અમદાવાદમાં બ્લૉગર–સભા

USAના રેખાબહેન સિંધલ સાથેની  મીલન–સભા

તા. ૨૬ – ૦૫ – ૨૦૧૩ના રવીવારે

ગોઠવવામાં આવી છે. સૌ નેટમીત્રોને જાહેર નીમંત્રણ છે.

સમય સાંજના ૪.૩૦  

સ્થળ :

હોટેલ સફર ઈન જુના જનસત્તા કાર્યાલય પાસે, મીરઝાપુર રોડ, અમદાવાદ.

સંપર્ક :

વલીભાઈ : 9327955577,

અકબરભાઈ : 9825009077,

જુગલકીશોર : 9428802482

 

 

======================================================================================

[ વરરાજાએ દહેજના પાંચ લાખ માગતાં કન્યાએ કહ્યું,  “તું તારે પાછો વળી જા !!” – એવા કૈંક સમાચાર પરથી એક કલ્પના ]

 

“મહેંદી લગાવી લેજો.

ડોલી સજાવી લેજો,

હું જાન લૈને આવું –

ઢોલી બુલાવી લેજો.”

 

“મેંદી શી મઘમઘી છે !

ડોલી શું સજધજી છે;

તું ‘જાન’ લૈને આવે –

ઢોલક શી ધમધમી છે !”

 

“તેં દીલ મને દીધું છે,

મેં બીલ તને દીધું છે;

ચુકવી દઈશ જ્યારે,

પૈણવાનું ‘પણ’ લીધું છે.”

 

“દીલની કિંમત નથી કૈં,

બીલની જરુર પછી નૈં !

તું આવી જાને જલદી –

‘પણબણ’ બધું ભુલી જૈ !”

 

મારું ને તારું નેક દીલ,

મારા પીતાનું એક બીલ;

તારા પીતાના દસ લાખ –

હનીમુન જવાશે છેક હીલ !”

 

“દીલબીલ બધું ભુલી જા,

ફેરા તું ચાર ફરી જા;

બાપાની વાત ના કર –

અહીંથી મને તું લઈ જા.”

 

“બાપાની વાત પ્હેલી,

ફેરાની વાત છેલ્લી;

પૈસા તૈયાર રખના –

લઈ જાન આવું વહેલી !”

 

“ખતરામાં જાન તારી,

સમજી લે વાત મારી;

પૈસા નહીં, રે પોલીસ –

તૈયાર છે અમારી !”

 

મહેંદી મજા ન લાવી,

ડોલી ‘સજા’ની આવી;

ચારે દીશા ગજવતી

ઢોલીની ડાંડી ફાવી.

 

– જુગલકીશોર.

[‘NET–ગુર્જરી’ ઉપરની ૭૯૯મી પોસ્ટ !]

 

 

 

 

સો સો ગીત ગાવાના દીવસો !

દિવસો આવ્યા / દિલીપ ઝવેરી                                                         (વસંત–ગ્રીષ્મનાં કાવ્યો : ૨)

આંબે બેઠો મૉર

પ્રિયાની આંગળિયોની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.

ભરબપ્પોરે બોલી રહેતો કાગ,

કોઈની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા.

કોયલ કેરો શોર,

નેણમાં નેણ પરોવી ચૂપ હસી રહેવાના દિવસો આવ્યા.

કેસૂડાની ડાળડાળ પે આગ,

જેમની પ્રિયા રહી પરદેશ એમના નિ:શ્વાસોથી ઊના દિવસો આવ્યા.

મારે સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.

( નવનીત ઓગ–૬૪માંથી સાભાર.)

–––––––––––––––––––––––––––––––––––––––––

– જુગલકીશોર.

વીજ્ઞાન કહે છે કે ઉનાળામાં પદાર્થ ફુલે છે ને શીયાળામાં સંકોચાય છે. જ્યારે પ્રેમપદારથ એનાથી ઉફરો ચાલે છે. શીયાળામાં પ્રેમ ફુલીને ફાળકો થાય છે ને ઉનાળામાં ઠીંગરાઈ જાય છે. હેમંત અને શીશીરમાં પ્રણયનો જે લહાવો લેવાયો હતો તેને પછીની તરત જ આવતી ઋતુમાં પુષ્પો બેસે છે. નવાં પાન, ફુલોનો મઘમઘાટ જીવનને નવા જ ઉત્સાહથી છલકાવી દે છે. પણ પછી ગ્રીષ્મમાં બધું જ જાણે કે નીરસ બની જાય છે.

