગત વાત ન કહેવાય. પણ તોય આ વાતે મને એવું વીધાન કરવા પ્રેર્યો તેનું કારણ લખનાર ને એમના લખાયાં ને લખાતાં વીશે હું ભાવુક રહ્યો છું તે છે.
હા, તો આ વાત તે હું જેમના લખાણોનો ફેન છું ને જેઓ આપણા બહુમુખી પ્રતીભાધર પત્રકાર–સાહીત્યકાર–સર્વોદયી ગાંધીપથી છે એવા પ્રકાશભાઈ શાહના એક તાજા લેખ અંગેની વાત.
(આ પહેલાં આવી જ રીતે એમના ત્રણેક લેખો મેં મારા વાચકોને – મારી સાથે ભાષા–ભાષાની રચનાત્મક રમત રમતાં ભાષાપ્રેમીઓને – નમુનારુપ લખાણ બતાવવાના મોહથી સંઘરી રાખ્યા હતા. પણ આજન્મ આળસુ એવા મારાથી એ કામ ન જ થઈ શકેલું. લંડનથી પ્રકાશીત ‘ઓપિનિયન’ને દસ વર્ષ થયાં નીમીત્તે જે સમારંભ થયો તેના પ્રમુખીય ભાષણને હું કેટલાક યાદગાર લખાણોમાં મુકું. એ લેખમાં એમણે જે સંદર્ભો વણ્યા –ટાંક્યા છે તેની યાદી કરવા બેઠેલો, પણ છેવટે થાકીને એને પડતું મુકી દીધેલુ !!
આજે દેશના પ્રખર પત્રકાર પ્રભાષજી પરના એમના સંભારણાથી અભરે ભર્યો લેખ વાંચીને ન રહી શકાયું. (પ્રકાશભાઈ આ લેખમાં વચ્ચે ભાવથી છલકાયા છે એ જાણીને તો આ લેખ પસંદ કરવાનું સહેતુક જ બની રહ્યું ! વાંચો – “આ હિંદુ અંતરને રાતવરત રડાવ્યાનું જાણું છું ત્યારે આ શૂરા એટલા જ સહૃદય મિત્ર માટે શું અનુભવું છું, એ કેવળ અને કેવળ અનિર્વચનીય છે.”)
આ લેખમાં ત્રણેક બાબતે ધ્યાન ખેંચે છે જે આપણી ભાષા–ભાષા રમત ને માટે ઉપયોગી બનશે.
૧) પ્રકાશભાઈની ભાષાસમૃદ્ધી. એમના નવા નવા શબ્દો તથા વાક્યરચના.
૨) એમના લેખોમાં મળતા પારાવાર સંદર્ભો. આ સંદર્ભો જોવા માટે દરેક સંદર્ભે મેં અંડર લાઈન કરેલી છે. ક્યાંક એક જ અંડરલીટી નીચે એકથી વધુ સંદર્ભોય જોવા મળશે. (મને આ નાનકડા લેખમાંથી પાંત્રીસેક સંદર્ભો જડ્યા છે !!)
૩) એમની વીશીષ્ટ – બહુ વાર વગોવાયેલી, ને છતાંય મને ગમતી રહેલી – શૈલી ! જનસત્તાએ એના વાચકોને સુરેશ જોશીની કલમનો વૈભવ વરસો સુધી પીરસ્યો છે. એમ જ, એ દૈનીકે એના તંત્રીલેખો દ્વારા પ્રકાશભાઈની સંદર્ભોથી છલકતી, ભાષાસૌંદર્યે મલકતી ને મલપતી તથા પ્રખર પત્રકારીત્વથી શોભતી શ્રેણી આપી છે.
સૌ વાચકોને નીચેના લેખમાં બોલ્ડ કરેલા શબ્દોમાં એમની શબ્દસર્જકતા અને અંડરલાઈનમાં સંદર્ભોનો ખજાનો જોવા મળશે.
–––––––––––––––––––––––––––––––––––––––
હજુ ગુરુવારે સવારે તો ફોન પર વાત થઈ હતી કે ‘હિંદ સ્વરાજ’ પર લખવાનું એમણે હાથમાં લીધું છે, અને જાન્યુઆરી-૨૦૧૦માં (મૂળ પુસ્તક બહાર પડયાના સોમા વરસે) દિલ્હીમાં સૌ મિત્રોએ એના પ્રકાશન નિમિત્તે ભેળા મળવાનું છે. ત્યાં તો એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઈ. શુક્રવારે મોડે સુધી મેચ જોતા બેઠા હતા અને એ રીતે સચિન તેંડુલકર સત્તર હજારી બન્યા એના સાક્ષી પણ હતા.
બને કે શનિવારે આપણી વચ્ચે પ્રભાષ હોત તો રવિવારી ‘જનસત્તા’માં એમની અનૂઠી કોલમ (નિજી સંસ્પર્શવાળી બિનચૂક, પણ પ્રાઇવેટ મુદ્દલ નહીં) ‘કાગદ કારે’માં આપણે સચિનની ફટાફટ સત્તરહજારી વિશેની હૃધ ટિપ્પણી વાંચવા પામ્યા હોત. આ ફટાફટ એ બાંધી ઓવરોની- અત્યારે નહીં તો કયારેય નહીં- એવી ‘વન ડે’ માટેનો પ્રભાષીય પ્રયોગ હતો. પાંચ દિવસની ક્લાસિકલ ટેસ્ટ અને આ કિવકી શી વન ડે સંક્રાંતિ. પ્રભાષે કહ્યું કે ફટાફટ. આખરે સી.કે. નાયડુના ગામ (ઇન્દોર)નો જણ હતો ને.
૧૯૮૩માં હિંદી ‘જનસત્તા’ નીકળ્યું અને હિંદી (બલકે ભારતીય) પત્રકારિતાની જાણે કે વ્યાખ્યા અને પ્રતિમાન જ બદલાઈ ગયાં. હમણાં નોંઘ્યો તે ફટાફટ જેવા ઠેઠ પ્રોલિતારિયન પ્રયોગો એની ભાષાનો વિશેષ હતા. જે વિશાળ હિંદી ક્ષેત્ર છે એની તરેહવાર બોલીઓ અને ભાષાઓની-સુબહે બનારસ, શામે અવધ અને શબે માલવાની, ધરતી ધરતીની-સુગંધ સાથે એક સર્વજન હિંદી એમાં પ્રયોજાવા લાગી. આવી સમાચાર અને વિષય માવજત હિંદી પત્રકારિતાએ આ પૂર્વે લાંબા સમયથી જોઈ નહોતી.
‘સબ કી ખબર લે, સબ કો ખબર દે’વાળું ‘જનસત્તા’નું સૂત્ર તેમના વ્યક્તિત્વ અને પત્રકારત્વને પ્રતિબિંબિત કરતું હતું. હિંદી ‘જનસત્તા’નો પ્રારંભ કરવા અગાઉ ઠીક ઠીક મહિના એ અમદાવાદમાં એક્સપ્રેસ પત્રોના નવજીવન સારુ મથ્યા હતા અને એ ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગર પંથકના (ખરું જોતાં કચ્છના નાના રણના) ઘુડખર તે અરસામાં કદાચ પહેલી જ વાર કોઈ રાષ્ટ્રીય અખબારની પહેલા પાનાની સ્ટોરી બન્યા હતા અને પ્રિયકાન્ત મણિયારને અકાદમી એવોર્ડ મળ્યાના સમાચાર જયન્તિ દલાલનું ‘નવગુજરાત’ હોય અને છાપે, એટલા ઉમળકા ને અગ્રતાથી પ્રગટ થયા હતા- અને રવિશંકર મહારાજના સોમા વર્ષમાં પ્રવેશ સંદર્ભે એક્સપ્રેસની વિશેષ પૂર્તિ પણ (બન્યા હતા).
