—માધવ ગોર અને જુગલકીશોર
‘માતાજી, આ બાળક આપનું છે ?’એક જૈનાચાર્યે ધંધુકામાં નવસોએક વર્ષ પહેલાં ઉપાશ્રયે બાળક સાથે વંદવા આવેલ માતા પાહીનીને પુછ્યું. બાળકને એ ઝીણી નજરે નીરખી રહ્યા હતા.
‘હા મહારાજસાહેબ. કેવું લાગે છે ?’
‘અદ્ભુત્ ! અદ્ભુત્ ! નામ ?’
‘ચંગદેવ.’
‘એમ ? સરસ ! ચંગ જ છે,સરસ છે.કેવડો થયો ?’
‘એ…પાંચ વરસનો..દેવદીવાળીએ જન્મ્યો છે.’
મહારાજસાહેબે આંગળીઓના વેઢા પર કંઈક ગણતરી કરી.પછી કહે,’…ને સામુદ્રીક શાસ્ત્ર પ્રમાણે તો એ દેવ જેવો થાય…જો…..’ કહેતાં કહેતાં દેવચન્દ્રસુરી અટકી ગયા.
‘કેમ અટકી ગયા, સાહેબ ?’ પાહીનીએ પુછ્યું.
‘જીભ ઉપડતી નથી.પણ…’
‘પણ… શું કંઈ અહીત છે ?’
‘ના..પણ..આ સંસારી જીવ નથી..’
‘તો ?’
‘કેળવાય તો રાજપ્રભાવી,પંડીતપ્રભાવી,પરમ તેજસ્વી થાય…મારું એક વચન રાખશો ?’
‘કેમ નહીં ? આપે તો આજ્ઞા કરવાની હોય.બાળકના હીતમાં જ આપ કહેશોને ?’
‘તો આ બાળક અમને આપશો ?…’
પાહીણી તો સ્તબ્ધ ! કળ વળતાં કહે, ‘મારે એમને પુછવું પડે.’
ને ઘેરે જઈ પતી ચાચદેવને પુછ્યું. ઘટવટ પછી આખરે એ પાંચ વરસના ચંગદેવને દેવચન્દ્રસુરીને સોંપ્યો ! રાજા દશરથને ત્યાંથી જેમ ઋષી રામને લઈ ગયા’તા એમ લઈ ગયા; ખંભાત..દીક્ષાનામ પાડ્યું,સોમચન્દ્ર. ખંભાતમાં સતત સોળ વરસ સુધી વીદ્યાભ્યાસ જ. શક્ય એટલા બધા જ વીષયો : ધર્મ,ન્યાય,નીતી,શાસ્ત્ર,વ્યાકરણ,ઈતીહાસ,પુરાણ વ.વ. કશું જ બાકી ન રાખ્યું. એવા લાગ્યા જાણે જ્ઞાનભંડાર ! તપે પણ પ્રદીપ્ત ! એટલે દેવચન્દ્રસુરીએ પોતાનું આચાર્યપદ એમને સોંપ્યું, ઈ.સ.1110ની સાલમાં. એટલે ઈ.સ.1089માં ધંધુકામાં જન્મેલ ચંગદેવ, પાંચ વર્ષ પછી સોમચન્દ્ર થઈને, એકવીસમે વર્ષે આચાર્ય હેમચન્દ્રસુરી તરીકે પંકાયા.
પછી વીચરતા વીચરતા પાટણ ગયા. ત્યારે ત્યાં ગુર્જરેશ્વર સીધ્ધરાજ જયસીંહ જેવો બધી વાતે શ્રેષ્ઠ કહેવાય એવો રાજવી. શુરવીર અને વીદ્યા તેમ જ કળા બંનેનો પરખંદો. એણે પ્રતીભા પીછાણી. બંને નીકટના મીત્રો બન્યા.