ગયા અંકમાં આપણે વસંતને એકલી ન આવવા કહેલું. એ કાવ્યમાં મજાની વાત એ હતી કે વસંતનું જ કાવ્ય અને છતાં ક્યાંય કરતાં ક્યાંય વસંતની વાત એમાં નહોતી ! વસંતનાં ઉપકરણોની વાતો કરીને કવીએ વસંતની કેટલીક વીશેષતાઓ દર્શાવીને માનવજીવનની કેટલીક સુક્ષ્મ ગતીવધીઓ બતાવી હતી.

આ કાવ્ય સાવ નોખા જ મીજાજનું છે. ઉનાળામાં પ્રણયનાં તોફાનો હોતાં નથી. ભયંકર તપતી ધરતી અને અગ્નીવર્ષા વચ્ચે પ્રણયના ફાગ ખેલવાના હોતા નથી…વળી દીવસો પણ લાંબા અને શીતળ સુખ ન હોય તો બે પ્રેમીજન વચ્ચેની સ્થીતી સાવ દયામણી બની જાય છે. પ્રસ્તુત કાવ્યમાં કવી ઉનાળાના સમયે પ્રકૃતીનાં તત્ત્વોના સંદર્ભે માનવની વીશીષ્ટ પરીસ્થીતીઓને તે તત્ત્વોની સાથે ગુંથીને પ્રકૃતી અને માનવજીવન વચ્ચેના કેવા અવીનાભાવી સંબંધો રહેલા છે તે જાણે બતાવી આપે છે. આખા કાવ્યમાં ઉનાળામાં બનતી રહેતી રોજીંદી ચાર મહત્ત્વની ઘટનાઓને યાદ કરીને ચારેયની સાથે માનવની એક એક પરીસ્થીતીને ગુંથે છે ! ઉનાળાના દીવસો આગળ કહ્યું તેમ ઉલ્લાસના નથી પણ કોઈ ને કોઈ પ્રકારની વેદનાના છે. પ્રણય તો શાશ્વત ચીજ છે તેથી એ બંધ પાળતો નથી. પણ પ્રણયને પ્રગટ કરવાની વીધી અલગ થઈ જાય છે. વળી ઉનાળામાં મીલન શૃંગાર કરતાંય વીરહશૃંગારની શક્યતા કલ્પીને વીપ્રલંભ શૃંગારને કાવ્યમાં વધુ ઉઠાવ અપાયો છે.

પ્રકૃતીની ચાર ઘટનાઓને ક્રમશ: રજુ કરી છે તેમાં આંબે નવો બેઠેલો મૉર (મંજરી) જેને ગામડામાં કૉર પણ કહે છે, તે કૉર, કાગ, કોયલ અને કેસુડો એ બધા કક્કાઓ ભેગા મળીને આ કાવ્યમાં પ્રણયના મીલન–વીરહ શૃંગારનનું નીમીત્ત બને છે.

આંબે બેઠેલો મૉર એ અત્યંત નાજુક ફુલોનું ઝુમખું હોય છે. તરત જ જે બેસવાની છે તે કેરીની ડાંડલીઓને સંદર્ભે કવી પ્રીયાની આંગળીઓને જોડી દે છે. આ બન્ને અંગો – આંબાની નાજુક ડાંડલીઓ અને પ્રીયાની આંગળીઓ – દૃષ્યમાન છે. જ્યારે મૉરની સુગંધ સુક્ષ્મ ચીજ છે. એ સુક્ષ્મતાને ઉનાળાને શોભે તેવી પ્રણયચેષ્ટા સાથે સંભારી છે ! કેટલી નાજુક પ્રણયચેષ્ટા બતાવી છે – મંજરીની ગંધ–શી – જુઓ, “પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા !”

બીજું દૃષ્ય છે ઉનાળાની રજાઓ સાથે જોડાયેલી રજાઓનું ! મહેમાનોની આવનજાવનના જ આ દીવસો ! અને મહેમાનોના આગમનના સમાચાર આપનારો આપણો લોકલાડીલો કાગડો ! ‘કાગનું બોલવું ને મહેમાનનું આવવું’ એવી કહેવત હજી કોઈએ બનાવી નથી પણ આજે અહીં તે વાજબી લાગે છે. ભર બપ્પોરે બોલી રહેતો કાગ કોઈની વાટ જોતાં કરી દે તે વાત કેવી કાવ્યમય છે ! ઉનાળાના આ દીવસો તો જાણે વાટ જોઈ રહેવાના જ ન હોય તેમ તેને કાવ્યમાં આવી રહેલા એક એકથી ચડીયાતા વીરહના પ્રસંગનું સુચન કરતા બતાવી દીધા છે !

