2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 25,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 9 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Categories: આપણાં સૌનું | 1 Comment

આપના બ્લોગ–હોમપેજને અંગ્રેજી જેવી કાળજીથી શોભાવો !

મારા બ્લોગ પરના છેલ્લા લખાણ પર શ્રી દીપકભાઈની કોમેન્ટ આવી એનો જવાબ ત્યાં જ આપવા માટે લખાણ તૈયાર કરી દીધું ને પોસ્ટીંગને જેવો ક્લીકવા ગયો કે થયું,  જે વાત મારે દાંડી પીટીપીટીને કરવી છે તેને શા માટે કોમેન્ટ–ખુણે મુકી રાખવી ? એને શા માટે પોસ્ટરુપ ન આપવું ?

એટલે એ લખાણ સૌ કોઈને માટે આજે અહીં મુકીને એને આપ સૌ તરફની મારી પ્રાર્થના રુપે મુકું છું. આશા છે મારી આ ધખના આપ સૌને પહોંચશે.

–––––––––––––––––––––––––––––––

ભુલ વગરનાં હોમપેજ

બન્યું પણ એવું ને, કે મેં બ્લોગને બદલે મેઈલથી સંપર્કમાં રહેવાનો ને ફક્ત ભાષાનું જ કામ કરવાનો નીર્ણય લીધો ને જેવો અમલમાં મુક્યો કે તરત જ ચાર ઠેકાણેથી કામ સોંપાયું !

૧) અશોકભાઈએ ભેટ આપેલાં પુસ્તકોનું રસદર્શન; ૨) ઉત્તમભાઈએ ગ્રુપ બનાવવાનું કહ્યું કે જે મારું ખાસ કાર્ય જ છે;  ૩) નીલમબહેને એમના એમ. એ.ના અભ્યાસમાં જરુરી એવા ચાર શબ્દો સમજાવવા માટે ઓરીસ્સાથી ફોન કર્યો ને ૪) “હવે પછી અમારા બ્લોગ ઉપર તમારાં લખાણો મુકજો” એવાં નીમંત્રણો પણ મળ્યાં !!

મારો વીચાર બ્લોગપોસ્ટને બંધ કરવાનો છે. પણ કોઈને ઉપયોગી થવામાંથી ભાગવાનો નહોતો. દીપકભાઈએ મને ઠીક ઠીક ઓળખી નાખ્યો જણાય છે. શીક્ષકત્વ તો આ વર્ષોમાં કરતો રહ્યો છું. એને કારણે ઠીક કહી શકાય એવું કામ થયું છે. એટલે જ તો મારાં લખાણોની યાદી મેં બ્લોગ પર છુટ્ટી મુકી દીધી છે. (આજે મારી પોસ્ટો પર પુષ્કળ વાચન થયાની જાણ મને થઈ છે.)

પણ મારે મારાં વાચકોને જ નહીં, નેટ પરનાં સૌ ગુજ. વાચકો–લેખકોને હાથ જોડીને વીનંતી કરવી છે કે –

દરેક બ્લોગર પોતાના બ્લોગ પરનું હોમપેજ શુદ્ધ ગુજરાતીમાં રાખે. અંગ્રેજી શબ્દોની જરુર હોય તે ભલે રાખે, પણ જેમ અંગ્રેજીમાં ભુલ વગરનું રાખવાનું ફરજીયાત છે તેમ ગુજ.નું પણ ફરજીયાત બનાવે.

મેં ઘણા બ્લોગરોનાં હોમપેજ સુધારી આપ્યાં છે. આજે પણ દાઝપુર્વક એ કામ કરી જ આપવું છે. મને “પ્રથમ દસ” બ્લોગમાં બેસાડનારાં વાચકોનું ૠણ હું એ રીતે ચુકવવા માગું છું.

મોડી રાત સુધી બેસીને હું આ કામ કરવા માગું છું. મને ઘણી વાર શરમ થાય છે, બ્લોગનાં હોમપેજો પર જ પારાવાર ભુલો જોવાની ! મીત્રો, ઓછામાં ઓછું તમારા બ્લોગ–હોમપેજને તો અંગ્રેજી જેવી નીષ્ઠાથી પ્રગટાવો !!! ત્યાંય ભુલભરેલા ગુજરાતીનું પ્રદર્શન આપણને શી રીતે પોસાય ?!

એક બીજી વાત, આત્મશ્લાઘા લાગે તો ભલે લાગે, પણ કહેવી જ છે કે, મારાં લખાણોમાંથી અનુસ્વાર સુદ્ધાંની ભુલ શોધીને મને બતાવો…

એનાથી બે ફાયદા થશેઃ એક, મને મારી ભુલો જાણવા મળશે અને બે, વાચકોને એટલી કસરત થશે જેનો લાભ ભાષાશુદ્ધીને જ થવાનો છે. સાર્થ જોડણીકોશ મુજબ જ આપ સૌ લખો ને એવું જ વાંચો તેવું ઈચ્છું છું. (મારાં લખાણોમાં હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ નથી હોતાં તે જણાવવાની ભાગ્યે જ જરુર છે…મને આટલા પુરતું ક્ષમા આપશો. અમે લોકો ભાષાવીજ્ઞાનને જ અનુસરી રહ્યાં છીએ. આ વાતનો પ્રચાર કરવો નથી…)

હું સાર્થ અને ઉંઝા બન્નેમાંથી કોઈ પણ લખાણને વાચક–લેખકની સુચના મજબ સુધારી આપીશ…પણ મહેરબાની કરીને કમસે કમ હોમપેજને તો ભુલ વગરનું જ રાખવાનો આગ્રહ રાખો અને એ માટે મારી મદદની જરુર હોય તો હુકમ કરો…સેવક હાજર હશે !!

Categories: આપણાં સૌનું | 53 Comments

નવા વરસે એક નવી વાત

મારાં આત્મીય વાચકમીત્રો !

*   નેટ પર લખતાં જે અનુભવો થયા તેમાંનો એક અનુભવ કહે છે કે, મૌલીક લખાણોની ગુણવત્તા ઘટે છે;

*   બીજો અનુભવ કહે છે કે, આ કાર્ય એક વ્યસનસમ બની જતાં વાચનપ્રવૃત્તીને ઠેસ પહોંચે છે;

*   નેટ પરનું મુખ્ય કાર્ય ભાષાસેવા હતું તેમાં મૌલીક સર્જનો આગળ નીકળી જતાં હોઈ મુળ કામને બાધા થતી અનુભવાય છે –

–   આના અનુસંધાને હવે થાય છે કે ભાષાકાર્ય કે જેને ધર્મ ગણ્યો છે, ફક્ત એને જ હાથ પર રાખવો. ને તેય વળી કોઈને ઉપયોગી થવાતું હોય તે પુરતું જ; એટલે બ્લોગકામ સ્થગીત કરીને ફક્ત ને ફક્ત ઈમેઈલ મારફતે થતા રહેતા સંપર્કો જ રાખીને જ્યાં જરુર હોય ત્યાં ભાષા–સાહીત્યનાં કાર્યોમાં મદદરુપ કામગીરી જ હાથ પર રાખવી.

–   એટલે મારા આ બ્લોગ પર કશું નવું ન આવે તો તેને સહજ ગણવું.

–   મારાં આજ સુધીનાં લખાણોમાંનું કાંઈ કોઈને ઉપયોગી જણાય અને તેઓ તેનો ઉપયોગ કરવા ધારે તો મને જાણ કરીને પોતાની રીતે પ્રસીદ્ધ કરી શકે છે. ભાષા અને સાહીત્યની સેવા એ રીતેય થઈ શકે તો ગનીમત ગણીશ. (ઈમેઈલથી સંપર્ક તો રહે છે જ. <jjugalkishor@gmail.com>,  )

–    આપનો, – જુ.

Categories: Uncategorized | 12 Comments

નટનો અનુભવઃ ભાવ કે રસ ?

કેશોદના શાળાનાટકનું એક દૃષ્ય.

ભાવ અને રસઃ પાત્રો અને પ્રેક્ષકોમાં.                                           – જુગલકીશોર.