નાનાવિધ રસે સમૃધ્ધ લેખક અને પત્રકાર તરીકે એમને સંભારીને શરૂઆત કરી, પણ ‘હિંદ સ્વરાજ’ અને મહારાજના વિશેષોલ્લેખથી સમજાય છે તેમ એ એક સર્વોદયી વલણોવાળો રસકિ તાપસનો જીવ હતો. આ ‘રસકિ તાપસ’ એ પ્રયોગ મેં પુ.લ. કનેથી લીધો છે. પુ.લ. દેશપાંડે લોહિયાને રસકિ તાપસ કહેતા.
ફક્કડ, સર્વજનવિહારી, વિધાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. ભૂદાન આંદોલનની આબોહવામાં કોલેજનું ભણતર અધવચ છોડી ટી.એસ. એલિયટના આ ચાહક, નર્મદા અને ક્ષિપ્રા વચ્ચે ક્યાંક સુનવાની મહાકાલના ગ્રામીણ ઇલાકામાં થોડાં વર્ષ બિલકુલ દટાઈ ગયા હતા. પછી, ૧૯૬૯માં, બત્રીસેક વર્ષની વયે ગાંધી શતાબ્દીનાં પ્રકાશનોમાં ઉપયોગી થવા એ નવી દિલ્હીના શાંતિ પ્રતિષ્ઠાનમાં આવ્યા અને જયપ્રકાશજીનો પરિચય એમને (પોતાની શરતે) ગોયન્કા ને એક્સપ્રેસ પત્રો લગી લઈ ગયો. આંદોલન ઊપડયું ત્યારે ‘એવ્રીમેન્સ’ અને ‘પ્રજાનીતિ’માં એમણે હાથ બટાવ્યો, કટોકટી જાહેર થઈ ત્યારે એ પત્રો તો બંધ થયાં પણ ‘આસપાસ’ જેવી એક સિનેમા શાઈ પત્રિકાના આ સંપાદક ભૂગર્ભ સંપર્કોઅને સંકલના માટે એક અરછો ગુમનામ ચહેરો બની રહ્યા.
જયપ્રકાશજી સાથે એમ તો ચંબલના બાગીઓના આત્મસમર્પણના દોરમાંયે કામ કરેલું (રવિશંકર મહારાજ રસ પડવાનું એક કારણ એય હશે) પણ ભોમભીતર શીર્ષ સંપર્કો સાથે પ્રભાષ જોશીનું પરિચય-અને-કાર્ય-ક્ષેત્ર ખાસું વિસ્તર્યું. જો કે દેશે એમને જાણ્યા અને ઓળખ્યા તે ‘જનસત્તા’ના સ્થાપક તંત્રી તરીકે .નવમા દાયકામાં મુદ્રિત પત્રકારિતાને પ્રભાષ જોશી મળ્યા, દસમો દાયકો બેસતે ઇલેકટ્રોનિક મીડિયાને ‘આજતક’ વાળા સુરેન્દ્રપ્રતાપસિંહ મળ્યા: આ બે વગર આપણે મીડિયાના નવા આયામો અને સંભાવનાઓથી કેટલા વંચિત રહ્યા હોત, ન જાણે.
હમણાં શીર્ષ સંપર્કોનો ઉલ્લેખ કર્યો, કયારેક જેપીના સહયોગી હોવું અને પછી માતબર અખબારી સમૂહમાં તંત્રી હોવું- સંબંધો શોધતા આવે. વગવસીલો અને વર્ચસ પણ. વિશ્વનાથ પ્રતાપસિંહે એક નવી હવા જગવી અને એ વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ત્રણ વ્યૂહકારોને તહેદિલથી સંભાર્યા હતા- ગુરુમૂર્તિ, ગોવિંદાચાર્ય અને પ્રભાષ જોશી. ૧૯૭૭માં જેમ શાંતિ પ્રતિષ્ઠાનના રાધાકષ્ણ તેમ ૧૯૮૯માં ‘જનસત્તા’ના પ્રભાષ જોશી કેન્દ્રીય મંત્રીમંડળમાં (કૈં નહીં તો છેવટે રાજ્યસભાની કુશાંદે બેઠકમાં) હોઈ શકતા હતા.
એમની ભલામણથી કોઈક ત્યાં પહોચ્યું હશે, પણ આ બન્નેએ ‘સ્વધર્મે નિધન’માં શ્રેય જોયું. પ્રભાષ જોશીના પત્રકારજીવનમાં પોતાના હેવાલ સામે રાજકીય કે આર્થિક દબાણને વશ નહીં થવાના પ્રસંગો, સરસાઈને ધોરણે સામાન્ય સંવાદદાતા સાથે ઊભા રહેવાના પ્રસંગો, વખતોવખત આવ્યા હશે. પણ દેશના જાહેરજીવનમાં બે મોટા પડકારો એવા આવ્યા જયારે એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં: ૧૯૮૪નાં શીખવિરોધ રમખાણો (એનું ‘પ્રોગ્રોમ’ સ્વરૂપ) અને ૧૯૯૨ના બાબરીઘ્વંસ સાથેનો ઘટનાક્રમ.
સાંસ્કતિક રાષ્ટ્રવાદના હિંસ્ર રાજકારણ સાથે તો એ લોકો સંકળાયેલા હતા જે કટોકટી સામેના સંઘર્ષસાથીઓ હતા.(યાદ આવશે અહીં લોહીયાજી – જુ)પ્રભાષે કહેવામાં અને વૃત્તાંતનિવેદનમાં કોઈ કસર ન છોડી તે ન જ છોડી. અડવાણીનું રાજકારણ હિંદુ ધર્મને સામી (સેમિટિક) બનાવી એક અહિંદુ સ્વરૂપ આપી રહ્યું છે એવી એમની પ્રતીતિ હતી. ૨૦૦૨ના ઘટનાક્રમે આ હિંદુ અંતરને, કેમ કે કયારેક ગુજરાતમાં રહેવાનુંયે બન્યું હતું, રાતવરત રડાવ્યાનું જાણું છું ત્યારે આ શૂરા એટલા જ સહૃદય મિત્ર માટે શું અનુભવું છું, એ કેવળ અને કેવળ અનિર્વચનીય છે.
છેલ્લા દિવસોમાં આ ચૂંટણીઓમાં છાપાંઓને જે રીતે ખરીદી લેવાયેલાં (સમાચારના રૂપમાં જાહેરખબર વાટે અને અન્યથા) તે વિશે કુલદીપ અને પ્રભાષ જેવા જૂજ અવાજો જ સાંભળવા મળ્યા હતા. આ નરવો અવાજ-અને કેવો અવાજ-નામવરસિંહ કહેતા કે પ્રભાષની ક્રિકેટચર્ચાની ધાટીએ કોઈ વિવેચક સાહિત્યકૃતિનો પરિચય તો આપી બતાવે- હવે ક્યાં. આજે શનિવારે નર્મદા ઘાટે એ પંચમહાભૂતમાં વિલીન થતા હશે ત્યારે એમના સ્વજનશા કુમાર ગંધર્વના પુણ્ય સ્વરોમાં આપણેય એ કબીરવાણીમાં ભળી જઈશું કે ‘બિના ખૂંટી ને બિના ડોર કે / તંબુ તો દિયા રે આસમાન.’ (દિવ્યભાસ્કરમાં પ્રકાશીત લેખ)
Filed under: પરીચય | 1 Comment »
Posted on Sunday, November 8, 2009 by jjkishor
સહયોગીઓ !
તા. ૭મીના છાપાની રાજકોટપુર્તીમાંના સમાચાર અક્ષરશઃ નીચે આપ્યા છે. છ છ જણાના કુટુંબનો વડો જુવાનીયો સમગ્ર કુટુંની ભુખ સહી ન શક્યો ને વેદનાનો ને શરમનો માર્યો લટકી ગયો !!
સ્વતંત્ર દેશનો એક કુટુંબ વત્સલ જવાન આવી રીતે મોતને વહાલું કરે ત્યારે શું કહીશું સ્વાતંત્ર્યને, લોકશાહીને, અબજોના અબજોમાં આળોટતા ને સંપત્તીનો રાતદી’ દેખાડો કરી કરીને ગરીબોની આંતરડી કકળાવતા રહેતા નટનટીઓ–રમતવીરો–નેતાઓને –
ને છાપું વાંચીને પસ્તી માટે એ સમાચારોને સાચવીને મુકી દેનારા મારા જેવાઓને….