ત્રીજી ઘટનામાં કોયલનો શોર સંભળાય છે. કોયલનો તીવ્ર ને ઘેરો અવાજ વાતાવરણને ભરી દેનારો હોય છે. ઉનાળાના શાંત વાતાવરણમાં આ ઘોંઘાટની સામે કવી પ્રણયની સાવ નોખી જ તરકીબ પ્રગટ કરે છે. શાંત વાતાવરણને અનુરુપ ને કોયલના શોરના વીરોધમાં પ્રણયીઓની નેણમાં નેણ પરોવીને ચુપચાપ હસી લેવાની આ તરકીબ કેટલી ચમત્કૃતી ભરેલી છે !! ઉનાળાને શોભે તેવી પ્રણયચેષ્ટામાં કવીકર્મ કેવું નીખરે છે !

ચોથી ઘટના છે કેસુડાના રંગ સાથે જોડાયેલી આગની. ખાખરાના ઝાડની ડાળીએ, ડાળીએ લાગી ગયેલો કેસરી રંગ અગનઝાળની કલ્પના આપીને ઉના નીશ્વાસોની સાથે જોડી આપે છે. જેમનો પ્રીતમ પરદેશે હોય તેના નીશ્વાસોની ગરમી પાસે કેસુડાની આગ પણ કોઈ વીસાતમા ન હોય ! વીરહની વેદનાને અહીં બહુ તીવ્રતાથી પ્રગટ કરાઈ છે.

હવે છેલ્લે કેટલુંક જરા જુદા સુરમાં. સરસ મજાની કવીતામાં વસંત અને ગ્રીષ્મને એકબીજામાં ભેળવી દીધાં હોય તેવું નથી લાગતું ? જે દીવસોની કવી વાત કરે છે તેમાં ઘડીક આંબે આવેલો મૉર છે તો કેસુડોય છે ! આ વસંતની ઋતુ તો નથી જ એ નક્કી. મૉર અને કેસુડો કાંઈક ભેળાં ચાલે, પણ કોયલનું આગમન થોડું મોડું હોય છે જ્યારે દીવસો ઉના થઈ ચુક્યા હોય છે.

બીજી વાત. કાવ્યમાં મીલન અને વીરહને વારાફરતી રજુ કરીને જાણે કવીએ બે યુગલોને કલ્પ્યાં છે. પ્રથમ અને ત્રીજી કડીમાં મીલન અને બીજી ને ચોથી કડીમાં વીરહ બતાવાયો છે.

છેલ્લી પંક્તીમાં કવી સો સો ગીત ગાઈ લેવાના મુડમાં આ આખી રચનાનો જાણે કે સાર રજુ કરી દે છે ! શૃંગાર મીલનનો હોય કે વીરહનો પણ સર્જકને તો વ્યક્ત થવાનું, કાવ્યમાં પ્રગટવાનું મહામુલું ટાણું છે. આવી ચચ્ચાર ઘટનાઓ પછી કવીહૃદય ઝાલ્યું રહે ? 

ગંગાજળા વિદ્યાપીઠના સર્જક આદરણીય ડોલરકાકા

Dolarbhai 2 u6y6yy

 – જુગલકીશોર.

ગુજરાતને જે કેટલાક ઉત્તમ શીક્ષકો મળ્યા છે તેમાંના એકનું નામ ‘આદરણીય’ વીશેષણ સીવાય ન લઈ શકાય એવું છે. સૌરાષ્ટ્રના જામનગર પાસેના અલિયાબાડામાં ગંગાજળા વીદ્યાપીઠના સ્થાપક શ્રી ડોલરરાય માંકડ ગુજરાતના શીક્ષણજગતનું બહુ ઉંચેરું ને મહામુલું નામ છે.