સાહીત્યમાં કે કલાના અન્ય કોઈ સ્વરુપમાં માનવમનના ભાવોનું નીરુપણ સર્જકોની ઉચ્ચ કલાશક્તીને આધારે પ્રગટે પછી વાચકો કે પ્રેક્ષકોના મનના એ જ ભાવોનું રુપાંતર રસમાં થાય. ચીત્રમાં શું, કે શીલ્પમાં શું; વાર્તામાં શું, કે કાવ્યમાં શું કે પછી નાટકમાં…પણ સર્જક દ્વારા પ્રગટેલા માનવમનના ભાવો જ્યારે ભાવક પાસે પહોંચે છે ત્યારે એ રસ બની રહે છે ને એટલે એનું વારંવાર પાન કરવા મન થયા કરે છે. ભાવ એ પોતીકી બાબત છે જ્યારે રસ એ સાર્વજનીક બાબત છે. અંગત બાબતે માણસને થાય તે દુઃખ–શોક કે રતી કે ક્રોધ કે આશ્ચર્ય કે જુગુપ્સા વગેરે…પરંતુ જ્યારે કલાના કોઈ સ્વરુપ મારફતે કે કલાના કોઈ માધ્યમથી તે સામે આવે ત્યારે એ અંગત હોતા નથી બલકે સૌના હોય છે (સૌમાં એ પોતે પણ શામેલ હોય જ છે). 

હવે નાટકનો દાખલો લઈને થોડો કલ્પનાવીહાર કરીએ –

નાટકમાં સ્ટેજ પર પાત્રો હોય છે અને સામે હોય છે પ્રેક્ષકો. હવે જોવા જઈએ તો પ્રક્ષકો છે તે તો ભાવકો છે. તેઓની પાસે જ્યારે કલા દ્વારા સંદેશ પહોંચે છે ત્યારે તેનું રસરુપાંતરણ થાય તે સહજ છે. (અહીં યાદ રાખવાનું કે રસરુપાંતરણ થવા પાછળ નાટકકારની ઉચ્ચ કલાશક્તી, નાટકના નટોની ઉચ્ચ કલાશક્તી, સ્ટેજની યોગ્ય ગોઠવણી વગેરેના ઉપર રસનીષ્પત્તીનો ઘણો આધાર હોય છે.)

પરંતુ નાટક ભજવનારા અભીનેતાઓ માટે તે રસરુપ હોય છે કે ભાવરુપ ? અને કઈ રીતે / શા માટે ? 

કોઈ કહેશે ?

Categories: સાહીત્ય વીષે | 5 Comments

કરુણ સાહીત્ય પણ કેમ વારંવાર વાંચવું ગમે છે ?

                                                                                                 – જુગલકીશોર.

ભારતીય કાવ્યમીમાંસામાં કાવ્ય અર્થાત્ સમગ્ર સર્જનાત્મક સાહીત્યના મુખ્ય હેતુ બે કહ્યા છે : 1)આનંદ અને 2) ઉપદેશ. ઉપદેશની વાત બાજુ પર રાખીને જોઇએ તો આનંદ એ કોઇપણ ઉત્તમ રચનાનું અંતીમ પરીણામ છે. કાવ્ય કે સાહીત્યમાં નવ રસોની જે વાત આવે છે તે બધાએ રસો આપણા સ્થાયી ભાવોના પરીવર્તનમાંથી જન્મે છે. સમગ્ર માનવજીવના નવ ભાવો છે; દુનીયાને ગમે તે છેડે પણ તે સરખા જ હોય છે. સર્જક એ ભાવોને પોતાની રચના દ્વારા જગાડે છે. તેથી વાચકને મઝા પડે છે. પણ મઝા એ કાવ્યનો હેતુ નથી.

માનવના મનમાં પડેલા ભાવોનું જ્યારે સાધારણીકરણ થાય છે ત્યારે જ કાવ્યનું લક્ષ સીધ્ધ થાય છે, કારણ કે સાધારણીકરણ થાય તો જ ભાવોનું રસમાં પ્રગટીકરણ કે પરીવર્તન થાય છે. આ પ્રક્રીયામાંથી જ આનંદ પ્રગટે છે; પણ આ આનંદ તે દુન્યવી આનંદ નથી. જેમ કે દુ:ખ એ દુનીયાભરના લોકોનો સ્થાયીભાવ છે અને કવી જ્યારે કાવ્ય દ્વારા વાચકમાં શોકનો ભાવ જગાડે છે ત્યારે તે દુ:ખ રહેતું નથી પણ કરુણ રસમાં પરીવર્તીત થયેલો આનંદ હોય છે. નહીંતર દુ:ખદ ઘટના કોઇનેય વારંવાર સાંભળવી ન ગમે ! પણ કરુણરસનું સાહીત્ય વારંવાર માણવું ગમે. આનું નામ જ ભાવોના સાધારણીકરણ દ્વારા થયેલો આનંદ. અતી ઉત્તમ કોટીનું સાહીત્ય જે પરમ અને દીવ્ય આનંદ આપે છે તેને કાવ્યશાસ્ત્રમાં બ્રહ્માસ્વાદસહોદર આનંદ કહ્યો છે. આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થૈને વીગલીત થૈ જાય છે, અર્થાત ઓગળી જૈને એક જ અનુભુતી કરાવે છે : કેવળ અને કેવળ આનંદની અનુભુતી !! આ આનંદાનુભુતીને જ વીગલીતવેદ્યાંતરઆનંદ કહે છે !! સાહીત્યનું આ જ લક્ષ્ય છે.

આપણું સાહીત્ય આ ક્ક્ષાના આનંદને વહેંચતું હતું એટલે જ એ શાશ્વત બન્યું, બાકી તો ફટકીયા મોતી જેવું ઘણું સર્જાતું હોય છે.

Categories: સાહીત્ય વીષે | 2 Comments

બે રચનાઓની વાત સંપુર્ણ.

                                                                                             – જુગલકીશોર.

(નોંધઃ નવેમ્બર માસમાં મારા બ્લોગકાર્યને પાંચ વરસ પુરાં થયાં ! આ સમય દરમીયાન મેં જે પોસ્ટ્સ પ્રગટ કરી તેનો હીસાબ વાચકો સમક્ષ મુકવાનો લોભ થતાં તેને બાજુ પરના બોક્સ પર મુક્યો છે. આટલું કામ થયું છે >>> >>> )

છેલ્લા અંકમાં એક વીધાન કરતી વેળા મને શંકા હતી તે (સારું કર્યું મેં કૌંસમાં એ શંકા બતાવી હતી !) શ્રી પંચમે કરેલી સ્પષ્ટતાથી પાકી થઈ. એમના છેલ્લા શેરમાં મેં કહેલું કે તંદ્રા પણ જ્યાં શક્ય નથી ત્યાં નીદ્રા તો ક્યાંથી આવવાની ? ને નીદ્રા જ ન હોય તો પછી સ્વપ્ન પણ ન જ હોય…પણ હવે – ખાસ કરીને એમાંના ‘છતાં’ શબ્દને ધ્યાને લઈને – મારી વાતને સુધારીને, છેલ્લા શેરનો આવો અર્થ કરવો રહ્યોઃ તંદ્રાને અશ્રુઓ ખાળશે છતાં, જો અને જ્યારે પણ સ્વપ્ન આવશે ત્યારે તો તેની ઝડી જ વરસવાની છે ! ને એ સ્વપ્નવર્ષા જે સ્મરણો લાવશે તે સળગાવનારાં જ હશે. વર્ષા શબ્દ પાણી સાથે સીધો જોડાયેલો હોઈ પ્રથમ નજરે તો ઠંડક આપનાર બને પણ સમગ્ર ગઝલનું વાતાવરણ જાણીતું છે તેથી આ સ્વપ્નવર્ષા વીરહના અગ્નીની હોઈ સળગાવનારી જ હોય તે સાવ સહજ છે. આટલો એક સુધારો.

હવેના આ અંતીમ અંકમાં જોઈએ બન્ને રચનાઓની કેટલીક મજાની વાતો. જુઓ, કેટલાક શબ્દપ્રયોગો કેવા મજાના છે –

મંદ પણ મઘમઘતો પવન, ફગફગતાં ફીણ, પાંખના ફફડાટની પાછળ ડુબનારા કલરવ, રુપની સોબત, સળગનારાં સ્મરણો; ભીંજાતા ને તડપતા ચકોર, ગુંજતો કલરવ. ‘રુપથી રુપેરી બનેલી’ (અથવા ‘રુપેરી રુપ’વાળી) નદી, સ્મરણને હચમચાવી નાખનારાં રેતમાંનાં પગલાં…વગેરે !!

એક બીજી પણ વાત. સપનાજીની રચનાનું શીર્ષક ‘સ્મરણો લાવશે’ને મીલનશૃંગારની જેમ જ વીપ્રલંભશૃંગારમાં પણ માણી શકાય તેમ છે. જેમ કે ‘ફુલ પરની ઓસ’ની ક્ષણીકતા, ‘તડપતા ચકોર’, ક્ષણભંગુર એવાં ‘રેતનાં પગલાં’ વગેરે વાચકને વીરહની વેદના જગાડનારા પણ બની શકે તેમ છે.