ને
એકનો એક મોભી ગુમાવીને પછાડીયું ખાતાં પાછળ ટટળતાં રહી ગયેલાં ગામડાના એ કુટુંબના સૌ સભ્યો !!!
આ સમાચારની વેદના કરતાંય મોટી વેદના તો એ છે કે આઝાદ દેશની આ દશાનો કોઈ ઉપાય પણ નથી ! શરમના માર્યા મોં સંતાડીને ડુસકું ભરી લેવા સીવાય કે આને બ્લોગ પર મુકીને બેસી રહેવા સીવાય મને કાંઈ સુઝતું નથી.
ભગવાન ભુખ્યાં જગાડે છે પણ કોઈને ભુંખ્યાં ઉઠાડતો નથી એ વાત કેવી મશ્કરી છે, ગરીબોની ને આવાં વાક્યોથી સંતોષ માનીને હાથ ખંખેરી નાખનારાં શ્રધ્ધાખોરોની ?!
––––––––––––––––––––––––––––––––––––––––––––
વાંચો –
અશક્ત માતા-પિતા અને ત્રણ નાના ભાંડેરાઓને ભૂખ્યા જોઇ નહીં શકતા યુવાને પગલું ભર્યું
ગુજરાતમાં કરોડો રૂપિયાના એમઓયુ અને ઉધોગ ધંધાની વાત માત્ર ચોપડા પર જ છે. વાસ્તવિકતા કંઇક જુદી છે. સામાન્ય માનવીને રોજે રોજનું કમાઇને ખાવામાં પણ તકલીફ છે. આવા જ એક કિસ્સામાં રાજકોટના ઘંટેશ્વરમાં બબ્બે દિવસથી ઘરમાં અનાજનો દાણો નહોઇ ભૂખે ટળવળતા નાના ભાંડેરાઓ અને માતા-પિતાની હાલતથી દ્રવી ઉઠેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ઘંટેશ્વર ૨૫ વારિયા કવાર્ટસમાં રહેતા દેવીપૂજક સુરેશ રામજીભાઇ દસાડિયા (ઉ.વ.૨૪)એ પોતાના ઘરે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ફોજદાર જી.જે. ઝાલા અને રાઇટર તસ્લીમ રીઝવી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર ભાઇ એક બહેનમાં બીજા નંબરનો સુરેશ છૂટક મજૂરી કરતો હતો એક વર્ષ પૂર્વે મોટા ભાઇનું બીમારીથી મૃત્યુ થતાં પરિવારની જવાબદારી સુરેશના ખભ્ભે આવી હતી. મજૂરી કરી દેવીપૂજક યુવાન ૧૦,૧૨ અને ૧૪ વર્ષની વયના ત્રણ ભાઇ, એક બહેન અને બીમાર માતા-પિતા સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
છેલ્લા પાંચેક દિવસથી સુરેશને કોઇ કામ ધંધો મળ્યો નહતો. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે ત્યારે રોજેરોજનું કમાઇને ખાતો સુરેશના ઘરમાં બે દિવસથી અનાજનો દાણો પણ નહતો. નાના ભાઇ બહેન અને બીમાર માતા-પિતાની ભૂખ જોઇ દ્રવી ઉઠેલા સુરેશે જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો. અને રાત્રે ઘરના બધા સભ્યો સૂઈ ગયા ત્યારે યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો.
ઘરના આધારસ્તંભસમા યુવાનના પુત્રના આપઘાતથી શોકના દરિયામાં ડૂબી ગયેલા પિતા રામજીભાઇ અને માતા રાધાબેને કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.
અંતિમવિધિ માટે ફોજદારે આર્થિક સહાય કરી
મૃતકના પરિવાર પાસે તો ફૂટી કોડી પણ ન હતી. એ સંજોગોમાં દયાળુ ફોજદાર જી.જે. ઝાલા અને રાઇટર તસ્લીમ રીઝવીની આંખો પરિવારની ગરીબી જોઇ ભીંજાઇ ગઇ હતી અને બન્નેએ અંતિમવિધિ માટે આર્થિક સહાય કરી હતી.
Filed under: સમાચારો | 5 Comments »
Posted on Friday, November 6, 2009 by jjkishor
દલીત–જનવાદી રચનાઓની પ્રસાદી
(નયામાર્ગ તા. ૧, ૧૧, ૦૯ના અંકમાંથી સાભાર)
*************************************************
આધાર હોય છે
તેના રચેલ શબ્દને આકાર હોય છે
આ વેદના ભલેને નીરાકાર હોય છે.
તેને નકારનાર નકારે ઉજાસને
સમતા સમાનતા વીના અંધાર હોય છે.
મુક્કી નથી ઉગામતા તો માર હોય છે
સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે
હારી નથી જવાના ચરણ થાકવા છતાં
પ્રત્યેક શ્વાસમાં નવો રણકાર હોય છે
ને એટલે તો કોઈ નીરાધારમાં નથી
સૌને ક્ષીતીજ પારનો આધાર હોય છે
– એ.કે.ડોડીયા.
*****
તાળું
ન સાંકળ ચડાવી અને માર્યું તાળું,
ક્ષીતીજથી ક્ષીતીજ એમ વીસ્તાર્યું તાળું !
અવીશ્વાસ પરણ્યો નરી લાલસાને,
પુરા દીવસે એક અવતાર્યું તાળું !
વગર આંકડાની રકમ એક ધારો !
તમે એમ બોલ્યા ને મેં ધાર્યું તાળું !
ઝરુખેથી બોલ્યા – પધારો, પધારો !
હતું બારણે કીંતુ અણધાર્યું તાળું !
મને મેં જ ચહેરાનો પર્યાય પુછ્યો !
વીચારોને અંતે મેં ઉચ્ચાર્યું – તાળું !
તમે જોડણીદોષને ‘ખ્વાબ’, જીવ્યા !
તમે તો ઉધાર્યું, ન ઉધ્ધાર્યું તાળું !
– મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
*****
हमारा
गला हमारा, गाना उनका
पेट हमारा, खाना उनका
सडक हमारी, कारें उनकी
संसद में सरकारें उनकी
अक्षय जैन
****************************
ચાલો અંધકાર મીટાવી દઈએ આપણે
ખરી દીવાળી મનાવીએ આપણે !
***
ઈસુને ખીલા જડેલા છે,
છતાં લોકોને મળેલા છે.
અરે ! ખીલા તો શું આ લોકો
દુનીયા આખીને નડેલા છે !
***
આજ નહીં તો કાલ એકતાના તારે બંધાવું પડશે,
સંગઠીત થઈ અતુટ સાંકળે ગુંથાવું પડશે.
– માનસીંહ ચાવડા. (‘હવે તો જાગો !’માંથી)
Filed under: પસંદગીનું પદ્ય | 1 Comment »
Posted on Wednesday, November 4, 2009 by jjkishor
– જુગલકીશોર.
(જોડણીના નીયમોની ભાષા પણ અઘરી હોય ત્યારે તે બધા ઘણી વાર તો સમજાતા જ નથી હોતા ! દા.ત. જુઓ નીચેનો પહેલો જ શોર્ટકર્ટ. તે મુળ નીયમ આમ છેઃ “અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ કરવું.” અહીં અલ્પ અને મહાપ્રાણ બન્ને શબ્દો સમજવા જ પડે. દ્વીત્વ કરવું એને બદલે એ અક્ષર બેવડાવવો એમ ન લખી શકાય ?! પણ ના, વીદ્વાનો માટે જ કરવામાં આવેલા આ નીયમોની ભાષા પણ અઘરી બનાવીને આપણે ગુજરાતીનું ગૌરવ કરવામાં માનવાવાળા !)