એમની સંસ્થામાં વર્ષો સુધી સેવા આપીને નીવૃત્ત થયેલા એક કાર્યકર, લોકભારતીના અમારાથી બહુ સીનીયર વીદ્યાર્થી અને સંબંધે મારા માનનીય કાકા શ્રી કનુભાઈ વ્યાસ પાસે ‘ડોલરકાકા’નું સીમાચીહ્નરુપ એક પુસ્તક ‘નૈવૈદ્ય’ મેળવી આપવાની વીનંતી મેં કરેલી. આ પુસ્તક માટે મને આપણા શ્રી દીપકભાઈ ધોળકિયાએ ખાસ આગ્રહ કરેલો. કનુકાકાએ પોતાની સંસ્થામાંથી આ પુસ્તક મને મોકલવા માટે કાર્યવાહી કરી તો સંસ્થાના વડીલ બહેનશ્રી મુ. રૂપલબહેન માંકડ દ્વારા મને એકને બદલે ત્રણ કીંમતી પુસ્તકો ભેટ તરીકે મોકલી આપ્યાં. (ગંગાજળાએ મને એમના પવીત્ર જળનું આકંઠ પાન કરાવવા જ જાણે કે આ કૃપા કરી.) આવનારા સમયમાટેનું મોટું ભાથું મળી જતાં સમય સમય પર ડોલરકાકા અને એમના વીશાળ કાર્યફલકને સમજવાનો લાભ મળશે એનો અત્યંત આનંદ છે.

mankd.jpgnaivedya

Untitled-1.jpg-1

Untitled-1

એમના અવસાન બાદ પ્રગટ થયેલો સ્મૃતીગ્રંથ ‘મંગળયાત્રા’ વાંચવાની શરુઆત કરતાં જ એક પ્રસંગ વાંચવા મળ્યો તે એમના શીક્ષણકાર્ય અને વહીવટનો વીશીષ્ટ પરીચય આપનારો હોઈ અહીં પ્રગટ કરવા રજા લઉં છું.

શ્રી ભવાનીશંર વ્યાસ માંકડસાહેબના વીદ્યાર્થી અને પછીથી તેમના સાથી કાર્યકર–અધ્યાપક હતા. તેમણે સ્મૃતીગ્રંથમાં ‘नम: पुरस्तादथ पृष्ठस्ते’ નામક લેખમાં એક પ્રસંગ નોંધ્યો છે. તે તેમના જ શબ્દોમાં –

“એ મારા ગુરુ હતા, સખા હતા, સારથી હતા. ૧૯૩૩થી ૧૯૫૧ સુધીનો દીર્ઘ પંથ…..કરાંચીની દ.જે.સિંઘ કૉલેજમાં તેઓ મારા સંસ્કૃતના પ્રાધ્યાપક. ત્યાંનો અભ્યાસ પૂરો કરીને હું પૂના જઈને ‘સંસ્કૃત ઓનર્સ’ કરી આવીને એ જ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નીમાયેલો ને એ રીતે જેમનાં ચરણ પાસે બેસીને બે વર્ષ ભણેલો તેમને જ જાણે વિધાતા ગુરુદક્ષિણા અપાવતી હોય તેમ અધ્યાપનકાર્યના ભારને હળવો કરવાનું મારે માથે આવ્યું. હું ત્યારે ફક્ત બી.એ. ઓનર્સ જ હતો. છતાં ઓનર્સના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ મને સોંપ્યું અને પોતે (માંકડ સાહેબે) જનરલના વીદ્યાર્થીઓને ભણાવવાનું રાખ્યું. થોડા સમય પછી મુંબઈથી નિરિક્ષણ સમિતિ આવેલી. એમાંના એક તો સંસ્કૃતના વિદ્વાન હતા. તેમને કાર્ય વહેંચણીની આ વ્યવસ્થા જોઈને ગડમથલ થઈ ! એમ. એ. વિભાગના અધ્યક્ષ અને આઠનવ વરસના અનુભવી જનરલના વિદ્યાર્થીઓને ભણાવે અને માત્ર બી.એ. ઓનર્સ અને બીન અનુભવી અધ્યાપક ઓનર્સના વિદ્યાર્થીઓને ભણાવે તે વ્યવસ્થા એમને ચિંત્ય લાગી. એ વખતના આચાર્ય બુટાનીસાહેબનું તેમણે ધ્યાન દોર્યું. બુટાનીસાહેબ જેવા આચાર્યો તો યાસ્કના નિરુક્તમાં જ જોવા મળે. એમણે કહ્યું કે એ બાબતમાં હું કશું ન જાણું. મને મારા સહકાર્યકરોમાં પૂરો વિશ્વાસ છે. જે કાંઈ કર્યું હશે તે પૂરતી વિચારણા પછી જ કર્યું હશે. છતાંય જો ખુલાસો જોતો હશે તો બન્ને અધ્યાપકોને ચા પીવા બોલાવું ત્યારે આપ પૂછી શકશો.