કેટલીક રસ પડે તેવી બાબતોનેય સંભારી લઉં –

પ્રથમ (શ્રી પંચમની રચના બાજુમાં પ્રથમ ક્રમે મુકી હોઈ) રચનામાં ફુલની પાંદડીઓ છે તો બીજી રચનામાં ઓસકણ બતાવ્યાં છે; પ્રથમમાં ચકોરી છે ને એકલી છે જ્યારે બીજી રચનામાં ચકોરની જોડી હોય તેવો નીર્દેશ છે પણ એકબીજાંથી દુર હોય તેવું સ્પષ્ટ જણાય છે; વળી “ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર” એ પંક્તીમાં ‘આ’ અને ‘એ’ શબ્દો દ્વારા સર્જક આપણને હાથ લાંબો કરીને બતાવતા હોય તેવો તાદૃશ્ય અનુભવ કરાવે છે. “જુઓ, આ રાત !” રાત સાવ સામે છે તેથી ‘આ’ પરંતુ ચકોરયુગ્મમાંનું એક દુર છે તેથી ‘એ’ લખાયું છે !! આ શબ્દપ્રયોજન બહુ જ મજાનું ને રચનાની સુક્ષ્મ ખુબી બતાવતું મને જણાયું છે. તો “જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,” પંક્તીમાં બોલીનો લય સરસ રીતે ગુંથાયો છે.

‘સપના’ શબ્દ સર્જકના નામરુપે પણ છે તેથી છેલ્લા શેરમાંના તખલ્લુસરુપે ઓળખાવી શકાય તેવું હતું પરંતુ સપનાંમાંનું બહુવચન એના પર અનુસ્વાર મુકાવનારું હોઈ તે શબ્દ તખલ્લુસ બનતો રહી જાય છે !! અનુસ્વારને કાઢી શકાય તેમ નથી એટલે એ લાભ જતો કરવો પડે છે !

પ્રથમ રચનામાં “ફૂલ પાંદડીઓ”ની વચ્ચે ‘ની’ અધ્યાર છે. આવા પ્રત્યયોની ગેરહાજરી વેળા બન્ને શબ્દોને સંયુક્ત રાખવાના હોય છે જેમ કે “ફૂલપાંદડીઓ” અથવા “ફૂલ–પાંદડીઓ”.

બીજી રચનામાં છંદ શીથીલ હોવાની શંકા છે. એને તપાસવાનો સમય ન મળવાથી એ વાચકો પર છોડું છું.

*****   *****   *****

આજે આ ત્રણ લેખો દ્વારા થયેલું વીવેચન શાસ્ત્રીય નથી. મારી વીવેચનાને મેં ક્યારેય શાસ્ત્રીય ગણાવી નથી..એ ફક્ત રસદર્શનરુપ જ માનું છું. એટલે એમાંની મારી ક્ષતીઓને પણ ચર્ચવી જોઈએ. મારો હેતુ તો હંમેશાં ભાષા અને સાહીત્યની વાતો કરવાનો જ હોય છે…એમ કરીનેય જો આપણે એને સક્રીયતાથી માણીએ !!

“લખો, લખો, લખો”વાળી વાતના અનુસંધાનમાં જ આ રસદર્શન કરાયું છે.એટલે લખવાની પ્રેરણા પણ જો આ ત્રણ લેખોમાંથી કોઈને મળશે તો તે મારી ધન્યતા જ હશે.

અસ્તુ.

Categories: રસાસ્વાદ :, lekho | 6 Comments

બે રચનાઓની સરખામણીમાં બીજો હપતો

                                                                             – જુગલકીશોર. 

સીક્કાની બે બાજુવાળી વાતના બીજા હપ્તાની શરુઆતમાં આજે એક નવું કામ કરીએ – કોઈની નજર ન લાગી જાય તે માટે આ કાવ્યોને ‘કાલા ટીલા’ લગાડવાનું કામ !!

બન્ને રચનાઓના લખાણમાંનું મુખ્ય તત્ત્વ ‘સ્મરણો’ને બન્ને સર્જકોએ નાન્યતરમાં નથી ગણ્યાં ને એટલે તેમણે બધી જ જગ્યાએ “તારાં” જ સ્મરણોને બદલે ‘તારા જ સ્મરણો’ લખીને તારા ઉપર આવતો ચાંલ્લો જતો કર્યો છે ! આ અનુસ્વારવાળી ક્ષતી અન્ય સ્થાને પણ છે જ. જેમ કે, પંચમની રચનામાં બધા જ કાફીયા પર અનુસ્વાર નથી. જ્યારે સપનાજીમાં પણ બધા જ કાફીયા ઉપરાંત અજવાળા અને મજાના પર પણ અનુસ્વાર નથી….અને તેથી જ, હજી પણ આગળ જેનાં રુપને રસથી મુલવવાનાં છે તેને ‘બુરી નજર’થી બચાવવા માટે આરંભમાં જ આ “ટીકા” (દોષદર્શન અથવા કાળું ટપકું એમ બન્ને અર્થમાં !) કરી લઉં છું.

હવે પાછા ફરી હતા તે જ સ્થાને આવી જઈને રચનાઓને માણીએ –

આગળના લેખમાં આપણે જોયું કે, પંચમના શેરોમાં એક સૂક્ષ્મ ક્રમ જળવાતો જોવા મળે છે જ્યારે એટલા પ્રમાણમાં સપનાજીની રચનામાં તે નથી.

મને જે ખાસ આકર્ષણ થયું તે આ બન્ને રચનાઓમાંના દોનધ્રુવ જેવા ભાવોની સફળ રજુઆત. બન્ને સર્જકોએ પોતપોતાનું કાર્ય એટલી સહજતાથી ને સફળતાપુર્વક કર્યું છે કે સલામ કરવા મન થાય જ. એકપછી એક આપણે તે જોઈએ –

પંચમના દરેક શેરમાં સ્મરણોને જગાડનારાં પરીબળો સર્જકને દઝાડનારાં બતાવાયાં છે તો સપનાજીના દરેક શેરમાં લગભગ એ જ બધાં પરીબળો સર્જકને શાતા આપનારાં બતાવાયાં છે !! આ કેવી તાકાતવાળી સર્જકશક્તી છે તે જુઓ…!! એક સરખાં પરીબળો એકને દઝાડે છે તો બીજાને શાતા આપે છે..છેને સર્જકશક્તીનો ચમત્કાર ? હવે વાચક–ભાવક તરીકે આપણે એ નક્કી કરવાનું છે કે, કયા સર્જકની આ શક્તી વધુ ખીલી ઉઠી છે ? શ્રી પંચમ પરીબળો પાસેથી વીપ્રલંભી કાર્ય સીદ્ધ કરે છે તો સપનાજી એ જ પરીબળો પાસેથી મીલનનો અનુભવ કરે છે. નક્કી કરવું સહેલું તો નથી જ છતાં લાગે છે કે સપનાજીનું કાર્ય વધુ કઠણ હતું. આ બધાં પરીબળો એવાં છે કે જે સર્જકને વીરહાનુભવ જ કરાવે. આવામાં મીલનનો અનભવ કરીને એને અભીવ્યક્ત કરવો તે અઘરું હતું. આવા સંજોગોમાં વીરહ જ જલદી ને સહેલાઇથી પ્રગટાવી શકાય.

છતાં સપનાજીની નોંધને આધારે કહી શકાય કે પંચમજીએ પ્રથમ રચનાને ઝીણવટથી તપાસીને એક રુપ આપવામાં ફાળો આપ્યો હતો તેથી મીલનશૃંગારની અનુભુતી તો એમણે રચનાના સંમાર્જનવેળા કરી જ હોય. આ પછી જો તેઓ એને જ રીપીટ કરે તો તો કૉપીપેસ્ટ જ થાય. વળી પંચમ જેવા સર્જકની તો વીશેષતા જ એમાં છે કે સાવ ઉફરી ચાલ ચાલીને તદ્દન સામા છેડાની અનુભુતીને જ મેદાનમાં ઉતારવી ! અને સાચ્ચે જ તેમણે મેદાન મારી જ લીધું છે.

બન્ને સર્જકો પોતાની આ ‘દોનધ્રુવ‘ અભીવ્યક્તીમાં સફળતાને વર્યા છે એમાં શંકા નથી. એને માટે બન્નેએ પ્રયોજેલા શબ્દોને તપાસીશું તો ખ્યાલ આવી જશે કે બન્નેએ કેવી ટેકનીક અપનાવી છે. એક જ દાખલો લઈને જોઈ જોઈએ. જુઓ –

પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
ને ક્ષિતિજની રેખ અંધારાં જ સ્મરણો લાવશે!