૧) પાસે પાસેના બે અક્ષરોથી જોડાક્ષર બને ત્યારે પાછલો અક્ષર બેવડાવવો. દા.ત. ક અને ખ; દ અને ધ. (મારા એક લેખમાં મેં આ અલ્પ અને મહાપ્રાણને બહુ સહેલી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો હતો. અલ્પપ્રાણ એટલે જેને બોલતાં મોંમાંથી હવા ઓછી નીકળે અને મહાપ્રાણ એટલે જે અક્ષર બોલતાં હવા વધુ જોરથી ફેંકાય તે ! જેમ કે ક કરતાં ખમાં; ગ કરતાં ઘમાં; ચ કરતાં છમાં અને જ કરતાં ઝમાં હવા વધુ ફેંકાય છે. આ અંગેના મારા લેખનું શીર્ષક જ એવું હતું કે કોઈ ન જુએ એમ આ બધું શીખવાનું છે !! ક બોલતી વેળા જો તમે હવા વધુ જોરથી ફેંકશો તો તમે ક નહીં પણ ખ જ બોલી શકશો, ને ખ બોલતી વેળા હવા ફેંકવામાં કરકસર કરશો તો ખ ને બદલે ક જ ઉચ્ચારાશે !!) આ શોર્ટકટનાં ઉદાહરણો –
ચોક્ખું શબ્દમાં ક (અલ્પપ્રાણ) અને ખ (મહાપ્રાણ) બન્ને જોડાય ત્યારે ગુજરાતી શબ્દોમાં પાછલા અક્ષરને જ બેવડાવવો. ચોખ્ખું એમ જ લખાય. એવી જ રીતે પત્થર નહીં પણ પથ્થર જ લખવાનું; સુદ્ધાં નહીં પણ સુધ્ધાં. (તત્સમ શબ્દોમાં આ નીયમ લાગુ પડતો નથી)
મારાં કેટલાંક આ વીષય પરનાં લખાણો માટે આ લીંક્સ જુઓ –
http://jjkishor.wordpress.com/2007/12/18/vyakaran-2/
http://jjkishor.wordpress.com/2007/12/19/vyakaran/
http://jjkishor.wordpress.com/2008/01/05/vyakaran-6/
૨) કયા કયા શબ્દો છુટા કે ભેગા લખવા ?
* જ એક શબ્દ ગણીને તેને હંમેશાં જુદો જ લખાય. જેમ કે “તેને જ મોકલશો.”
* એવી જ રીતે કે ને જુદો લખવો. જેમ કે; કેમ કે; કારણ કે, જાણે કે વગેરે.
* તોપણ અને જોકે હંમેશાં સાથે જ લખાય છે.
* ય હંમેશાં ભેગો જ રાખવો. જેમ કે “હુંય સાથે રહીશ.” તોય તમે માનવાના નહીં”
* પ્રત્યયો હંમેશાં ભેગા જ લખવા. જેમ કે, ના, ની, નું, ને, નો, થી. “તેના, તેને, તેનો, મારાથી, વગેરે.
* ઉપર, પાસે, નજીક, થકી, વડે, કાજે, માટે વગેરેને શબ્દથી અલગ જ લખાય છે. જેમ કે છાપરા ઉપર; ઘર નજીક; હથોડી થકી.
* દ્વારા અલગ રાખવાનું હોય છે, પણ પુર્વકને ભેગું રખાય છે. જેમ કે, “તમારા દ્વારા.” પણ “સમજણપુર્વક”
* સમાસના બન્ને શબ્દો સાથે જોડાયેલા રહે છે. જેમ કે, ચારપાંચ, ઘરબાર, કમરબંધ વગેરે. છતાં બન્ને અક્ષરો મળીને ઘણી વાર શબ્દ લાંબો બને ત્યારે તેની વચ્ચે રેખા મુકાય છે. જેમ કે, ચડતી–પડતી.
Filed under: પ્રકીર્ણ | 2 Comments »
Posted on Wednesday, October 28, 2009 by jjkishor
– જુગલકીશોર.
નુસખો આઠમો
ચાર કે તેથી વધુ અક્ષરોના શબ્દોમાં પહેલો અક્ષર ઇ કે ઉ હ્રસ્વ હોય છે.
નિરધાર, હિલચાલ, વિખવાદ, ઉતરાણ, ઇમારત, મિલાવટ, શિખામણ, ચુકવણું,
રિસામણી, રિબામણી, સુકવણી, બિહામણું,
ઉતરડ, ઉધરસ, કુદરત, ઉતરામણ, ઉકળાટ, ઘુરકાટ, ઉકરડો, ઉજવણી, ઉગમણું, ફુલણિયું, હુલામણું, ઉપજાવી, સુધરાવી, ઠુકરાવી, ઉપકરણ, ઉજળિયાત, ઉદાહરણ વગેરે.
આ બધામાં પ્રથમ અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ જોવા મળે છે.
નુસખો નવમો
આગળ આપણે જોયું હતું કે ત્રણ અક્ષરના શબ્દોમા પ્રથમ અક્ષર જો હ્રસ્વ ઇ–ઉ હોય તો વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય છે ને પ્રથમ અક્ષર જો દીર્ઘ ઈ–ઊ હોય તો વચ્ચેનો અક્ષર હ્રસ્વ/લઘુ હોય છે.
એવી જ રીતે ત્રણ કે ચાર અક્ષરના શબ્દોમાં જો પ્રથમ અક્ષર ઈ કે ઉથી શરુ થતો ન હોય તો તેવા શબ્દોનો વચલો અક્ષર દીર્ઘ હોય છે. (ચાર અક્ષરોમાં બીજો અથવા ત્રીજો.)
વજીર, કથીર, ગંભીર, જાલીમ, જાગીર, સમીર, વકીલ, વડીલ, અનોખું, અદીઠું, પડીકું, તંતીલું, નજીવું, ઘાટીલું, ઝેરીલું, અધૂરું, નશીલું, બડૂકો, બડીકો, હઠીલો, ઢબૂડી, લબૂક, કેસૂડો, ખજૂરો;
વહીવટ, હકીકત, નસીયત, તકલીફ, કબૂતર, ટચૂકડું, ટબૂકલું, અવધૂત, તરબૂચ, મજબૂત વગેરે.
કેટલીક ખાસ પરીસ્થીતીઓ હોય છે જેમાં આપણે આગળ જોયા તેવા નીયમોમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે –
બે શબ્દો મળીને કોઈ શબ્દ બનતો હોય ત્યારે તેના મુળ શબ્દના અક્ષરોની સંખ્યા વધી જાય છે. તેથી બે કે ત્રણ અક્ષરના શબ્દોને લાગુ પડતા નીયમોમાં બદલાવ આવતો જોવા મળે છે. દા.ત.
૧) મુળ ક્રીયાપદને કે અન્ય કોઈ શબ્દની પાછળ પ્રત્યય લાગે ત્યારે પણ તે શબ્દના અક્ષરો મુળ શબ્દથી વધી જાય છે. જેમ કે, શીખવું પરથી શીખનાર કે શીખવનાર બનશે તથા મૂરખ પરથી મૂરખાઓ વગેરે. અહીં આગળ જોયેલો નીયમ “વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર લઘુ હોય છે” તે જળવાતો નથી.
૨) વીશેષણ પરથી નામ બને ત્યારે મૂળ જોડણી બદલતી નથી. જેમ કે, મીઠું પરથી મીઠાશ, શીતળ પરથી શીતળતા, દૂબળું પરથી દૂબળાપણું વગેરે.
૩) સમાસ બનતો હોય ત્યારે સમાસના શબ્દોથી બનેલા શબ્દના અક્ષરો વધે છે; આવે સમયે પણ મુળ નીયમ જળવાતો નથી. જેમ કે, ઊઠવું, બેસવું મળીને થતો શબ્દ ઊઠબેસ, ફૂલઝાડ, લીલીસૂકી વગેરે.
હવે છેલ્લે કેટલીક એવી પરીસ્થીતીઓ પણ જોઈએ જેમાં મુળ શબ્દની જોડણી બદલી જતી હોય.
૧) નામ ઉપરથી વીશેષણ બને ત્યારે મુળ જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,
ખૂણો પરથી ખુણીયાળું, દૂધ પરથી દુધાળું, મૂછ પરથી મુછાળું, સૂતર પરથી સુતરાઉ, ખીચડી પરથી ખિચડિયુ વગેરે.