“સાંજના ચા પીવા અમે બન્ને આચાર્યના નિવાસસ્થાને ગયા. ઘણી વાતો થઈ. છેવટે કામની વહેંચણીની વાત આવી. માંકડસાહેબે કહ્યું, ‘અધ્યાપનકાર્યમાં પદ, પ્રતિષ્ઠા કે પદવીનું એટલું મહત્ત્વ નથી જેટલું અધ્યાપકની પોતાના વિષયને ન્યાય કરવાની ક્ષમતાનું. ‘काव्यप्रकाश’ જનરલના વીદ્યાર્થીઓ માટે અને  ब्रह्मसूत्र–शांकरभाष्य’ અને ‘अर्थसंग्रह’ ઓનર્સના વિદ્યાર્થીઓ માટે નિયત થયાં, એ એકમાત્ર અકસ્માત છે. એમ ન હોત તો પણ કામની વહેંચણી આમ જ રહેત. અલંકાર મારો વિષય હોવાથી મેં લીધેલો અને વેદાન્ત અને પૂર્વમીમાંસા વ્યાસના વિષયો હોવાથી વ્યાસને આપેલા છે.’

જવાબ સાંભળી કરમરકર સાહેબ બહુ પ્રભાવિત થયા. કહેઃ ‘માંકડ, આવા ઉપરીઓ મેં હજુ જોયા નથી. જે જોયા છે તેઓ તો પોતાના હાથ નીચેના માણસો પાસેથી કામ કઢાવી યશ પોતે ખાટી જનારા. તમારી સત્યનિષ્ઠા સાચે જ અભિનંદનીય છે.’

ઉપરનો દાખલો તો ઉદાહરણરુપે જ મુક્યો છે, બાકી ડોલરકાકાએ જીવનભર પોતાના સાથીઓ પાસેથી કામ લેવાનો નહીં પણ સામુહીક ધોરણે જ કામ કરવાનો ઉપક્રમ રાખેલો હતો. માંકડસાહેબના જીવન પ્રસંગો એકએકથી ચડીયાતા અને પ્રેરણાના સ્રોત સમા છે. આશા છે કે સમય સમય પર આપણે આ પુસ્તકોમાંથી શક્ય તેટલું દોહન કરીને પાન કરીશું…..આજે તો આ એક જ વાતથી સંતોષ લઈએ.

Dolarbhai  1 Untitled-1

‘નૈવેદ્ય’નું સન્માન

વસંત–ગ્રીષ્મનાં કાવ્યો (૧)

“વસંતને કહેજો કે –”નું રસદર્શન  

– જુગલકીશોર.

વસંતને કહેજો કે એકલી ના’વે :

પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે

મંજરીઓ લીમડાની લાવે

કે એકલા હૈયાને ઓછું ના આવે ?…વસંતને૦

ગુંબજ ગજાવતા ઘેરી ઘટાના

ટહૌકા બેએક લઈ આવે

કે કોઈના અજજડ અબોલા મુકાવે !…વસંતને૦

Photo0501

બળતા પલાશના દાઝેલા અંગના

અંગારા એકબે લાવે

કે કોઈનું કજળેલું કાળજું ધખાવે !…વસંતને૦

ચંદનના વગડેથી વરણાગી વાયુની

લહરી એકાદ લઈ આવે

કે સ્થિર કોઈ પાંપણનું પાન ફરકાવે !

– જયંત પાઠક (‘બુદ્ધિ પ્રકાશ’ માર્ચ/૬૫માંથી)

––––––––––––––––––––––––––––––––––––––––––

વસંત જેવી ઋતુ, અરે ઋતુઓનો રાજા જ કહો ને. એ જ્યારે વીલસવા તૈયાર હોય ત્યારે એને એકલું રહેવાનું ફાવે ભલા ?! કાવ્યસર્જકને આ વાતની ખબર છે જ. એટલે જ કદાચ સર્જક વસંતને સીધુ જ સંબોધીને કહેતા નથી ! એ તો પાછા કોઈ અન્ય દ્વારા કહેવડાવે છે કે, ‘વસંતને કહેજો કે….’

શા માટે વસંત એકલી ન આવે ? તેનાં કેટલાંક કારણો કવી આપણી સમક્ષ મુકે છે. એમણે જે જે વસ્તુને સાથે લાવવા કહ્યું છે તે બધી વસ્તુ તો તેઓ ન કહેવડાવે તો પણ વસંતની સાથે આવવાની હતી જ. કવીને જેમ તેની ખબર છે તેમ આપણને–ભાવકને પણ ખબર છે જ. ને છતાં સર્જક કહેવડાવે છે કે વસંતને કહેજો કે એકલી ના’વે !