પંચમને બધા કલરવો ડુબાડવાના છે એટલે એણે પાંખોનો ફફડાટ બતાવીને કલરવના ધ્વનીની લીટી નાની કરી નાખી છે અને ફફડાટને ફફડતા હૈયાનું પ્રતીક બનાવી દીધો છે !! જ્યારે સપનાજીને મીલનશૃંગાર ગાવાનો હોઈ એમણે પક્ષીઓનો કલરવ ભુંસ્યો નથી બલકે એને (હૈયાની મુક્ત હવામાં) ગુંજતો બતાવ્યો છે ! અને પ્રેમનાં ગીતનું કારણ એમને બનાવવાના હોઈ ગીત અને ગુજનનો મજાનો સુમેળ સાધી બતાવ્યો છે !!!

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો ,પ્રિતમ,

પ્રેમનાં એ ગીત હા,તારાં જ સ્મરણો લાવશે.

બીજો એક શેર પણ જોઈ વળીએ –

જોઉ છું હું  રાહ, મારી આંખ પળભર  જો મળે,

આજ સપનાં આંખનાં તારાં જ સ્મરણો લાવશે.

સપનાજીએ કુશળતા વાપરીને વચ્ચે જો મુકયો છે. “પળભર પણ જો મારી આંખ મળશે તો” કેવી કેવી ખુબીઓ આ રચનામાં દર્શાવાઈ છે !! આંખ ન મળવાનાં કારણો તો ઉપર ઘણાં આપ્યાં જ છે. થલે ને મીલનશૃંગારનું કાવ્ય હોય, પણ મીલનની આશ પણ કાંઈ ઓશી અપલખણી હોતી નથી…એ પણ આંખને મળવા દેતી નથી. એટલે છેલ્લા શેરમાં આગળનાં કારણોને ગાંઠે બાંધેલાં રાખીને એમણે ‘જો’ને આગળ કર્યો છે. પણ જો આંખ મળશે…..તો ?

તો તો પછી આજનાં સપનાં તારાં જ સ્મરણો જ લાવશે એમાં શી શંકા વળી ?

જ્યારે પંચમના શેરમાં સ્થીતી જુદી જ છે. કહે છે –

અશ્રુ-ભીની આંખ હરનિશ ખાળશે તંદ્રા છતાં,

સ્વપ્નની વર્ષા સળગનારાં જ સ્મરણો લાવશે!

પંચમનેય પાછલા શેરોના અનુભવે અશ્રુ તો હાજર જ છે. વળી એને તો વીરહનું બહાનું પણ છે. હર્ષનાં આંસુ કદાચ વીરહનાં આંસુ જેટલાં ટકાઉ ન પણ હોય ! આ શેરમાંનાં આંસુ એટલા તાકતવર છે કે એ તંદ્રાનેય નજીક ઢુંકવા દેવા રાજી નથી, તો નીદ્રાનો તો ચાન્સ જ ક્યાંથી હોય ? ને છતાં સર્જકે સ્વપ્નાં (અને તેય સપનાંની વર્ષા !!)ને કલ્પ્યાં છે. અહીં સર્જક જાણે થાપ ખાઈ જાય છે ! તંદ્ર્નીય જ્યાં શક્યતા ન હોય ત્યાં સ્વપ્નાંને ઢસડી લાવનારી નીદ્રાની ગુંજાઈશ જ ક્યાં હતી ?! (જો મારી આ શંકા સાચી હોય, એમાં કોઈ સમજફેર ન હોય તો મને કહેવા દો કે કાવ્યસર્જનમાં જે નકશીકામ થવું જોઈએ તે અહીં છેલ્લા શેરમાં ચુકાઈ ગયું છે. સર્જકમાં રહેલો વીવેચક અહીં ગડથોલીયું ખાઈ ગયો જણાય છે.

પણ એક ખાસ વાત કહીને આ અંકને અટકાવીશું.

શ્રી પંચમે સપનાજીની રચનાનું સંમાર્જનકાર્ય કર્યાનું નોંધમાં અપાયું છે. એને આધારે કહી શકાય પંચમે, મેં આગળ જણાવ્યું હતું તેમ, સાવ સામા છેડાનો ભાવ અને તે પણ પ્રથમ રચનાની જ પેરેલલ પરીસ્થીતીઓને સંમુખ રાખીને મીલનશૃંગારની સામે વીપ્રલંભશૃંગારનો સુંદર અને સફળ પ્રયોગ કર્યો છે. આ એમની અનુભવી હથોટીનું સુફળ છે.

એકબે પ્રયોગો મેં પણ કર્યા હતા. એક ગઝલ મેં લખી. એનું શીર્ષક હતું “શું વાંધો છે ?” પછી એ આખી રચનાની બાબતોને સંમુખ રાખીને સાવ સામા છેડાની વાત કહેતી બીજી ગઝલ લખી જેનું શીર્ષક હતું “ હા, વાંધો છે !” આમ ઉપરાઉપરી બે ગઝલ લખ્યા પછીય મને સંતોષ ન થયો એટલે આ જ વીષયને ધ્યાને રાખીને મેં એક છંદોબદ્ધ સોનૅટ લખ્યું !! આ ત્રણેય કૃતીઓને રસીકોએ વાંચીને ખાસ ભારપુર્વક વીવેચવાની જરુર છે. આવા પ્રયત્નોમાં રહેલી ખામીઓ–ખુબીઓની છડેચોક ચર્ચા થવી જોઈએ. એનાથી સર્જનકાર્યને ખુબ જ લાભ થઈ શકે છે. એ ત્રણેય રચનાઓની લીંક્સ ઉપરના અનુક્રમે અહીં આપીને આજના આ અંકને અલ્પવીરામ આપીશ.

http://jjkishor.wordpress.com/2008/07/15/gazal-2/

http://jjkishor.wordpress.com/2008/07/19/gazal/

http://jjkishor.wordpress.com/2008/07/29/kavitadan/ (આમાંનું બીજું કાવ્ય જોવા વીનંતી)

Categories: રસાસ્વાદ :, lekho | 3 Comments

એક સીક્કાની બે બાજુ જેવી બે રચનાઓ !!

                                                                                             – જુગલકીશોર.

(નોંધઃ આ લખાણના સંદર્ભ માટે જમણી બાજુએ મુકેલી બન્ને રચનાઓ નજર સામે રાખશો.)

શૃંગાર રસનાં એક સાથે બબ્બે કાવ્યો (ગઝલો) એવી રીતે આંખ સામે આવી ચડે જે જીવનમાં ક્યારેક બની જતી ઘટના જેવાં બની રહે ત્યારે શું કહેવું, શું લખવું એવી મીઠી મુંઝવણ વળગી જાય ! શ્રીપંચમની એક રચના એમના બ્લોગ પર જેવી પ્રગટી કે તરત જ મેં તો કોમેન્ટ લખી નાખી પણ વાંસેવાંસે સપનાજીની કોમેન્ટ વાંચીને ને એમાંય એમણે મુકેલી પોતાની અન્ય રચનાને પણ જોઈને જાણે લાપસીનું જમણ મળી ગયું !!

આમેય હમણાંકો લખલખ–વા ચાલે છે એટલે ક્યાંયથી પણ કંઈક સારું મળી જાય તો સહુને લખવાની પ્રેરણા જગાડવાના ભાવથી એને મારા બ્લોગ પર મુકી દઉં છું. આ બન્ને રચનાઓ વાંચીને એક સાથે અનેક દૃષ્ટીકોણથી એને માણવાના ઓરતા થયા. બે રચનાઓની સરખામણી, એ બન્નેની વીશેષતાઓ, સાવ નોખા જ દૃષ્ટીકોણથી રચાયેલી ને સાવ જુદુંજુદું તાકતી આ રચનાઓને એક સાથે જ માણવા માટે મેં તો બન્ને સર્જકોની અનુમતી પણ માગી લીધી…

હવે સીધું રસાસ્વાદ જ કરવા માંડીએ, નહીંતર માસ્તરજીવ પાછો બીજા મારગે ફંટાઈ જાહે –

સૌથી પહેલાં આવે શીર્ષક. બન્નેના મીજાજ સાવ કરતાં સાવ જ નોખા. હા, એક બાબત બન્નેમાં સમાન, અરે સમાન શું, એક જ કહોને ! બન્ને રચનાઓનો મુખ્ય ભાવ છે પ્રણયનો જેનું રસરુપાંતર શૃંગારરસમાં થાય છે, અર્થાત્ બન્ને રચનાઓનો રસ એક જ છે – શૃંગાર. ને છતાં મેં કહ્યું તેમ બન્ને સાવ કરતાં સાવ નોખી ભુમીકાએ શૃંગારનો ગુલાલ કરે છે ! કેવી રીતે ?