સીધ્ધરાજને એક મહેણું ખટકતું હતું.માળવા જીતેલું ત્યારે ત્યાંનો જ્ઞાનભંડાર જોઈને ચકીત થયેલા. તેમાંય એક વ્યાકરણ ! ત્યાંનું લોક પણ જ્યારે-ત્યારે મહેણું મારતું. સૌને મોઢે રમતો થયેલો એ ભોજદેવનો શ્લોક, ‘લાટવાળા લાટી સાંભળે ! સંસ્કૃતના તો તમે વેરી; હા,પ્રાકૃત વળી સાંભળી લો ખરા ; પણ તમને આખરે સંતોષ તો બીજા કશાથી જ નહીં, એકમાત્ર અપભ્રંશ બોલીથી જ થાય !’–
” શૃણ્વંતિ લટભં લાટા: પ્રાકૃતં સંસ્કૃતદ્વિષ: |
અપભ્રંશેન તુષ્યન્તિ સ્વેન નાન્યેન ગૌર્જરા: ॥”
સીધ્ધરાજે વાત કરી હેમાચાર્યને કે આ મહેણું ખટકે છે. ત્યાં ભોજવ્યાકરણ છે તેવું અહીં કેમ ન હોય ? ને આ પડકાર સુરીજીએ સ્વીકાર્યો. યોજના કરી. પાટણ આવી વસેલા રાજપંડીત મુળ કશ્મીરના એવા ઉત્સાહને મોકલ્યા કશ્મીર.ત્યાંથી આઠેક જેટલા વ્યાકરણ-ગ્રંથો આવ્યા. સઘન અભ્યાસ મંડાયો.ને પછી વ્યાકરણ લખાવા માંડ્યું. જેમ જેમ લખાય તેમ તેમ એની ત્રણસોક લહીયાઓ નકલ પણ કરતા જાય. એમ એક સંસ્કૃત,પ્રાકૃત ને અપભ્રંશ-એટલે કે જુની ગુજરાતી-એટલે કે આપણી ગુજરાતી ભાષાની ગંગોત્રી-એ ત્રણેયને સમાવતો મોટો વ્યાકરણગ્રંથ પુરો થયો. સીધ્ધરાજનું સ્વપ્ન,ને હેમચન્દ્રની વીદ્વદ્પ્રતીભા સાકાર ! નામ આપ્યું : “સીધ્ધહેમ-શબ્દાનુશાસન” ટુંકમાં ‘સીધ્ધહૈમ..’
ખબર પડી. રાજાએ ગ્રંથપુજન કર્યું.નગરે ઉત્સવ મનાવ્યો. રાજાના સૌથી પ્રીય ને શ્રેષ્ઠ હાથી શ્રીકરણ પર અંબાડી પરના રાજસીંહાસને ગ્રંથ,માથે છત્તર,બે બાજુ બે ચામરધારીણી ચામર ઢોળે ને ગાતાં-વાતાં સૌ પાછળ જતાં હોય-એવી શોભાયાત્રા કાઢી.આમ, આપણા કવી ‘શેષ’ ( રા.વી.પાઠક ) કહે છે તેમ :
‘ હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો
સાર્થક્ય કીધું નીજ નામનું સીધ્ધરાજે.’
આપણે મન આ ગ્રંથનું બહુ મોટું મહત્વ છે–એમાંના આઠમાં અધ્યાયમાં ત્યારના ગૌર્જર અપભ્રંશનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એને કારણે.એ લક્ષણો દર્શાવતાં એમણે દૃષ્ટાંતો આપ્યાં છે તે ત્યારે લોકસ્મરણમાં તરતા રહેલા દુહાઓનાં ! આચાર્ય પોતે માત્ર પોથીપંડીત નહોતા; ખુલ્લે કાને ને તીવ્ર સ્મરણમંજુષાએ વીચરતા કવીજીવ હતા. ઉપરાંત એમના શીષ્યમંડળમાં એક રામચન્દ્ર કરીને હતા.તે મુળે ચારણ !એમના જેવાની સહાય પણ હોય. પણ પોતે સજીવ ને લોકજીવનના પારખુ તો એવા કે આ દુહાની જેમ ત્યારે લગ્નપ્રસંગે ગવાતાં કેટલાંક ફટાણાં પણ અન્ય એક ગ્રંથ (‘ત્રીષષ્ટી શલાકાપુરુષચરીત્ર’)માં આપ્યા છે.( એને અલગ લેખમાં સંક્ષપે જોઈશું.) હેમચન્દ્રે લખેલા ગ્રંથો બે ડઝન ઉપર થવા જાય છે.ભાતભાતના વીષયો છે. વ્યાકરણો છે.કોશો છે (‘અભીધાન ચીંતામણી,દેશી નામમાલા’,’અનેકાર્થકોશ’); વનસ્પતીવીષયક છે,સાહીત્ય-અલંકાર વીષે છે, છંદ વીષે છે, દર્શન છે, ઈતીહાસ છે (‘દ્વયાશ્રય’), ચરીત્ર છે (‘ત્રીષષ્ટી’), સ્તોત્રો છે, ન્યાય-નીતી-અધ્યાત્મ-શાસ્ત્ર…જાણે વીશ્વકોશ હરતો-ફરતો. રીલીજીયન ઍન એથીક્સ પરના એનસાઈક્લોપીડીયામાં પ્રોફેસર યાકૉબી સાશ્ચર્ય કહે છે :
” ..his..(is)encyclopaedic work…the enormous mass of varied
information…an inestimable mine for philological and historical research.”
( vol-6;591)
વીવીધ વીષયોની માહીતીથી છલકાતો અણખુટ ખજાનો–તેમાંય ભાષા-શાસ્ત્ર અને ઈતીહાસના સંશોધકો માટે તો મોટું ક્ષેત્ર.એમના વીપુલ સાહીત્ય વીષે લખીએ તો એક લેખથી ન પતે.મોટો ગ્રંથ કરવો પડે ! ( એમનો આયુષ્યકાળ પં.બેચરદાસ પ્રમાણે ઈ.સ.1089થી 1173.)