૨) ક્રીયાપદ ઉપરથી નામ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,
ઊતરવું પરથી ઉતારો; ચીતરવું પરથી ચિતારો કે ચિતરામણ; ઊછળવું પરથી ઉછળાટ, શીખવું પરથી શિખામણ, શિખવણી.
૩) ક્રીયાપદ પરથી વીશેષણ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,
પીરસવું પરથી પિરસણિયો; ઊલળવું પરથી ઉલાળો કે ઉલાળ; ભૂલવું પરથી ભુલકણું.
૪) ક્રીયાપદનાં પ્રેરક કે કર્મણી રુપો બને ત્યારે જોડણી બદલે છે. જેમ કે,
મૂકવું પરથી મુકાવવું, મુકાવું; ઊઠવું પરથી ઉઠાડવું, ઉઠાવું; શીખ પરથી શિખવાડવું, શિખવવું. (શીખવું ક્રીયાપદ આજે આપણે લગભગ બધા જ અપવાદોમાં જોયું છે !! અને દરેક સ્થળે તે અલગ દેખાય છે.)
ઉપર જ આપણે જોયું કે કેટલીક પરીસ્થીતીઓમાં મુળ શબ્દની જોડણી બદલી જાય છે, પણ હવે એક મોટો તફાવત પણ અહીં જ જોઈ લેવો જરુરી છે.
“સાનુનાસીક સ્વરોવાળા શબ્દોમાં મુળ જોડણી જેમની તેમ જ રહે છે. દા.ત. ઊંઘ, ગૂંથ, ફૂંક, લૂંટ, ખૂંચ, ખૂંદ.
ઊંઘ પરથી ઊંઘાડવું, ઊંઘાવું, ઊંઘાળ, ઊંઘણશી.
લૂંટ પરથી લૂંટાવવું, લૂંટાવું, લૂંટાઉં વગેરે.
છેલ્લે, કેટલાક પુછાયેલા સવાલોના ખુલાસા રુપે એક વાતની સ્પષ્ટતા કરવાની કે,
આ બધા નીયમો મોટે ભાગે તદ્ ભવ શબ્દોને માટેના જ છે. તત્સમને આપણા ઘણા નીયમો લાગુ પડતા નથી કારણ કે જોડણીકોશનો પહેલો જ નીયમ તત્સમ શબ્દોને અલગ ગણીને તેને તે જ્યાંથી (જે ભાષામાંથી) ઉતરી આવ્યા હોય તે તે ભાષાના નીયમો જ લગાડવાનું કહે છે.
સહપાઠીઓ !
કેટલાક નુસખા આપણે સહેલી જોડણી કરવાના જોયા. આના જ ભાગ રુપે કેટલાક નીયમોને હજી પણ જોવા જેવા છે. આ નીયમો અંગે હું સતત અભ્યાસ કરીને શીખી/સમજી રહ્યો છું. થોડા સમય પછી એ નીયમોને પણ આપણે સ્પર્શ કરીશું.
પરંતુ આ નાનકડા પ્રયાસને અંતે રજા માગવા કરતાં મને તો એક વચન સૌ પાસેથી લેવાની પ્રબળ ઈચ્છા છે !! આજથી જ સૌ એક સંકલ્પ કરે કે અમે સૌ શુદ્ધ ગુજરાતી લખવાનો ભરસક પ્રયત્ન કરીશું અને,
ખાસ તો એક નાનો ખીસ્સાકોશ તો જરુર વસાવીને એનો સતત ઉપયોગ કરતાં રહીશું.
સૌને શુભેચ્છાઓ સાથે વંદના.
Filed under: જોડણી અંગે | 3 Comments »
Posted on Sunday, October 25, 2009 by jjkishor
‘નયા માર્ગ’ દર પખવાડીયે કાવ્યોમાં સાંપ્રત એવા શીર્ષકથી કાવ્યો પ્રગટ કરે છે. આ કાવ્યો નર્યા તણખા જ હોય છે. આજે કેટલાક તીખારા અહીં પ્રસ્તુત કરું છું. – જુ.
––––––––––––––––––––––––––––––––––—————————–
બે લઘુ કાવ્યો
૧)
દીવાનો પર્યાય બનવાની
મથામણ કરનારા લોકો
દીવાનો પર્યાય બને
તે પહેલાં દીવો
એમનો પર્યાય
બની જાય છે !
૨)
બધા અડકી શકે છે
પણ બધા
સ્પર્શી નથી શકતા;
બધા લોકો
બધા લોકોને
આકર્ષી નથી શકતા !
– મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
––––––––––
શ્લોકત્વ
પારધીના છુટેલા બાણથી
ખંડીત થયું ક્રૌંચ યુગલ
શોકમાંથી શ્લોકત્વ
અને પછી
રચાયું રામાયણ
આજે…
છુટતી ગોળીઓ અનેક
બોમ્બમારા પણ વારંવાર
એસીડ બલ્બ ફેંકવા ન કંઈ નવી વાત
અને
અચાનક થતા સ્ટેબીંગ
ખંડીત થતાં કંઈ કેટલાંય યુગલો
અને સમગ્ર પરીવારો પણ
પરંતુ
શોકમાંથી શ્લોકત્વ ક્યાં ?
અરે, શોક જ ક્યાં ?
અને હા,
છે વાલ્મીકીયે ક્યાં ?
– કાલીન્દી પરીખ
––––––––––––
શક્યતા
મૃદુ આંગળીઓને કાપી શકો છો
પછી રક્ત બાળીને તાપી શકો છો
હું મૃત છું કે જીવંત, સરખું છે બંને
ગમે તે ખબર મારી છાપી શકો છો
મુબારક તમોને અષાઢી સરોવર
મને માત્ર જળપ્યાલી આપી શકો છો
હવે બુતપરસ્તીની દરકાર શાની
સ્મરણમુર્તી મનમાંહે સ્થાપી શકો છો
ખખડધજ ને બીસ્માર ભીંતોની ઉપર
ગઝલ નામનાં છાણાં થાપી શકો છો
હવે ‘રાહી’ ખુદ માટે કરશે દુઆઓ
તમે ક્યાં કોઈ મંત્ર જાપી શકો છો
– એસ. એસ. રાહી
––––––––––––
સુરજમાં, જગ હવે !
પુર્વવત્ થૈ જાવ મારા પગ હવે
જોઈ જોઈ રાહ થાક્યા નગ હવે !
શબ્દ–સીડી–સર્પની… જુગટે ચડી
બહુ થયું, ઝાઝો ન ખુદને ઠગ હવે !
લે, થયો ઉભો પડી ચુક્યો પવન,
આભ પણ ખુલ્લું થયું છે, ચગ હવે !
ચૈત્યને સંચાર વહેતી થઈ ફરી;
અધવચે અટકી ગયેલી રગ હવે.
લે, સમેટી સર્વ ગ્લાની સોડથી;
જગ રહ્યું જાગી સુરજમાં, જગ હવે.
– કીસન સોસા.
––––––––––––––––
નવવર્ષકી મંગલ કામનાઓં કે સાથ
સુરજકી હડતાલ ઢીંઢોરા પીટવા દો
જુગનુ હુએ દલાલ ઢીંઢોરા પીટવા દો
ચઢ રહે ગાલ પે ગાલ ઢીંઢોરા પીટવા દો
જીન્ના સે પરવેજ તલક હુઈ ગુટુર ગુટુર
સુલઝે નહીં સવાલ ઢીંઢોરા પીટવા દો
સંસદ સે પંચાયત તક મંડુક મીલે
સબ નેતા ઘડીયાલ ઢીંઢોરા પીટવા દો
ભીખ માંગ સત્તા કી સીઢી ચડ કર કે
હો ગયે માલામાલ ઢીંઢોરા પીટવા દો
જન સેવા ઔર દેશ ભક્તી કરને વાલે
સબ કે સબ દગ્ગાલ ઢીંઢોરા પીટવા દો
યે કર દેંગે વો કર દેંગે કહને વાલી
મછલી ફંસ ગઈ જાલ ઢીંઢોરા પીટવા દો
– રમેશ હઠીલા
––––––––––––
(ગુજરાતી પાક્ષીક ‘નયા માર્ગ’
http://nayaamaarg.googlepages.com/homepage
– ૧૬ ઓક્ટોબર, ૦૯ –માંથી સાભાર)
Filed under: પસંદગીનું પદ્ય | 4 Comments »
Posted on Friday, October 23, 2009 by jjkishor
સહપાઠીઓ,
આપણે અડધે રસ્તે પહોંચી ગયા કહેવાઈએ. છતાં કોશના ૩૩ નીયમોથી તો બહુ દુર છીએ. આ બધા નીયમોને સુક્ષ્મ રીતે પાળવાનું લગભગ અશક્ય જેવું છે. આ લખાણોમાં આરંભમાં જ કહ્યું હતું તેમ, અપવાદો વગેરેની ચર્ચા કરવાની નથી. મારે માટે ભયસ્થાન એ છે કે અપવાદો અને કેટલીક વીસંગતીઓની જો ચર્ચા નથી કરતાં, તો નીયમોને ન્યાય મળતો નથી. ને ચર્ચા કરીશું તો ઉંઝાનો પ્રચાર લાગશે.