તો હા, થોડી શાસ્ત્રીય વાત કરવી પડશે ! (વળી પાછા માસ્તર તો વચ્ચે આવ્યા જ.)

કાવ્યશાસ્ત્રમાં શૃંગારરસના બે મુખ્ય ફાંટા છે તે વિપ્રલંભ (વીરહ)શૃંગાર અને સંભોગ (મીલન)શૃંગાર. બન્ને સર્જકોએ શીર્ષકમાં જ બતાવી દીધું છે કે, પોતે કયા શૃંગારની રચના આપવાના છે. પંચમે તો વીપ્રલંભની જાતી સુદ્ધાં નરમાંથી નારીજાતી કરીને એને વિપ્રલંભિની બનાવી દીધી છે. અહીં જાણે કે એને અભીપ્રેત છે તે  રસ શૃંગાર નહીં પણ સમગ્ર રચનામાં જે વેદના છે તે વેદના જ સાક્ષાત વીપ્રલભીની બનીને, રચના જ જાણે કે એક રસમુર્તીરુપ છે જેનું સ્વરુપ નારી જાતીનું છે. (રાધા કે ગોપી જેવાં નારીપાત્રો જે ઉપસાવી શકે તે નરપાત્રો ઉપસાવી શકે ? મીરાંમાં વીરહની તીવ્ર વેદના હોય તો નરસિંહમાં મીલનનો ઘેરો ને ઉંડો આનંદનાદ હોય.) શ્રી પંચમ પોતાની સમગ્ર કૃતીને વીરહીણી સ્વરુપે મુકે છે તો મુળ સર્જક સપનાજી શીર્ષકમાં જ સમરણોને ‘લાવવા’ની વાત કરે છે.

લાવવું ક્રીયાપદ તો જોકે બન્ને કૃતીઓમાં એક જ રદ્દીફમાં છે. ખુબી તો જુઓ ! ‘તારાં જ સ્મરણો લાવશે’નો એક સરખો રદ્દીફ હોવા છતાં બન્નેના મીજાજ ઉત્તરદક્ષીણ જેવા છે !! પંચમનો કાફીયા સપનાજીના રદ્દીફમાંના પ્રથમ શબ્દ ‘તારા‘નો પ્રાસ બનીને વીપ્રલંભશૃંગાર માટેના દરેક નકારાત્મક શબ્દો વડે કામ કરે છે. બન્નેમાં વાત તો લાવવાની જ છે ને છતાં એક રચનામાંનું ‘લાવશે’ નકારાત્મક હોઈ વીપ્રલંભને સાર્થક કરે છે તો બીજી રચનામાંનું ‘લાવશે’ મીલનશૃંગાર માટેની તૈયારીમાં લાગેલું છે !! બન્નેમાં લાવશે શબ્દ દ્વારા આવનારી બાબતનું સુચન છે એ ખરું, ને એટલે વીરહ કે મીલન વર્તમાનમાં નથી ને છતાં જે રીતે એને મુકવામાં આવ્યા છે તે બનનારી બાબતોને સચોટતાથી મુકે છે. (સપનાજીમાં કાફીયા નથી એને શું કહેશું ? સર્જકે લીધેલી છુટ જ ફક્ત કહીશું કે પછી રદ્દીફની ગેરહાજરીનો કોઈ સંકેત ? ન જાને.)

બીજી એક મહત્ત્વની વાત ઉડીને આંખે વળગે છે તે પંચમની રચનામાં બધા જ શેરોની ગુંથણી ! એક શેર જાણે બીજા શેરને ખો આપે છે, ને એક મજાનો ક્રમ ગોઠવાય છે.

પવનની લહેરખીથી ફુલની પાંદડીઓમાં થતાં કંપનોને સાગરના તરંગો સાથે બીજા શેરમાં ઢોળ્યાં છે. આ તરંગો સાગરની વાત કરે છે ને રેત પર પ્રગટીને વીલીન થઈ જતાં ફીણમાં ભુંસાઈ જતું નામ કોઈની અગમ્ય યાદને જીવતી બનાવે છે તો ત્રીજા શેરમાં તેનો જાણે ફફડાટ સંભળાય છે. એની પાછળ ડુબી જતા બધા કલરવોનો સંકેત આપતી ક્ષીતીજરેખ હજી સાંજના અંધારામાં દેખાતી બંધ થાય ન થાય ત્યાં આવનારી ચાંદનીનો ઉલ્લેખ આગળનો શેર કરી બેસે છે ! ચાંદની પણ આ વીરહીણીરુપ ગઝલમાં કયા સારા સમાચાર વળી લાવવાની હતી ?! ને છેવટે ચકોરીની તડપન છેલ્લા શેર માટે અશ્રુ ખેંચી લાવે છે. ને આ અશ્રુય કાંઈ સાધારણ અશ્રુ નથી, તે તો તંદ્રાનેય નજીક ઢુંકવા ન દે તેવાં છે !!

અને કદાચેય વળી, માની લો કે તંદ્રાનું રુપાંતર નીદ્રામાં – ન કરે નારાયણ, ને – થયું તો તો…જવા દો, પંચમદાને મળેલા શબ્દોની ઈર્ષા જ કરવાની રહે છે…“સળગનારાં જ સ્મરણો”ની વાત તો એ જ કરી શકે !! આખી રચનાને એવો અંત આપ્યો છે – આ શબ્દોએ – કે, રચનાનું શીર્ષક પણ ઝાંખું પડી જાય.

ને હા. આજે તો આટલું જ પણ આ બન્ને રચનાઓને માણવાના રસ્તે હજી તો અરધે જ છીએ હો ! મીલનશૃંગારવાળી બીજી રચના પણ કાંઈ ઓછી નથી. આવતો અંક પણ આપણા આ ‘લખલખ–વા’ કાર્યક્રમનો જ ભાગ છે. આશા છે કે આ યાત્રા બને તેટલા વધુ વાચકોને ફળે.

અસ્તુ.

Categories: રસાસ્વાદ :, lekho | 12 Comments

નવલકથા ‘હુહુ’નાં લખાણો અંગે.

                                                                                    – જુગલકીશોર.

શ્રી નરોત્તમ પલાણ દ્વારા લખાયેલી નવલકથા ‘હુહુ’ હમણાં જ પુરી કરી. જુનાગઢની સ્વાતંત્ર્ય ચળવળનો દર્દભર્યો ઈતીહાસ આલેખતી બહુ જ મજાની આ નવલમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત તે હીન્દુમુસ્લીમપારસી એમ બધી જ કોમો વચ્ચેની જુનાગઢી પ્રજાની એકતા છે. આખા દેશમાં આટલી એકતા બહુ ઓછી જોવા મળે એવું આ નવલ વાંચતાં થઈ આવે છે. આઝાદીની ચળવળ પહેલાં આ પ્રજાઓ વચ્ચે આશ્ચર્યજનક રીતે બેટી વહેવારો પણ હતા ! આટલો ને આવો સંપ સાંભળ્યો નથી. આઝાદીની ચળવળના છેલ્લા તબક્કામાં, કહો કે, મુસ્લીમ લીગે આકાશગામી બે મસ્ત ને મજાની પતંગો વચ્ચે પોતાનું અલગતાવાદી લંગસીયું નાખ્યું તે વરસોમાં, બે કોમો વચ્ચે જે ભેદ જુનાગઢની એકરસે જીવતી પ્રજાએ અનુભવ્યો તેની દર્દનાક કથા આ હુહુ છે !

એક અંગત રસની વાત કરું તો, આ કથામાંનાં કેટલાંક મહત્ત્વનાં પાત્રો પૈકીનાં બે પાત્રો મારાં સગાં માસીયાઈ ભાઈભાભી હોવાની જાણ થવાના કારણે જ કથા શોધીને વાંચવા લીધેલી, પણ વાંચ્યા પછી પેલા સગપણનું આકર્ષણ સાવ ગૌણ બની ગયું અને આ બે કોમ વચ્ચેના ઐક્યની વાત હૈયે વળગી રહી ! દીવસો સુધી આ એકતાએ અને છેલ્લે થયેલા વીચ્છેદે હૈયાને વલોવી નાખ્યું.

પણ જ્યારે રસપુર્વક વાંચી જ છે તો તેમાંનાં બીજાં પણ બેએક તત્ત્વોએ મને અહીં લખવા માટે પ્રેર્યો તે વળી બીજી જ વાત છે. આજકાલ મારા બ્લોગ પર લખો–લખો–લખો ચાલી રહ્યું છે ત્યારે આ છેલ્લા વાચનમાંથી મળી આવેલી બેએક નાનકડી બાબતોને વાચકો સમક્ષ મુકવાનો લોભ જાગી ગયો. સાહીત્યકારની બેએક ખુબીઓ કે જે સામાન્યતઃ કોઈ પણ સારા નવલકથાકારમાં હોય જ છે તે બતાવવાનો આ લોભ છે.