પણ એક મોટી ને આજે તો બહુ મહત્વની વાત :
હેમાચાર્ય જૈનાચાર્ય ખરા પણ સાચા અર્થમાં ધર્માચાર્ય. રાજા કુમારપાળ પાસે સોમનાથનો જીર્ણોધ્ધાર કરાવ્યો,ને એના પ્રતીષ્ઠાપર્વે સંઘ લઈને સોમનાથ ગયા,ને એ શંકરના મંદીરમાં પોતાના રચેલા શીવસ્તોત્રથી પ્રાર્થના કરી. કહે છે :
‘ યત્ર યત્ર સમયે યથા તથા
યો..સિ સો..ન્યાભિધયા યયા તયા |
વીતદોષકલુષ : સ ચેદ્ ભવાન્
એક એવ ભગવાન્ ! નમોસ્તુ તે ॥’
( કોઈ પણ કાળે કોઈ પણ રીતે જે નામ હોય તે નામે ભલે હો ,
રાગદ્વૈષહીન-એક ચૈતન્યનીર્મળ તે જ તમે; તો હે પ્રભુ તમને નમું છું ! ) પાછું સ્પષ્ટ કરે છે : વીષ્ણુ હો,શીવ હો, જિન હો, બ્રહ્મા હો કે ગમે તે અમને અમારી મર્યાદાઓની પાર લઈ જનારને નમું છું.
” બલબીજાંકુરજનના, રાગદ્યા: ક્ષયમુપાગતા યસ્ય |
બ્રહ્મા વા વિષ્ણુર્ વા હરો જિનો વા નમસ્તસ્મૈ ॥”
( એમના અદ્ભુત દુહાઓ આવતા અંકે )
તેમની જીવનઝાંખી વાંચો –
http://sureshbjani.wordpress.com/2006/07/29/hemachandra/
LikeLike
સ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.
હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.
ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.
મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.
કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.
….. ….. પાટણથી પટોળા મોંઘા લાવજો ….. ….. …..
….. ….. દીવો રે દીવો, માંગલીક દીવો ….. ….. …..
આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.
સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.
નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક
— આચાર્ય હેમચન્દ્ર —
જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.
Attachments
મને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.
LikeLike
== કાવ્યાનુશાસન ==
સંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં સિદ્ધરાજ જયસિંહના જીવનકાળમાં આચાર્ય હેમચંદ્રે ‘કાવ્યાનુશાસન’ નામના સંગ્રહ ગ્રંથની રચના કરેલ. જેમાં ૨૦૮ સૂત્ર છે. ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો એમાં ઉલ્લેખ છે.
સંસ્કૃત કવિ અને કાવ્ય શાસ્ત્રના ઈતિહાસનું અધ્યન કરનારા માટે આ સંદર્ભ ગ્રંથ છે. કાવ્યનું પ્રયોજન, શબ્દ, વાક્ય, અર્થ, દોષ, ગુણ, અલંકાર, રસ વર્ણન, શાસ્ત્રીય વિવેચન, ભાવ, વગેરેનું વર્ણન છે. દરેક કાવ્યનો ધ્યેય ફકત આનંદ, યશ અને ઉપદેશ જ છે. એમાં અર્થલાભ, વ્યવહાર જ્ઞાન કે અનિષ્ટ નિવૃતિનો સમાવેશ નથી. અહીં હેમચંદ્ર મમ્મટના કાવ્યપ્રકાશથી અલગ પડે છે.
‘કાવ્યાનુશાસન’ સર્વોત્કૃષ્ટ પાઠ્યપુસ્તક અને સંપૂર્ણ કાવ્યશાસ્ત્રનું સુવ્યવસ્થિત સુરચિત પ્રબંધ છે. હેમચંદ્રે વ્યાકરણ ગ્રંથની સાથે આ ઉત્કૃષ્ઠ અલંકાર ગ્રંથની ગુજરાતને હજાર વર્ષ પહેલાં ભેટ આપી.
LikeLike
આપણા આ આચાર્યોનું આપણા સૌ ઉપર કેટલું ૠણ છે ! આજે આ બધું વાંચીએ તો સમજવુંય અઘરું લાગે ત્યારે એ સૌએ આટલું ઉંડાણ ખેડ્યું એમની તાકાત કેવી ને કેટલી હશે ?!
હું આપને આવી વીગતો આપવા વીનંતી કરું છું. આ બ્લોગ પર અથવા આપના પોતાના બ્લોગ પર આ બધું મુકો તો રસ ધરાવતાં સૌ કોઈને બહુ લાભ થશે.
LikeLike
હેમચંદ્રાચાર્ય
http://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF
LikeLike
મુકાયેલી લીંક માટે ખુબ જ આભાર માનું છું.
LikeLike
in English..
http://en.wikipedia.org/wiki/Hemachandra
LikeLike
REALLY NICE AND USEFUL DETAIL
LikeLike