આપણે આ વચ્ચેનો રસ્તો ખરેખર સારો કાઢ્યો છે. સાર્થ જોડણીકોશ મુજબ કેટલીક મુખ્ય મુખ્ય ચાવીઓને નુસખા રુપે અહીં મુકીને સરળતા શોધી છે, ને સાથે સાથે કેટલાક અગત્યના શબ્દોને જાણી લીધા છે.
આ કાર્યમાં મેં જે પુસ્તકોનું વાચન કર્યું હતું તેની વીગતો આ મુજબ છે –
૧) ‘જોડણી – પ્રવેશ’ લેખકઃ શ્રી રતિલાલ સાં. નાયક પ્રકાશક અનડા; આવૃતી ત્રીજી;
૨) ‘જોડણી સાવ સહેલી’ લેખકઃ પ્રા. ત્રિકમભાઈ પટેલ; પ્રકા. ગૂજ. વિદ્યાપીઠ; ૧૯૯૯
૩) ‘પ્રારંભિક ગુજરાતી વ્યાકરણ’ શ્રી કનૈયાલાલ જોશી; પ્રકા. શબ્દલોક; ૨૦૦૫
૪) ‘કાવ્યમય વ્યાકરણ’ સ્વ. અનંત વા. જાની; પ્રકા. અનડા; ૧૯૯૦.
૫) ‘વિનિત જોડણીકોશ’ ગૂજરાત વિદ્યાપીઠ; બીજું પુનર્મુદ્રણ – ૧૯૮૯.
ખાસ ભલામણ – જેમને પણ ગુજરાતી ભાષા શુદ્ધ રીતે લખવાની હોંશ છે તેમણે કંઈ નહીં તોય નાનો ખીસ્સાકોશ તો ઘરમાં રાખવો જ રાખવો (લાલ કપડું વીંટીને પુજામાં મુકી રાખીને નીત્યદર્શન કરી પાવન થવા પુરતું નહીં જ નહીં !!)
– જુગલકીશોર.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
નુસખો પાંચમો
આ નુસખો સાવ સાદો અને સહેલો જણાય છે. એમાં ઇ અનેઉ બન્ને સાવ સામસામે છેડે બેઠેલા જણાય છે !! જુઓ –
૧) શબ્દને અંતે આવતો ઈ મીંડાવાળો હોય કે મીંડા વગરનો (સાનુસ્વાર કે નીરનુસ્વાર) પણ તે ઈ દીર્ઘ ઈ હશે, જ્યારે
૨) શબ્દને અંતે આવતો ઉ મીંડાવાળો હોય કે વગરનો પણ તે હ્રસ્વ હશે !!
છે ને સાવ સીધી વાત ! જુઓ ઉદાહરણો –
૧) છેડે બધા દીર્ઘ ઈવાળા શબ્દો – સીડી, બીડી, ઉજાણી, સુંવાળી, ધ્રુજારી, ફુદ્દી, ભૂખી, વરિયાળી, સફારી, હોળી, રોગી, માણસાઈ, અકોણાઈ, પાંખડી, રાખડી, આંજણી, જોડણી, ચાંખડી, સરકણી, પરાઈ, ચડાઈ વગેરે
૨) છેડે બધા હ્રસ્વ ઉવાળા શબ્દો – કણુ, સાબુ, વાજુ, ચીકુ, જંતુ, ડાકુ, જાંબુ, દયાળુ, રતાળુ, ઉનાળુ, કમાઉ, કાપડુ, લીસું, ખીરું, ઝીણું, મીઠું, ઈંડું, હીણું, શીળું, નિરાળુ, ઊજળું, તૂટલું, ગરીબડું વગેરે
નુસખો છઠ્ઠો –
આ પણ સાવ સીધોસાદો નુસખો છે. યાદ રાખવાનું છે તે આટલું જ કે
૧) ત્રણ અક્ષરી શબ્દોમાં વચ્ચેનો અક્ષર જો હ્રસ્વ હોય તો પ્રથમ અક્ષર દીર્ઘ કરવાનો અને
૨) ત્રણ અક્ષરી શબ્દોમાં વચ્ચેનો અક્ષર જો દીર્ઘ હોય તો પ્રથમ અક્ષરને હ્રસ્વ કરવાનો !!
હવે જોઈએ ઉદાહરણો –
૧) વચ્ચેનો અક્ષર દર્ઘ હોઈ, પ્રથમ હ્રસ્વ – ઇનામ, નિશાન, દિમાગ, ચિરાગ, હિસાબ, ચિતાલી, નિશાની, દિવાળી, ભિખારી, સિલાઈ, બિચારું, શિખાઉ, ઇશારો, તિખારો, દિલાસો, મિનારો, દિવેલ, વિવેક, તિજોરી, ઉજાસ, જુગાર, દુકાન, સુકાન, મુકામ, ઉજાણી, ઉતારો, દુખાવો, મુછાળો, કુહાડો, તુવેર, ફુદીનો વગેરે
૨) વચ્ચેનો અક્ષર હ્રસ્વ હોઈ પ્રથમ દીર્ઘ – કીચડ, તીરથ, ધીરજ, લીપણ, નીલમ, નીરવ, પીપળ, બીકણ, ટીકડી, દીકરી, ઠીંકરી, ઢીમણું, ચીંથરું, પીપડું, ખીજડો, દીપડો, લીમડો, ઊચક, ગૂગળ, ધૂમસ, પૂનમ, મૂરખ, ઊજળું, દૂબળું, લૂગડું, ડૂસકું, જૂગટું વગેરે.
નુસખો સાતમો –
અહીં બે જાતની ચાવી મળશે.
૧) કેટલાક શબ્દોની પાછળ ‘ઇયાળ’ કે યાળુ(અપશુનિયાળ – કજિયાળું),ઇયા (કઠિયારો), ઇયું (પગથિયું), ઇયો (ગોઠિયો), ‘ઇયાત’(રળિયાત), ઇલ કે ‘ઇયલ’ (દમયિલ – ગુણિયલ) જેવા પ્રત્યયો લાગેલા હોય તો તેવા શબ્દોમાં ઇ હ્રસ્વ હોય છે. (ઇય સીવાયના દા.ત. નાટકીય, રાજકીય, માનનીય વગેરેમાં દીર્ઘ ઈ આવશે)
ટુંકમાં બીજી રીતે કહીએ તો –
૨) પાછળ ય આવતો હોય તેવા શબ્દોમાં યની આગળના અક્ષરને હ્રસ્વ ઇ લાગે છે.
આ બધા શબ્દોનાં ભેળાં કરેલાં ઉદાહરણો આ મુજબ હોઈ શકે –
અવગતિયું, ખોળિયું, લપસણિયું, લૂછણિયું, હૂરિયો, ઓરસિયો, ખાંડણિયો, ખણખોદિયો, બખિયો, નોળિયો, ચીઢિયલ, કોઢિયલ, નોકરિયાત, લેણિયાત, ચડિયાતું, નધણિયાત/તું, રળિયાત, ઊજળિયાત, હરિયાળું, રાંકડિયું, લથડિયું વગેરે વગેરે.