*****   *****   *****

આ બેએક બાબતોમાંની એક તે લેખકની રસાળ ભાષાશૈલી અને ગદ્યની કંઈક ઝાંખી; બીજું તે એમનાં વર્ણનો અને કેટલીક ટૅકનીક્સ.

આ નવલકથા જેમ જુનાગઢની કોમી એકતાની વાત છે તેવી જ રીતે રાજકીય વાતાવરણને ઉપસાવનારી કથા પણ છે. કથાનાં ત્રણચાર હીન્દુમુસલમાન પાત્રોની આસપાસ ગુંથાયેલી આ કથા ગિરનાર, જૂનાગઢ અને ત્યાંના લોકજીવનને બહુ સરસ રીતે ઉપસાવે છે. ખાસ તો અનેક વાર કુદરતી હોનારતોનો ભોગ બનેલા આ પ્રદેશમાં માણસે સર્જેલી ભયાવહ સ્થીતીનો ચીતાર આમાં છે. કથાનો આરંભ જે રીતે થયો છે તેમાં લેખકે સામાન્ય લાગતા ગદ્યમાં જૂનાગઢને મળેલા ઉપરાઉપરી આઘાતોના વર્ણનથી નાંદીરુપ માંડણી કરી છે, ને પછી કથાનો ઉઘાડ કર્યો છે. આ માંડણી હુહુ નામના વીનાશક દરીયાઈ પવનના નામે થઈ છે. હુહુ એ એક બાજુ જૂનાગઢને વર્ષો સુધી ધમરોળતો રહેલો કુદરતી કોપ છે તો કથાનું શીર્ષક બની ગયેલો આ હુહુ સામાજીક વીનાશનો પણ પડઘો પાડનાર બન્યો છે. કથામાં બહુ ઓછો આવતો હોવા છતાં આ શબ્દ ‘હુહુ’ સમગ્ર કથામાં સતત ને સખત રીતે સુસવાટા મારતો સંભળાય છે !

આપણે કેટલીક ભાષાકીય અને સાહીત્યીક બાબતોને ટુંકમાં જોઈએ –

(૧) આરંભની કથામાંડણી

“પોરબંદર–સોમનાથની દરિયાપટ્ટીથી જૂનાગઢ વચ્ચેનો ત્રિકોણ અતિવૃષ્ટિ, દુકાળ અને વાવાઝોડાંની ત્રિવિધ આપત્તિનો ભોગ સતત બનતો રહ્યો છે. છપ્પનિયાનો કઠિન દાયકો પૂરો થયો અને ઉંદરિયો આવ્યો ! ઉંદરિયાનાં ત્રણ વર્ષ વીત્યાં અને તીડોનાં ટોળાં શરૂ થયાં ! લીલાં વાદળાં જેવાં ટોળાં, અંધારું થતાં જ ઊડવાનું બંધ કરે અને જ્યાં બેસે ત્યાં ઊભો પાક ચાવી જાય ! સવાર સુધીમાં તો પાક કે પાંદડાંના નામે કંઈ રહે નહિ ! લાગલગાટ પાંચ વર્ષ તીડોનો ઉપદ્રવ રહ્યો અને એક વિચિત્ર પવન ફૂંકાવો શરૂ થયો ! અતિવૃષ્ટિ, દુકાળ અને ચારે બાજુ ઊભરાઈ નીકળતાં ઉંદર કે ઊડી આવતાં તીડ કરતાં પણ આ પવન વધુ ભયંકર હતો ! એક પછી એક લગભગ દરેક ચોમાસાની સાથે દરિયા ઉપરથી એક વિચિત્ર પવન ફૂંકાતો, સુસવાટા મારતા ખારા ઝેર જેવા આ પવનના વેગથી, પોરબંદર અને સોમનાથ વચ્ચે દરિયાને મળતી દરેક નદીનાં વહેણ અવળાં થઈ જતાં ! પવનની સાથે દરિયામાંથી ઊઠતા ખારા ઘોડા ઝપાટાબંધ નદીના મુખમાં પ્રવેશતા અને જોતજોતામાં નદીનાં મીઠાં જળ કડવાં ઝેર કરી નાખતા. કાંઠે ઊભેલી વનસ્પતિ અને ખેતરના પાક, શાકભાજી, ફળફૂલ એની ખારી કાતિલ ઠંડી ઝપટોથી એક–બે દિવસમાં કોકડું વળી ગંઠાઈ જતાં !…આ પવન જ્યાં ફૂંકાય ત્યાં બધું નકામું કરી નાખે ! રાત અને દિવસ ફૂંકાતા રહેતા આ પવનને લોકો ‘હુહુ’ના નામે ઓળખતા ! ‘હુહુ આવ્યો !’નો સાદ પડતાં જ નાસભાગ શરૂ થઈ જતી. ઢોરઢાંખરને સલામત જગ્યાએ બાંધી લોકો ઘરમાં ભરાઈ જતાં ! સૌ મીઠાં પાણી સંઘરી રાખતાં…

“બરાબર આ જ વર્ષોમાં એક મહાભીષણ ઘટના બની ! માંગરોળના પાદરમાં એક નાટકમંડળીના પડાવમાં લાગેલી ભીષણ આગમાં વિશાળ તંબુ સહિત ચાલીસ બળદો, એના વીશ ગાડાખેડૂ સાથે ખાખ થઈ ગયેલા….

“હુહુના આ ગાળાની આ કથા છે.” 

(૨) વાચકને બાહ્યપ્રસંગ સાથે રાખીને ભીતરી ઉંડાણે ખેંચી જતું ને શબ્દોનો અવનવો વીનીયોગ કરતું ગદ્યઃ

ભટ્ટજીએ રોશની (નવજાત મુસ્લીમ બાળકી)ને ઉપાડી ત્રાપજકરના ખોળામાં મૂકી.

“અભ્ ભુત !”

ત્રાપજકર મુગ્ધ બનીને રોશનીને જોઈ રહ્યો. કલ્યાણબાપુએ પેટીનો સૂર દબાવતાં ‘અદ્ ભુત’ શબ્દ ઉપાડી લઈને લાંબે રાગે સાખી મૂકી.

“અદ્ભુત પ્યાલા પ્રેમકા,  અંતર લિયા લગાય,

રોમરોમમેં રમ રહા, ઔર અમલ ક્યા ખાય ?… …

“અદ્ભુત પંથ વરણિ નહીં જાઈ, ભૂલે રામ ભૂલે દુનિયાઈ”

બાપુએ મીઠી હલકમાં રવેણી ઉપાડી અને ધર્માલયના પટાંગણમાં જાણે સન્નાટો છાઈ વળ્યો. અંતરની ઊંડી અનુભૂતિમાં ઝબોળાઈને સૂર સૌની સૂરતાને એકતાન કરી રહ્યા હતા. ત્રાપજકરના ખોળામાં સૂઈ ગયેલી રોશનીને ભટ્ટજીએ પાતાના ખોળામાં લીધી અને એક હાથે એના મસ્તકને હળવે હળવે થપથપાવતાં ધ્યાનમાં પડી આંખો મીંચી ગયા. “જો ચેતહુ તો ચેતહુ ભાઈ, નાહી તો જીવ યમ લે જાઈ” રવેણી પુનરાવર્તન લેતી લેતી આગળ વધતી હતી. ભટ્ટજી આજે કોઈ અગમના ચોપડા ઉકેલતા હતા. ‘શબ્દ ન ચિન્હૈ, કથેય જ્ઞાના, તાતે યમ દિયો હૈ થાના.’ ભટ્ટજીના હોઠ ફફડતા હતાઃ “નર્યા જ્ઞાનથી શું ?” ફટાક કરતીને ભટ્ટજીની ભીતરી આંખ ખૂલી ગઈ….વીસ વર્ષ પહેલાંનું ભજવાયેલું ફારુક ગોરખીનું નાટક ભજવાતું હતું. દેહ છોડતા ફારુકને માટે હિન્દુમુસ્લિમપારસી સૌ કહેતા હતા કે ફારુક અમારા છે. ફારકે કહેલું…“લોટ અને મીઠું પાણીમાં એક થઈ ગયાં પછી એને શું કહેવાય ?”  ‘આદમ આદિ સુધિ નહિ પાઈ’ કલ્યાણદાસજીનો સૂર વાતાવરણને ભરતો હતો. આરંભમાં માનું લોહી નોતું, બાપનું બુંદ નો’તું ત્યારે કોણ હિન્દુ,મુસલમાન,પારસી હતા ? ફારુક કહે, “ હું મરું ત્યારે મારાં કપડાં ઉતારીને જરૂરતમંદને આપી દેજો. મને કબરમાં નગ્ન જ સુવડાવજો.” કપડાંની માફક ધર્મ પણ ધારણ કરાય છે. જે ધારણ કરાય તેનું વારણ અને મારણ પણ થાય છે. “દરકી બાત કરો દરવેશા, બાદશાહ હૈ કૌને વેશા ?” …

“સહજ શૂન્ય મન સુમિર તે પ્રગટ ભઈ એક જ્યોત” કલ્યાણદાસજીનો સૂર પેટીની મંદ થતી સૂરાવલી સાથે વિરામ પામતો હતોઃ ‘જ્યોત પ્રગટી છે. ક્યાં ?’ કહેતા ભટ્ટજીની આંખો ખૂલી ગઈ. રોશની ! આવતી કાલની પેઢી જ ઈશ્વરને અવતારશે, ખુદાઈને નજરોનજર નિહાળશે. ધર્મ અને કોમનાં આવરણ હટવા માંડ્યાં છે. તેની જ નિશાની છે આ રોશની. ભટ્ટજી આ નવી પેઢીને બે હાથે ઊંચી કરીને મસ્તકે લગાડતા હતા.