આ કાવ્યની જે મજા છે તે સાથે આવનારી ચીજો પાસે કવીએ રાખેલી અપેક્ષાઓ છે. દરેક ચીજ જે વસંતની સાથે લાવવાની છે તે ચીજમાં કોઈ ને કોઈ વિશેષતા જોવા મળે છે. ને એ વિશેષતાઓને દર્શાવવાનું જ જે પ્રયોજન તે આ કાવ્ય !!  

વળી વસંતની સાથે આવનારાં આ તત્ત્વો માનવીય નથી. એ બધાં પ્રકૃતિનાં તત્ત્વો છે. એની પાસે કંઈક ને કંઈક એવો જાદુ છે જે માનવીના મનનાં–જીવનનાં સુક્ષ્મ સંચલનોને તીવ્રતાથી અસર કરનારાં છે. કાવ્યમાં કવીએ આ તત્ત્વો પાસેથી કામ લેવામાં જબરી કરામત કરી છે. કુલ ચાર પરીસ્થીતીઓને બતાવી છે ને દરેક સ્થીતીની મુંઝવણને દુર કરવામાં આ તત્ત્વોનો સહારો માગ્યો છે. 

આખા કાવ્યમાં એકલતાની, વીરહની, સંબંધોમાં પડેલી કોઈ તીરાડની ને ગુમસુમ થઈ ગયેલી કોઈ યુવાનીની વેદનાઓને દર્શાવાઈ છે. આ વેદનાઓની તીવ્ર અનુભૂતિને સીધી રીતે ન મુકતાં કવી પહેલાં તો વસંતનાં સાથીદારોને આગળ કરે છે. એમને સંભારીને પછી પેલી મુંઝવણોને, વેદનાભરી સ્થીતીને દર્શાવવે છે ને પછી વેદનાનો અંત કલ્પે છે.

સૌ પ્રથમ એકલતા બતાવી છે. એકલતાની વેદનાને એમણે સાવ ગામઠી ભાષાના શબ્દપ્રયોગથી પ્રયોજી છે : ઓછું આવવું; લાગી આવવું; માઠું લાગવું વગેરે. વસંત જેવી ઋતુ બેસવાની હોય અને કોઈનું પ્રીય પાત્ર દુર હોય ત્યારે એકલા પડેલા પાત્રના હૈયાને ઓછું ન આવે ? અણોહરું ન લાગે ? આવે જ સમયે દુર જનારાનું માઠું ન લાગે ?

મનની આ અતી સુક્ષ્મ સંવેદના છે. વેદનાના તીવ્ર આઘાતો અહીં નથી. ને તેથી જ કવીએ આ સુક્ષ્મ વેદનાનો ઉપાય પણ બહુ જ કોમળ તત્ત્વ દ્વારા સુચવ્યો છે. દર્દ જો કોમળ છે તો ઉપચાર પણ કોમળ જ જોઈએ ! કહે છે –

“પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે મંજરીઓ લીમડાની લાવે…”લીમડાનાં ફુલો કેટલાં નાજુક હોય છે ! એને મંજરી કહ્યાં છે. તે પણ જથ્થાબંધ માગ્યાં નથી…એકબે જ બસ છે, હૈયાને ઓછું ન લાગવા દેવા માટે ! ચામડીના રોગોમાં લીમડાનાં પાનની ડાળખીને શરીર પર ફેરવીને એ રીતે ખંજવાળને સંતોષવાનો રીવાજ છે. આળી થઈ ગયેલી ચામડી પર લીમડાની આ ‘તીરખી’નો સ્પર્શ જ ચાલે, વધુ જોર અહીં આપવાનું ન હોય ! (મુગલે આઝમનું પેલું દૃષ્ય યાદ આવે છે, જ્યારે સલીમ એની અનારકલીના મોં પર કોમળ પીંછું ફેરવે છે તે ?)

ને લીમડાની આ ડાળખીનું વર્ણન કેવા શબ્દોથી કર્યું છે !! પ, મ અને લ જેવા સાવ કોમળ ઉચ્ચારના અક્ષરોનું સાતત્ય કાનનેય કેવું ગમી જાય છે !! આ અલંકાર અહીં કેવો જામે છે !