હવે પછીના નુસખાઓ પ્રમાણમાં માથાકુટીયા લાગશે, પરંતુ હવે બેઠાં જ છીએ તો અધુરું શા માટે છોડવું ?
તો રહો તૈયાર, હોશીયાર ! માતા શારદાની સવારી આવે તો સ્વાગત માટે બને તેટલા વધુ સક્ષમ થઈ/રહીને, બને તેટલી વધુ સહજતાથી માતાને રીઝવીએ.
शुभम् भवतु ।।
*****************************************************************
Filed under: જોડણી અંગે | 1 Comment »
Posted on Monday, October 19, 2009 by jjkishor
સાચું ભાષાસુખ જે વર્યાં !! – જુગલકીશોર.
આજે થોડાક સાવ સરળ નુસખા કામે લગાડીશું. જુઓ –
નુસખો ૧/૧ )
એક અક્ષરનો શબ્દ પણ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આવા શબ્દો માટે સાવ સરળ નુસખો આ છે –
કોઈ પણ એકાક્ષરી શબ્દ પર જો અનુસ્વાર ન હોય તો ઈ કે ઊ મોટે ભાગે દીર્ઘ જ હોય !
દા. ત. ઈવાળા એકાક્ષરી શબ્દો, ઘી, પી, બી, સ્ત્રી, છી, ફી, જી, દી’, શી.
ઊવાળા એકાક્ષરી શબ્દો, છૂ, જૂ, થૂ, ઝૂ, દૂ, બૂ, ભૂ, રૂ, લૂ, સ્ક્રૂ.
નુસખો ૧/૨) પણ સાવ જ સહેલો છે, જુઓ –
અનુસ્વારવાળા એકાક્ષરી શબ્દો હ્રસ્વ ઉવાળા હોય છે. દા. ત. છું, તું, શું, હું.
અહીં બે ચાર શબ્દો જ અપવાદના યાદ રાખવાના છે જે સાવ સહેલા છે, જેમ કે, ચૂં, ફૂં, ટૂં.
અને હા,
એકાક્ષરી ઉ+ અનુસ્વારવાળા તો આપણે ઉપર જોયા. હવે એકાક્ષરી એવો શબ્દ કોઈના ધ્યાનમાં છે જે ઇ+અનુસ્વાર ધરાવતો હોય ?
નુસખો ૨)
આ પણ બહુ અઘરો તો નથી જ. આટલુંક યાદ રાખો –
બે અક્ષરી શબ્દોનો પ્રથમ અક્ષર ઈકાર કે ઊકાર હોય તો તે મોટે ભાગે દીર્ઘ હોય છે. દા.ત;
-
ઈશ, ખીજ, ગીધ, ફીણ, ભીડ, વીજ, હીર વગેરે
-
કીડી, ખીલી, છીણી, દીદી, પીઠી, સીડી, બીડી વગેરે
-
ખીસું, છીબું, ધીમું, પીંછું, નીચું, સીધું, હીણું, કીટું, ખીરું વગેરે
-
ખીલો, ચીરો, ટીકો, દીવો, પીછો, મીણો, લીરો, હીરો વગેરે
-
ઈજા, લીરા, હીના, ચીના વગેરે
-
ઊન, ઊલ, ખૂન, ગૂણ, ચીપ, છૂટ, તૂત, ભૂખ, લૂમ વગેરે
-
ખૂબી, ચૂડી, છૂટી, જૂઈ, ઝૂડી, દૂધી, સૂડી વગેરે
-
ઊનું, ઊભું, જૂઠું, રૂપું, ભૂરું, લૂખું, સૂકું વગેરે
-
કૂકો, કૂજો, કૂવો, પૂળો, ભૂકો, મૂળો, હૂકો વગેરે
નુસખો ૩)
આ નુસખો સમજતાં પહેલાં બે પ્રકારનાં અનુસ્વાર અંગે* ટુંકમાં એક વાત જાણી લઈએ.
સાનુનાસીક સ્વરો અને સાનુનાસીક વ્યંજનો એ બે પ્રકારો યાદ રાખવા જોઈએ. શબ્દની ઉપર મીંડા રુપે લખાતો આ ઉચ્ચાર તે જ અનુસ્વાર. તે બે પ્રકારના હોય છે.
-
કોમળ અનુસ્વાર હોય તે સ્વરની કક્ષાનો ગણવો, જ્યારે
-
તીવ્ર અનુસ્વાર હોય તે વ્યંજનની જેમ ગણવો. એટલે કે જે અનુસ્વારને બદલે અર્ધો અક્ષર લખીને જોડાક્ષર બનાવી શકાય તે. દા.ત. ચંપલ/ચમ્પલ, ગુંદર/ગુન્દર.
હવે નીયમ જોઈએ
૧) શબ્દનો પહેલો અક્ષર જો કોમળ અનુસ્વારવાળો હોય તો તે અક્ષરને દીર્ઘ ઈં કે દીર્ઘ ઊં લખાય.
૨) શબ્દનો પહેલો અક્ષર જો તીવ્ર અનુસ્વારવાળો હોય તો તે અક્ષરને હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ લખાય. ( આગળ ઉપર આપણે જોઈશું કે જોડાક્ષરની પહેલાં આવનારો ઇ કે ઉ હંમેશાં હ્રસ્વ હોય છે. અને એ નીયમ અહીં પણ લાગુ પડ્યો છે. જેમ કે ગુન્દર/ગુંદર ગૂંદર/ગૂન્દર ન બને. તીવ્ર અનુસ્વાર કે પાછળ આવતો જોડાક્ષર આગળના અક્ષરને હ્રસ્વ બનાવે છે.)
દાખલાઓ જોઈએ –
દીર્ઘ ઈ–ઊવાળા શબ્દો (કોમળ અનુસ્વાર)
-
ઈંટ,ખીંટી, છીંક, પીંછી, વીંટી, વીંછી, લીંટ વગેરે
-
ઈંટાળો, ચીંથરું, છીંકણી, પીંજણ, લીંપણ, સીંચણ, હીંચકો વગેરે
-
ઊંઘ, ઊંટ, કૂંચી, ગૂંચ, ચૂંક, ચૂંચૂં, ટૂંકું, ફૂંક, લૂંટ વગેરે
-
ઊંચાઈ, ઊંધિયું, કૂંપળ, ચૂંટણી, ઝૂંપડી, રૂંવાડું, હૂંફાળું ઊંઘણશી, ધૂંધવાટ વગેરે
હ્રસ્વ ઇ–ઉવાળા શબ્દો (તીવ્ર અનુસ્વાર)
-
ઈંચ, ઉંબી, ગુંડો, ઝુંડ, ગુંબજ, તુંબી, પિંડી, ધિંગું, શિંગ, હિંગ, હિંદુ તથા
-
ભુંડ, બુંદ, મુંજ, કુંજ,
-
કુંડળ, ગુંજાશ, ચુંગાલ, જિંજર, જિંદગી, ઝુંબેશ, ઢિંગલી, તુંબડી, મુંબઈ, હિંમત વગેરે
હવે એક નુસખો સાવ ટુંકમાં જોઈ લઈએ પછી આ અંકને પુરો કરીએ.
નુસખો ૪)
આ નીયમ સાવ સીધી વાત બતાવે છે કે ત્રણ કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં જો જોડાક્ષર આવતો હોય તો તેની પહેલાંનો અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ હોય છે !
આ નીયમનાં ઉદાહરણો મુકવાની જરુર ખરી ?! (હશે તોય તે તો હવે આવતે અંકે !)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
* અનુસ્વાર અંગેનાં મારાં પાંચ લખાણો આ લીંક્સ પરથી મળી શકશે. આશા છે, ઉપયોગી થશે.
http://jjkishor.wordpress.com/2007/04/20/vyakaran-3-2/
http://jjkishor.wordpress.com/2007/04/21/vyakaran-2-2/
http://jjkishor.wordpress.com/2007/04/25/vyakaran-7/
http://jjkishor.wordpress.com/2007/12/24/vyakaran-4/
http://jjkishor.wordpress.com/2007/12/29/vyakaran-5/
Filed under: જોડણી અંગે | 2 Comments »
Posted on Thursday, October 15, 2009 by jjkishor
માતૃભાષાના સૌ સહપાઠીઓ ! – જુગલકીશોર.