(આ ફકરાઓમાં ‘અદ્ભુત’, ‘રોશની’, જ્યોત, સૂર–સૂરતા, વારણ–મારણ વગેરે શબ્દનો જે વીનીયોગ થયો છે તે અને જે ભાવજગત પ્રગટે છે તે ધ્યાન ખેંચે છે. બીજો ફકરો પણ જોઈ જઈએ –

“૧૯૪૭ની પંદરમી ઓગસ્ટે જેનું એક અંગ કપાઈ ગયું છે એવા દેશ ઉપર ત્રિરંગો લહેરાયો, જે દિશામાંથી સૂરજ ઊગે છે તે દિશાએ (પ. બંગાળ)આજે ગાંધીજીની સાથે દુઃખી થઈને ઉપવાસ કર્યો અને અહીં પશ્ચીમમાં, દશે દિશાનાં દ્વાર ખોલીને નિરંતર ખુલ્લો રહેતો ગિરનાર માનવીએ ઓઢાડેલા કાળા બુરખામાં ગૂંગળાતો રહ્યો. આ એ ગિરનાર છે, જ્યાં સદીઓથી કેસરી, સફેદ અને લીલા વાવટા* એકસાથે ઊડતા રહ્યા છે, ત્યાં હાય રે, નસીબ, આ ત્રણે રંગનો સંયુક્ત વાવટો ફરક્યો નહિ. હજારો હિન્દુ કુટુમ્બો જૂનાગઢમાંથી હિજરત કરી રહ્યાં છે અને ગિરનાર જેવો ગિરનાર ચૂપ છે. (*ધર્મસ્થળોએ ફરકતી ધજાઓ)

(૩) કેટલાંક વાક્યો –

“સંતોકબાએ પાસે બેઠેલા રામને કહ્યું, “બેય (પોતાનો પતી અને ત્રાપજકર)જૂના જોડીદાર છે. ત્રાપજકરની એક પછી એક ચાર (પત્નીઓ) હાલી ગઈ અને ભટ્ટજીને હું એક ગિરનાર જેવી; ખહે ઈ બીજા.”

*** *** ***

“ખીજથી હાથ લાંબો કરીને પોપટલાલે સીટી મારી, જૂનાગઢ–રાજકોટ લોકલ ઊપડી ત્યારે એન્જિનની વરાળ કરતાં ખીચોખીચ ભરાયેલા હિજરતીઓના ઉચ્છ્વાસથી જાણે રેલગાડી હાલી.”

*** *** ***

“સ્વામીજીએ જોરથી તાળી પાડી અને મોટેથી હસ્યા. રામે જોયું કે આ અવાજથી બાજુની વેલઘટામાં બેઠેલી ચકલીઓ ફુરરર કરતી ઊડી. સૌની નજર ચકલીઓ પાછળ આકાશમાં ગઈ. ઉનાળાની ખુશનુમા સાંજ ઢળતી હતી. અંબાજીની ટૂંક સાવ માથે આવી ગઈ હોય એમ અનુભવ થતો હતો.”

(આ વર્ણનની વીશેષતા એ છે કે ડાયરે બેઠેલા લોકોની નજરને લેખક તાળીના અવાજે ઉડેલી ચકલીઓની સંગે છેક આકાશ સુધી લઈ ગયા છે કે જે આકાશ વાચકને ઉનાળાની સાંજ બતાડતુંકને છે…ક અંબાજીની ટુંક સુધી લઈ જાય છે. ચીત્રોમાં ચીત્રકાર આવી યોજના કરતો હોય છે જેમાં કોઈ રેખા દર્શકને ચીત્રકારના મુખ્ય હેતુ તરફ લઈ જતો હોય છે.

પન્નાલાલનું મને બહુ ગમતું એક વાક્ય લઈને આપણે આ વીવીધ લખાણોની યાત્રા આવતા અંકે આગળ ચલાવીશું. અત્યારે અહીં અચ્યુતમ્ !

Categories: lekho | Tags: , , , , , , | 9 Comments

આપણાં લખાણો માટે મીમાંસકો કનેથી થોડુંક મેળવણ !

અન્ય કલાઓમાં ઉત્તમ કલા તે કાવ્ય/સાહીત્ય.            – જુગલકીશોર.

“સાહિત્ય, સંગીત, કલાવિહીન, સાક્ષાત્ પશુ – પુચ્છવિષાણહીન !” એવું નીદાન કલાવીરોધી માણસ માટે કરાયું છે. સાહીત્ય વગેરે કલા વગરનો માણસ પુંછડાશીંગડાં વગરના પશુ જેવો છે એમ કહેવાયું ભલે ને હોય, આપણા નેટજગત સાથે સંકળાયેલા આપણામાંના કોઈનેય તે લાગુ પડતું નથી…કારણ કે આપણે સૌ તો સાહીત્ય સાથે સંકળાયેલાં છીએ જ.

સાહીત્યને અન્ય કલાઓ સાથે જ મુકવામાં આવે છે. સાહીત્યનું માધ્યમ શબ્દ અને લય છે – જેમ ચીત્રકલાનું માધ્યમ રંગ અને રેખા છે; સંગીતનું માધ્યમ સુર અને તાલ છે; શિલ્પનું માધ્યમ પથ્થર વગેરે પદાર્થો અને રેખાઓ વડે તૈયાર થતો આકાર છે તેમ ! આ લય તો જોકે બધામાં હોય, હોવો જ જોઈએ.

પણ નૃત્ય તો બધી જ કલાઓનો સુભગ સમન્વય છે. નૃત્યમાં ચીત્ર, શીલ્પ, સંગીત અને સાહીત્ય બધું હોય છે. તો સૌથી મોટી કલા કઈ હશે ?

જોકે કલાઓની સરખામણી હોય નહીં. દરેક કલા પોતપોતાને સ્થાને અદ્વીતીય ગણાય. છતાં સાહીત્યને જરા વધુ મહત્ત્વ આપવાનું મન થાય તો તે એ કારણે કે, એનાં બધાં જ અંગોમાંનું ઉત્તમ અંગ જે નાટ્ય છે તેમાં સાહીત્યનાં તો બધાં જ અંગોનો સમાવેશ હોય જ, પણ અન્ય કલાઓના અંશો પણ મોજુદ હોય છે. “કાવ્યેષુ નાટકં રમ્યમ્” એમ કહીને સમગ્ર કાવ્ય(સાહીત્ય)સૃષ્ટીમાં નાટકને ઉત્તમ કહ્યું છે. ગદ્યપદ્ય બધાંનો સમાવેશ તો તેમાં છે જ પરંતુ સંગીત, નૃત્ય, શીલ્પ, સ્થાપત્ય વગેરે બધું હોવાથી નાટકને કોઈ એકબે માધ્યમોથી પ્રગટતી કલા કહી નહીં શકાય. નાટક એ બહુમાધ્યમી એવું કલાસંકુલ છે. વીશ્વભરમાં શેક્સ્પીઅર અને કાલીદાસ કે ભવભૂતિ આજેય યાદ છે તેનાં કારણો શોધવાં પડે તેમ નથી.