બીજી વેદના છે, “કોઈના અજજડ અબોલા”ની ને એને મુકાવવાની જરુર ! અજ્જડ અબોલડાને તોડવા માટે તીવ્ર અને ગુંબજનેય ગજવી મુકે એવો જોરદાર અવાજ એક માત્ર અસરકારક ઉપચાર બની શકે…અને કોયલના ટહુકાથી વીશેષ બીજું શું હોઈ શકે આ સમયે ?! કવીએ કોયલનું નામ પણ લીધા વગર કોયલનો પરીચય કરાવ્યો છે ! ઘેરી ઘટાનો ટહુકો કહીને કોયલની હંમેશાંની સંતાતા રહેવાની શરમાળ પ્રકૃતીનોય ઉલ્લેખ અહીં થઈ જાય છે. 

દર્દ જબરું છે, ને દવા પણ જોરદાર જ જોઈએ તેથી ગ, ઘ અને ટ જેવા અક્ષરોને બેવડાવીને પછી કવીએ ‘ટહૌકા’ શબ્દથી ઉપચારની અસરકારકતા બતાવી છે કે શું ?! “ગુંબજ ગજાવતા, ઘેરી ઘટાના ટહૌકા બેએક”વાળી પદાવલી સાંભળો તો ખ્યાલ આવશે કે કોમળ સ્વરો અને તીવ્ર સ્વરો એ કાંઈ ફક્ત સંગીતનો જ વિષય નથી ! કાવ્યના અર્થને પ્રગટાવવામાં આ ધ્વનીઓનો પણ લાભ લેતાં આવડવું જોઈએ.

ત્રીજું દરદ જરા આકરું છે…આ દરદ લગભગ ક્રોનીક જેવું, આયુર્વેદ જેને કષ્ટસાધ્ય કહે છે તેવું છે !! વીયોગના અતીરેકથી કોઈનું કાળજું ઠરી ગયું છે ! કાળજાની ઉષ્મા પર રાખ વળી ગઈ છે. સર્જકે અહીં પણ ગામઠી શબ્દપ્રયોગ કર્યો છે. દેવતા જ્યારે ઠરવા લાગે ત્યારે તેના પર રાખ વળવા લાગે છે. આ કજળી જવાની સ્થીતી સારી નથી તેમ સાવ આશા છોડી દેવા જેવી પણ નથી…કષ્ટસાધ્ય જોકે ખરી ! 

આ દર્દની દવા માટે કવીએ જે ઉપાય બતાવ્યો છે તે આ કાવ્યનું મજાનું પાસું છે. કેસુડાનાં ફુલો જેમણે જોયાં છે તેમને ખબર છે કે કેસુડાની ડાળી સાવ કાળા રંગની હોય છે ને એનાં પર તીવ્ર કેસરી રંગનાં ફુલો (જેના મુળમાં પણ કાળો જ રંગ હોય છે), તે બળી ગયેલી પૃષ્ઠભુમી પર ધગધગી રહેલા અંગાર જેવા શબ્દોથી ચીંધાયેલાં કેસુડાનાં ફુલો માટે કેવી સચોટ યોજના બતાવી આપે છે ! કોઈના કજળી ગયેલા કાળજાને ફરી ધગધગતું કરવા માટે લુહારની ધમણનો અગ્ની જોઈએ !! કવીએ પલાશપુષ્પોની રંગલીલાનો અહીં ભરપુર ઉપયોગ કર્યો છે. 

ને છેલ્લે કાવ્યમાંની નાયીકાના મનોભાવનું અત્યંત સુંદર નીરુપણ થયું છે. વીરહની અસરને તાદૃષ્ય કરીને સર્જકે અપલક પાંપણે પીયુની રાહ જોતી નાયીકાને લગભગ કોમામાં હોય તેવી સ્થીતીએ બતાવી છે ! પાંપણો સ્થીર થઈ જાય તે કઈ સ્થીતીએ નાયીકા પહોંચી ગઈ છે તે બતાવે છે. 