નવું વરસ કમસેકમ ભાષાશુદ્ધી પુરતુંય આપણા સહુને માટે તેજસ્વી નીવડે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે આજે કેટલીક સહેલી ચાવીઓનો ઝુડો આપ સૌ સમક્ષ ખણખણાવું છું. આશા રાખું છું કે એને શોભાનો, ચાંદીનો – કેડે લટકાવી રાખવા પુરતો – ગણવામાં નહીં આવે.
સાર્થ જોડણીકોશ મુજબ જોડણીના જે ૩૩ નીયમો છે તેનો સંપુર્ણ પાઠ આ અગાઉ મેં મુક્યો હતો. એની લીંક આમ છે –
http://jjkishor.wordpress.com/2007/08/06/jodni-ange-2/
http://jjkishor.wordpress.com/2007/08/08/jodani-ange-3/
http://jjkishor.wordpress.com/2007/08/11/jodani-ange-2/
http://jjkishor.wordpress.com/2007/08/13/jodani-ange/
http://jjkishor.wordpress.com/2007/08/19/jodni-ange/
http://jjkishor.wordpress.com/2007/08/24/jodniange/
આ નીયમો પ્રથમ નજરે બહુ જ અઘરા જણાય છે. વીદ્વાનો પણ એવું માને છે, ને કહેય છે. પણ આપણે થોડું સામા પુરે તરીને જોડણીને નાથવા યથાશક્તી/મતી પ્રયત્ન કરવો છે. આ સંકલ્પ મુજબ આજે આ બીજા હપતામાં કેટલાક નીયમોને સમજવા ને એ મુજબ ઉપયોગમાં લેવા સારુ કંઈક અંશે ઉપયોગી થવા માંગું છું.
સૌથી પહેલી વાત એ કરવાની કે અહીં બતાવેલા સાદા નીયમોને આંખની બરાબર સામે રાખીને રોજીંદા ઉપયોગમાં લેવામાં આવે. ‘દીવાલ પરનું લખાણ’ એ એક શબ્દપ્રયોગ છે. આ સાદા નીયમોને દિવાલ પર, નજર સામે રાખીને દરરોજ ઉપયોગમાં લેવા આગ્રહ – અને આશા પણ – છે.
આ નીયમોને હું હાલ તરત તો કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય ક્રમ મુજબ આપવાને બદલે યાદ આવતા જશે તેમ તેમ આપતો જઈશ. પછી નીરાંતે હું કે આપણામાંનું કોઈ એને વ્યવસ્થીત રુપ આપી શકશે.
સૌથી પહેલાં તો તત્સમ શબ્દોમાંના પુર્વગોને લગતી જોડણી લઈએ. આ નીયમ બહુ સહેલો છે. એટલું જ યાદ રાખવાનું કે શબ્દોની પુર્વે આવતા આ બધા પુર્વગો યાદ રહી જાય તેવા જ છે. જેમ કે –
ઉપ, અતિ, અધિ, અભિ, નિઃ, પરિ, પ્રતિ, વિ, અનુ, સુ, કુ, પુનઃ, બહિ, પુર. આ બધા (શબ્દોની પુર્વે આવતા) પુર્વગોની પછી તરત આવતા શબ્દોની જોડણી આંખો મીંચીને હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ થી કરવી. આનાં ઉદાહરણો ઉપર બતાવેલા પુર્વગોના ક્રમમાં છે.
અતિશય – અતિજ્ઞાન – અતિક્રમણ
અધિકાર – અધિસૂચન –
અભિરુચિ – અભિનંદન – અભિનવ
નિયમ – નિવેદન – નિતાંત
નિઃ નિરંકુશ – નિર્જન – નિર્દોષ
પરિવર્તન – પરિબળ – પરિચિત
પ્રતિબિંબ – પ્રતિશોધ – પ્રતિકાર
વિશ્વાસ – વિશ્લેષણ – વિરોધ – વિજ્ઞાન
અનુસૂચિત – અનુવાદ – અનુરણન
ઉપાચાર્ય – ઉપશમ – ઉપનયન –
સુવિચાર – સુબોધ – સુગંધ
કુમતિ – કુદૃષ્ટિ – કુરીતિ
પુનઃ પુનર્વિચાર – પુનઃશ્ચરણ – પુનર્ગમન
બહિઃ બહિર્ગોળ – બહિષ્કૃત – બહિષ્કાર
પુરજોશ – પુરબહાર
બીજો એવો જ એક નિયમ તત્સમ શબ્દોનો છે જેમાં શબ્દને છેડે જોડાઈને નીચેના પ્રત્યયો લાગે છે. જેમ કે –
ઈય, ઈત, ઈન, ઈક્ષ, ઈક, ઈકા., ઈન્દ્ર કે ઈશ – આ બધામાંથી ક – ત – લ વાળા ઈક–ઈત–ઈલમાંના શબ્દોમાં દીર્ઘ ઈની કતલ કરી નાખવાની !! અર્થાત્ ઈક, ઈત અને ઈલવાળા શબ્દોમાં હ્રસ્વ ઇ આવશે જ્યારે બાકીના બીજા બધામાં દીર્ઘ ઈ આવશે. દા.ત. જુઓ –
ક–ત–લવાળા ફક્ત હ્રસ્વ ઇમાં જ લખવાનાં –
ઇક (શારીરિક, માનસિક, નાગરિક, તામસિક)
ઇકા (અનામિકા, ગણિકા, લેખિકા)
ઇત (અંકિત, લક્ષિત, રક્ષિત,)
ઇલ (અનિલ, ફેનિલ, સલિલ, જટિલ)
હવે જોઈએ કતલ સીવાયના અન્ય પ્રત્યયોવાળા શબ્દો જેમાં છેડે દીર્ઘ ઈ આવશે.
ઈય (રાજકીય, ભારતીય, ક્ષેત્રીય, ભવદીય)
ઈન (કુલીન, સ્નેહાધીન, આજ્ઞાધીન)
ઈક્ષ (નિરીક્ષક, સમીક્ષક, અધીક્ષક)
ઈન્દ્ર કે ઈશ (અવનીન્દ્ર, યોગીન્દ્ર તથા જગદીશ, સત્તાધીશ)
તત્સમ શબ્દોના નારીજાતિમાં છેડે આવતી ઇ હંમેશાં હ્રસ્વ ઇ જ આવશે. જેમ કે –
(રીતિ, અનુમતિ, કીર્તિ, દીપ્તિ, સંસ્કૃતિ વગેરે)
અપવાદ – જયંતી, બહુમતી, શ્રીમતી, સતી, યુવતી, સલામતી વગેરે.
ઉપરાંત ‘વાળી’ એવો અર્થ દર્શાવતા શબ્દો મતી કે વતી માં છેડે દીર્ઘ ઈ આવશે –
પુત્રવતી, ભગવતી, બલવતી, કલાવતી,
છેડે ‘નિ’ આવતો હોય તેવામાં,
ગ્લાનિ, હાનિ વગેરેમાં હ્રસ્વ ઇ જ આવશે.
છેડે ‘ટિ’ વાળા શબ્દો જેમ કે,
તુષ્ટિ, દૃષ્ટિ, પુષ્ટિ વૃષ્ટિ વગેરેમાં હ્રસ્વ ઇ આવશે.
‘ણૂંક’ કે ‘ગીરી’ આવતા હોય તેવા શબ્દો જેમ કે,
નિમણૂંક, વર્તણૂક તથા નીલગીરી, ગાંધીગીરી, દાદાગીરી વગેરેમાં દીર્ઘ ઈ અને દીર્ઘ ઊ આવશે.
બસ, સહયોગીઓ, અત્યારે તો આટલું જ ! બાકીનું કદાચ દીવાળી દરમીયાન થશે તો થશે.
Filed under: જોડણી અંગે | 20 Comments »