પણ આપણે અહીં નાટ્ય જેવા અતી સંકુલ એવા પદારથને સ્પર્શેય કરવો નથી. એ મારા જેવાનું કામ નહીં. આપણે તો આપણા સૌના ગમતા પદારથ ગુજરાતીનાં લખાણોને સંદર્ભે વાતો કરી રહ્યાં છીએ તેથી આજ પુરતું તો સાહીત્ય કે જેનાં બધાં જ અંગોનો સમાવેશ ‘કાવ્ય’ શબ્દથી કરાયો છે તેને અંગે બને તેટલી સહેલી ભાષામાં થોડું અંદર ડોકીયું કરવું છે. તો ચાલો જરા ડુબકી મારી લઈએ –

“શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્” એવી વ્યાખ્યા ભામહે આપ્યા પછી મોટા ભાગના સૌ મીમાંસકોએ એનો આધાર લીધે રાખ્યો છે. કહે છે, શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય (સાહીત્ય). પછી તો એમાં જે ઉમેરાતું ગયું તેમાં લખાણને કાવ્યત્વ આપનારાં સુશોભનો (લટકણીયાં)ને ઉમેરાતાં જ ગયાં છે. જુઓને –

કુંતકે કહ્યું કે શબ્દ અને અર્થનું ફક્ત જોડાણ જ નહીં પણ એમાં ચમત્કૃતી અને સુષ્લીષ્ટતા પણ હોવી જોઈએ. ચમત્કૃતી એટલે કે સાવ સાદું વાક્ય નહીં પણ તે ‘જરા હટકે’ હોવું જોઈએ. ‘મને ભુખ લાગી છે’ તેમ કહેવાથી કોઈ એને ખાવા આપવા તૈયાર નૉ થાય, પણ કાકાસાહેબ કહે એમ,  ‘ભુખ તો એવી લાગી છે કે કુણાકુણા કાંકરાય પચી જાય’ ત્યારે એમના પર દયાભાવ જાગી જાય ખરો ! કાંકરા કુણા હોય નહીં ને હોય તોય તે કાંઈ પચે નહીં પણ આ વક્રોક્તી વડે શબ્દ અને અર્થનો સંબંધ નોખો દેખાઈ આવે છે.

પણ આટલેથી પતે તો મીમાંસકો શેના ?! મમ્મટે એનાથી આગળ જઈને કહ્યું કે “દોષ રહીત, ગુણયુક્ત અને સામાન્યપણે અલંકારયુક્ત (ક્યારે અલંકાર નૉ હોય તો હાલે) પરંતુ શબ્દ અને અર્થ તો ખરા જ.” વિશ્વનાથે થોડો વાંધો કાઢીને કહ્યું કે ભાઈ મારા, દોષ વગરનું જ હોવું જોઈએ એવો દંડીકો પકડી રાખશો તો પછી મોટા ભાગની રચનાઓને કાવ્ય કે’વામાંથી આઘે જ રાખવાની થશે. એક પણ દોષ વીનાનું કાવ્ય તો ભાગ્યે જ હોય !

મીમાંસક દંડીએ એક બહુ મજાની વાત કહીઃ શરીરં તાવદિષ્ટાર્થવ્યવચ્છિન્ના પદાવલી !”  એમણે આ મને બહુ ગમતી વાત કહીને કાવ્ય (સાહીત્ય)નાં બે ફાડીયાં – જરાસંઘ જેવા જ કહીશુંને, કારણ કે તે બન્ને તો અનીવાર્યપણે ભેગાં છે – બતાવ્યાં છે. શરીર અને એના અલંકારો. જે કહેવાનું છે – મેટર – તે અર્થથી નીયમબદ્ધ બનીને તેનો આવીષ્કાર કરતો શબ્દસમુહ.

જગન્નાથ વળી એ જ વાત કંઈક આમ કહે છેઃ “રમણીયાર્થપ્રતિપાદક શબ્દઃ કાવ્યમ્” એટલે કે રમણીય એવા અર્થને જે પ્રગટાવે તે કાવ્ય. વાત તો ખરી વળી. શબ્દ ગમે તેટલા રુપાળા હોય પણ અર્થ સાવ કઢંગો હોય તો….કાવ્ય શું કાંઈ અરીસામાં જોઈને રાજી થઈ રહેવાનું થોડું છે ?! અર્થ પણ રમણીય હોવો જોઈએ.

સાહીત્યકૃતીના બે ભાગ કર્યા પછી બાહ્ય અને આંતર એવા (શબ્દ ને એના ભીતરી અર્થ )બન્નેના પક્ષે પણ ચર્ચાઓ થઈ; શાસ્ત્રાર્થો થયા. શરીરને જેમ અલંકારો તેમ આત્માનોય માભો તો પડવો જ જોઈએ. કુંતકે વધુ આગ્રહ રાખીને વક્રોક્તી એ જ કાવ્યનું જીવીત છે એમ કહ્યું. એની પહેલાં વામનજીએ રીતી એટલે કે શૈલીને કાવ્યનો આત્મા કહી દીધેલો (“રીતિરાત્મા કાવ્યસ્ય.”) અને જેને બહુ વજન મળ્યું તે ‘ધ્વનિ’નેય આત્મા કહેવાયો (“કાવ્યાસ્યાત્મા ધ્વનિરીતિ બુધેર્યઃ સમામ્નાતપૂર્વ”) ને છેવટે ‘રસ’ને પણ !! “વાક્યં રસાત્મકં કાવ્યમ્ !” એટલે કે રસશૂન્ય હોય તેને કાવ્ય કહી જ ન શકાય.

આટલો ચોફાળ ચોરા ઉપર પાથર્યો છે તો ભેગાભેગું થોડુંક હજી વધુ ઉમેરીને મારા આ પહેલાના લેખના વર્ગીકરણનેય સ્પર્શી લઈએ.

ભામહે કાવ્યના પાંચ મુખ્ય ભાગ પાડ્યા છે. ૧) સર્ગબંધ કે મહાકાવ્ય, ૨) સાહીત્ય–કાવ્યનો અર્થ જેમાં અભીનય દ્વારા પ્રગટ થાય છે તે નાટક વગેરે, ૩) કથા, વાર્તા, ૪) આખ્યાયીકા અને ૫) મુક્તક કે પ્રકીર્ણ શ્લોકાત્મક કાવ્ય. (આ પાંચ પ્રકારોમાંય વાંધાવચકા તો થયેલા પણ આપણે એટલાં ઉંડાં પાણીમાં પલળવું નથી.)

આ કાવ્યપ્રકારો અને કાવ્ય/સાહીત્યનાં બે ફાડીયાં એટલે શબ્દ અને અર્થ કે પછી બાહ્ય અને આંતરતત્ત્વોની વાત આપણી સાદી ભાષામાં કરતાં રહીશું. સાદો લેખ હોય કે પછી અટપટું કાવ્ય, એ બધાંમાં શબ્દને અને અર્થને બન્નેને સૌંદર્ય આપવાનું છે. સ્થાપત્ય અને શીલ્પમાં જે ભેદ છે તે કલાતત્વનો છે. સ્થાપત્ય એટલે ઈંટ–સીમેન્ટ–લાકડું. ને શીલ્પ એટલે કલાત્મક મંદીર. મટીરીયલ તો બન્નેમાં એક જ હોય છે. પણ કલા એકમાં ગેરહાજર હોય છે. (હવે તો સ્થાપત્યો પણ કલાત્મક થતાં જાય છે તે આજના જમાનાની  શોભા છે.)

મંદીર પણ બાહ્ય દૃષ્ટીએ એક ભવ્ય અને એનામાં જે અભીપ્રેત છે તે ધાર્મીક પાવીત્ર્યથી દુરથી જ અસર કરે છે. મંદીરનો બાહ્ય દેખાવ પણ ઉત્તમ હોય છે તેમ એ મંદીરનો માંહ્યલો પણ નકશીકામથી સુશોભીત ને કલાના ઉત્તમ પ્રાગટ્યનો નમુનો હોય છે. ભીતરબાહ્ય સૌંદર્ય એ આવાં સ્થાપત્યોની વીશેષતાઓ છે. સાહીત્યકૃતીને પણ આવી જ રીતે બાહ્યાભ્યંતર રમણીય, ઝંકૃત, સુવાસીત, સુકોમળ અને અવર્ણનીય રસાસ્વાદ કરાવે તેવી પાંચેય ઈન્દ્રીયને પરીતૃપ્ત કરનારી કૃતી બનાવી શકાય તો તે કવીકર્મ ખરું.

આપણે યથાશક્તી, યથામતી અહીં અવારનવાર આપણાં લખાણોને મદદરુપ થવાય તેમ કરવું છે. ભાષા ને સાહીત્યનું આ તો એક આચમન માત્ર છે. આ લેખમાળા દ્વારા જેટલું જવાય તેટલું જઈને – અલબત્ત આપ સૌના સાથ સહકાર વડે જ – કશુંક કીમતી પામવું છે.

અસ્તુ.

Categories: lekho | Tags: , , , , , , , , , , , , , , , | 4 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 63 other followers