ને એ જ પાંપણને પાંદડાના રુપકથી રજુ કરીને કવીએ કલાની બીજી તરકીબો પણ પ્રગટ કરી છે…કાવ્ય જેવી અત્યંત નાજુક કલાને પ્રગટ કરવામાં કેટલી કાળજી સર્જક લઈ શકે તેનું માપ આ પંક્તીઓમાં નીકળે છે. પાંપણના પાનને ફરકાવવાની અત્યંત નાજુક કામગીરી કરવાની છે. સહેજ પણ ધક્કો વાગે તેવા ઉપચારો અહીં જોખમી પુરવાર થઈ શકે છે. દરદ નાજુક સ્થીતીએ છે, દવા પણ એવી જ હોવી જોઈએ. કયો ઉપચાર સુચવાયો છે અહીં ? જુઓ –

“ચંદનના વગડેથી વરણાગી વાયુની લહરી એકાદ લઈ આવે” બીજું કંઈ જ ન કહેતાં ફક્ત એક જ શબ્દ તરફ આંગળી ચીંધું છું…..“વરણાગી વાયુ”માંનું વિશેષણ જુઓ. વરણાગી શબ્દની પસંદગી આ રોગના ઉપાય તરીકે કેટલી અકસીર દવા બની જાય છે !! (વગડો શબ્દ મને થોડો ખુંચ્યો છે. વનરાઈ જેવો શબ્દ ત્યાં હોત તો સારું હતું.)

ભાવકો ! કાવ્યમાં સર્જક જે લીલાઓ કરે છે તેનો આ તો એક નમુનો છે. કાવ્ય એટલે શબ્દોને આડેધડ ગોઠવી દેવા એમ નહીં. કોઈ સારો વીચાર કે વીચારની ચમત્કૃતીને કાવ્યમાં ઠઠાડી દેવાથી કાવ્ય બનતું નથી…અરે કાવ્યને તો “બનતું” પણ ન કહેવાય. એ તો આપોઆપ સર્જાઈ જાય છે. શબ્દો, પદાવલીઓ, અલંકારો તો આપોઆપ સર્જકને વશ વર્તીને ચાલ્યા આવે છે. 

આજે આટલું. વસંત–ગ્રીષ્મનાં કાવ્યોમાં વધુ હવે પછી.

અશોક મોઢવાડીયાને જન્મદીવસે….

મીત્ર શો, અશોક–શો !!

[ ashokmodhvadia@gmail.com ]

 (ઉપજાતી)

ત્યાં હોય ના શોક કશો– અશોક જ્યાં;

જ્યાં સ્નેહને રોક ન કો’– અશોક ત્યાં.

વ્યાપાર–વીદ્યા  સહુ   સાથ સાથ હો,

એ સ્થાન જો કોઈક હો, અશોક  ત્યાં.

જ્યાં  ગીરની ને  ગીરનારની બધી

વાતો તણું સ્થાનક હો, અશોક ત્યાં.

કો આંગણું બોગનબીલ્લીખીલ્લીને

હો ફાવતું–ભાવતું જો, અશોક ત્યાં.

બ્લૉગે લખી ‘વાચનયાતરા’ ભલે,

યાત્રા હવે લેખન ક્હો, અશોક ! ત્યાં.

 અમે, તમે, આપણ સૌ મળી કહો,

અ.મો. શતાયુ થઈ રહો, અ–શોક હ્યાં !

– જુગલકીશોર.

( “સેવાનામ્ પ્રીય અશોક”નો જન્મદીવસ તા. ૦૯, ૦૫, ૧૩ના રોજ આવે છે….આ વખતે પહેલી જ વાર તીથી અને તારીખ બન્ને રીતે જન્મદીવસ સાથે થયા છે ! આપણા સૌનાં આગોતરાં અભીનંદનો ! )

અમદાવાદમાં અગત્યની સભા

આપણા સૌના જાણીતા લેખક (બ્લૉગ ‘મારી બારી‘),

દીલ્હીના શ્રી દીપકભાઈ ધોળકિયા
તથા

ગુજ. વીકીપીડીયાના પ્રબંધક, લંડનથી આવેલા, ખાડીયા અમદાવાદના મુળ વતની

શ્રી ધવલભાઈ સુધન્વા વ્યાસની
ઉપસ્થીતીમાં એક વીશેષ સભાનું આયોજન વેબગુર્જરીના ઉપક્રમે થયું છે.
સમય અને સ્થળની  વીગતો આ પ્રમાણે છે :

૧૮મીને સાંજે ૪થી ૬ દરમીયાન

શ્રી વલીભાઈના પુત્ર શ્રી અકબરભાઈની ‘હોટેલ સફર ઈન’, મીરઝાપુર રોડ,

જનસત્તાના જુના પ્રેસ સામે, અમદાવાદ.

સંપર્ક :

શ્રી વલીભાઈ : 9327955577, શ્રી અકબરભાઈ : 9825009077, શ્રી જુગલકીશોર : 9428802482