“વાર્તા……કહું, વાર્તા……!!”
(બસ, વારતા પુરી. હવે તરત લેખકનું નામ અને કેફીયત છે…)
– લેખક અ.
—————-
લેખકની ચોખવટ :
આ ત્રણ શબ્દોની વાર્તા ગણવી. હવે વાર્તા ગણતરીના શબ્દોમાં લખાય છે અને એને સાહીત્યનું નવું સ્વરુપ ગણાતું નથી.
થયું કે લાવ ને હુંય લખી ‘નાખું’ એક વારતા !!
ત્રણ શબ્દોની વારતા. (વારતામાં પાત્રો, પ્રસંગ, સંવાદ, હેતુ અને કથન શૈલી જેવાં તત્ત્વો અનીવાર્ય ગણાય છે. આ ન હોય તો એને વારતા – નવલીકા કહેવાય નહીં પરંતુ માઇક્રોના નામે ચલાવી લેવું પડે પછી વારતાના એ અંશો શી રીતે સમાવવા ?!)
પણ હું તો સાહીત્યનો વીદ્યાર્થી એટલે મારી વારતામાં આ તત્ત્વો (ન હોય તોય) દેખાડવા તો પડે કે નૈ ?
૧) પાત્ર : આમાં ‘કહું’ શબ્દ સાબીત કરે છે કે કોઈ કહેનાર તો છે એટલે વારતામાં પાત્ર નીકળી આવ્યું ગણાય.
૨) પ્રસંગ : વારતા કોઈને કહેવાની હોય તેવો અર્થ નીકળતો હોવાથી વારતાનો પ્રસંગ તો આવવાનો કે નૈં, એટલે આવનારા પ્રસંગને ગણી લેવાનો.
૩) સંવાદ : વારતા પોતે જ સંવાદનો ભાગ છે. વારતામાં શ્રોતા હોવાનો જ એટલે વચ્ચે વચ્ચે સંવાદ આવશે તેમ માની શકાશે, બીજું શું.
૪) હેતુ તો આ મારી નવલીકા (ટુંકી વારતા, માઇક્રોફીક્સ…..)માં ચોખ્ખો બતાવાઈ જ ગયો છે બલકે બે વાર વારતા શબ્દ પ્રયોજાયા માત્રથી ખ્યાલ આવી જશે કે આ નવલીકાનો લેખક વાર્તા કોઈને ઠઠાડી દેવાનો અર્થાત્ કહી દેવાનો ધખારો ધરાવે છે ! એટલે હેતુ સ્પષ્ટ થયો કે નૈં ?!
૫) કથનરીતી : આ વાર્તામાં બે શબ્દો મહત્તવના છે ! (બે જ તો છે વળી !…યાદ આવી ગઈ પેલી નકો નકો વારતા ! એક હતી વારતા. એમાં હતા ત્રણ શબ્દ બે બેવડાયેલા અને એક કહેવાયા વગરનો !!)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
આ વાર્તાનું વીવેચન :
આ વાર્તા સાહીત્યજગતમાં માર્ગદર્શક બની રહેવા સંભવ છે. ત્રણ જ શબ્દોમાંનો એક તો દ્વીરુક્ત થયેલો એટલે બે જ શબ્દની વારતારુપે ગીન્નાઇશ બુકમાં રૅકૉર્ડ માટે મોકલવા જેવી ખરી.
બાળક સમજણું થાય ત્યારથી તેને વાર્તારસમાં ડુબાડીને વાલીઓ અફીણ જેવું બંધાણ કરી આપે છે. પરીણામે ઘરનાં સૌ સુખી રહી શકે છે. આગળ જતાં એ જ છોરો બીજાને વારતાયું કહીને રોકી રાખવામાં કામ લાગે છે. ભવીષ્યમાં ન કરે નારાયણ ને જો રાજકારણમાં ‘પડ્યો’ તો પછી વારતા જેને ‘વચન’ પણ કહેવાય છે તેના તુંબડે ઘણાં પાણી તરી જઈ શકે છે.
વારતા કહેનાર અને સાંભળનાર બધાં વારતાનાં પાત્રો ગણાય એટલે વારતાને અનેક પરીમાણી તત્ત્વ કહી શકાય. જીવન એક વારતા છે એ જ રીતે વારતાલેખક માટે – એના જીવવા માટે તે ખુદ જીવન છે !! વારતા દ્વારા લેખક, પ્રકાશક, વેબસાઈટર વગેરે બધાં કમાણી કરી શકે છે. એટલે લેખકને ન આવડતી હોય તોય પોતાના પ્રકાશનમાં આમંત્રણ આપીને, છાપીને ધરાર લેખક બનાવી શકાય છે જેના વડે વાચકને પણ ‘બનાવી’ શકાય છે.
આવી વારતાઓ સાહીત્ય જગતના માઇલસ્ટોન જેવી ગણાશે ભવીષ્યમાં. લેખકશ્રીને ધન્યવાદ સાથે આ વારતાને આવી રહેલા ભાવી સાહીત્યસ્વરુપોનું આવી બનવાના પ્રથમ ચરણરુપે ગણીને આવકારું છું.
લી. વીવેચક્ક જ્ઞ.
(નોંધ : વારતાનો લેખક અ છે અને વીવેચક જ્ઞ છે તેને અકસ્માત ગણીને બન્નેના આદ્યાક્ષરોને ભેગા ન કરવા ભલામણ છે.)
માઇક્રોથી એ માઇક્રો વાર્તા !
LikeLike